અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડનો વિરોધ કરાતાં ભાજપ હચમચી ઉઠ્યું હોવાનો આરોપ કરતાં વિરોધપક્ષના નેતા શક્તિસિંહએ કહ્યું હતું કે, ભાજપ ગંદી રાજ રમત રમી રહ્યું છે. ગુજરાત વિધાનસભાના પરિસરમાં જૈન મંદિરની તસવીરને કોંગ્રેસ તરફથી તોડવામાં આવી હોવાની તદ્દન જુઠ્ઠી વાતો ફેલાવવામાં આવી રહી છે પણ હકીકતમાં વિધાનસભા પરિસરમાં કોઈ ધાર્મિક ફોટો કે પોસ્ટર રાખી શકાતું નથી. માત્ર એક કલાત્મક દરવાજાનું પોસ્ટર હતું અને તે યુવા ભાજપના કાર્યકર્તાઓએ નીચે પછાડ્યું હતું તેમ વિપક્ષના નેતા શકિતસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે સંયુકત યાદીમાં જણાવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ તદ્દન હલકી કક્ષાની રાજરમત રમી રહ્યું છે અને જૈન સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે. અધ્યક્ષ તેમજ સરકારના મંત્રીઓએ જૈન સમાજના આગેવાનો અને જૈન સાધુ-સંતોને ફોન કરીને કોંગ્રેસ વિરુદ્ધ કાર્યક્રમો આપવા ઉશ્કેરવાના પ્રયાસો કરાયા હતા પણ જૈન સમાજે ભાજપની મેલી મુરાદ ભરેલી રાજનીતિને સાથ આપ્યો નથી. |