ત્ર્યંબકેશ્વર :- નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લીંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લીંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લીંગોમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પત્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદભુત છે. આ મંદિરમાં કાલસર્પ શાંતિ, ત્રિપિંડી વિધિ અને નારાયણ નાગબલીની પૂજા થાય છે. જેને ભક્તો અલગ અલગ માનતાઓ પુરી કરવા માટે કરાવે છે. શિવરાત્રિ અને શ્રાવણ સોમવારના દિવસે અહિંયા ઘણાં બધાં શ્રદ્ધાળુઓ કતારો બનાવીને ઊભા હોય છે, ભક્તો વહેલી સવારે નાહ્યાં પછી તેમના આરાધ્ય દેવના દર્શન કરવા માટે આવે છે. અહિંયાની એક ખાસ વાત એ છે કે કાળ સર્પ યોગ અને નારાયણ નાગ બલી નામની ખાસ પૂજા-અર્ચના પણ થાય છે. જેના કારણે અહીં આખા વર્ષ દરમિયાન ઘણાં શ્રદ્ધાળુઓ અહિંયા આવતાં હોય છે
રામેશ્વર જ્યોતિર્લીંગ તમિલનાડુમાં આ જ્યોતિર્લીંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુધ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.
ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિધ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઇ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલ આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે.
બૈદ્યનાથ :- આ જ્યોતિર્લીંગ ઝારખંડના દેવધર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનુ ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લીંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લીંગ એક સિધ્ધપીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે. |