શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે શ્રાવણ ભક્તિ ચરમસીમા પર હોય છે. બધા જ શહેરોના પ્રમુખ શિવ મંદિરોમાં આ દિવસે ખુબ જ ભીડ રહે છે અને સાથે સાથે વિશેષ પૂજા અને વિભિન્ન દ્રવ્યો વડે ભગવાન શિવનો અભિષેક પણ કરવામાં આવે છે.
મંદિરની સાથે સાથે ભક્તો ઘરોમાં રૂદ્રાષ્ટક, શિવમહિમ્નસ્ત્રોત વગેરેનો પાઠ પણ કરે છે. સાંજે મંદિરોમાં ભગવાન શિવનો ફૂલો, સુકા મેવા અને વિવિધ મીઠાઈઓ દ્વારા શ્રૃંગાર કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કાવડ યાત્રાની શરૂઆત પણ થાય છે.
શ્રાવણ મહિનામાં શિવ પૂજાનું મહત્વ : શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. પુરાણોમાંથી મળતી માહિતી અનુસાર શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. ભગવાન શિવે વિષ પીને સૃષ્ટિની રક્ષા કરી હતી. એટલા માટે આ મહિનામાં શિવની આરાધના કરવાથી ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે.
ફળદાયી સોમવાર : શાસ્ત્રો અને પુરાણોમાં શ્રાવણ મહિનાના સોમવારને ખુબ જ ફળદાયી જણાવ્યો છે. વિવાહીત મહિલાઓ શ્રાવણનો સોમવાર કરે તો ઘર પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થાય છે, જ્યારે કે પુરૂષો વ્રત કરે તો કાર્ય અને વ્યવસાયમાં ઉન્નતિ, શૈક્ષણિક કાર્યોમાં સફળતા અને આર્થિક રૂપે પણ મજબુતી મળે છે. કુવારી છોકરીઓ સોમવારે શિવજીની વિધિપુર્વક પૂજા-અર્ચના કરે તો તેમને મનગમતો વર અને ઘર મળે છે.
બિલ્વ પત્ર અને રૂદ્રાક્ષનું પૂજન : શિવજીના પ્રિય એવા બિલ્વ પત્રથી લઈને ધતૂરો અને આકડાની તેમજ જાત જાતના પુષ્પોની દુકાનો શિવાલયોની આજુબાજુ લાગી જાય છે. શિવ પૂજામાં રૂદ્રાક્ષનું પણ ઘણું મહત્વ છે. પુરાણોને અનુસાર ભગવાન રૂદ્રની આંખમાંથી પડેલા આંસુથી રૂદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે. એટલા માટે આ શિવજીને ખુબ જ પ્રિય છે. |