મુંબઈ. આઈપીએલની ટીમ મુંબઈ ઇંડિયંસના કોચ લાલચંદ રાજપૂતે આજે જણાવ્યું હતું કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર દ.આફ્રિકા સામેની મહત્વની ત્રીજી અને આખરી ટેસ્ટ અનફિટના કારણે ગુમાવશે પરંતુ આગામી 18મી એપ્રિલથી શરૂ થતી આઈપીએલની ટવેન્ટી-20 ટુર્નામેંટ પહેલા સચિન બિલકુલ ફીટ થઈ જશે.
રાજપુતે આજે પ્રત્રકારો સમક્ષ મુંબઇમાં જણાવ્યું હતું કે, સચિન એવો ખેલાડી છે જેને એક પણ મેચ ગુમાવવી ગમતી નથી. મને ખાતરી છે કે ફીઝીયોથેરાપીસ્ટ તેની પૂરેપૂરી દેખભાળ કરશે અને આઈપીએલની ટુર્નામેન્ટ પહેલા તે એકદમ ફીટ થઈ જશે.
અત્રે જણાવવાનું કે ઈજાના કારણે સચિને અમદાવાદ ખાતેની દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ પણ ગુમાવી હતી. તબીબી નિષ્ણાંતોના મત મુજબ સચિનને હાલ આરામની જરૂર છે. જો કે રાજપૂતે એ વાત જણાવવાનો ઈન્કાર કરી દીધો હતો કે સચિન શ્રીલંકન ખેલાડી સનથ જયસુર્યા સાથે ટીમ માટે ઓપનીંગ કરશે કે નહીં.
આ બાબતે રાજપૂતે કહ્યું કે અમારી પાસે ઓપનીંગ માટે ચારથી પાંચ વિકલ્પો છે. કોઈ પણ મેચ સામે ઓપનરો નક્કી કરતી વખતે અમે તે ટીમ અને મેદાનની વિકેટને ધ્યાનમાં લઈશું. મુકેશ અંબાણીની આ મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો તૈયારી માટેનો કેમ્પ 11મી એપ્રિલે છે. ટીમ મેનેજમેન્ટે ખ્યાતનામ કોમેન્ટેટર હર્ષા ભોગલેને ટીમના એડવાઈઝ તરીકે નિમ્યાં છે.
|