શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ઇસ્લામ
  4. »
  5. ઇસ્લામ ધર્મ વિશે
Written By પરૂન શર્મા|

ઈસ્લામના નિયમો

ઈસ્લામ ધર્મ માં એક સાચા મુસલમાન માટે આ છ નિયમો પાળવા અનિવાર્ય છે.

(1) એકેશ્વરવાદ : ઈશ્વરની એકતા

મુસ્લિમો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખુદા) કહે છે. મુસ્લિમો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.

(2) રસાલત(ભવિષ્યવાક્ય)

ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યશાયાહ, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મોહંમદ છે. નબીને અલ્લાહે ભવિષ્યકથનની શક્તિ આપી હોય છે. હારૂન, નબી, સુલેમાન વગેરે નબી ગણાય છે.

(3) ધર્મ પુસ્તક

મુસ્લિમો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. કુરાનમાં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ.

(4) ફરીશ્તા (અરબીમાં મલાઈકા)

ફરીશ્તા પવિત્ર અને ખાલિસ રોશની (નૂર)થી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે, ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદા જુદા સમયે જુદી જુદી રીતે દેખાય છે.

(5) કયામતનો દિવસ

મુસ્લિમોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરના બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાને હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે.

(6) નસીબ

મુસ્લિમ હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના ન થઈ શકે.