ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 4 જાન્યુઆરી 2016 (17:18 IST)

ચાઈલ્ડ કેર - બાળકની માલીશ છે જરુરી

દાયકાઓથી આપણે ત્યાં એક પ્રથા ચાલી આવે છે. બાળક જન્મે એટલે બીજા ત્રીજા દિવસથી જ તેને માલિશ કરવાની પ્રથા છે. માલિશ માટે આપણે સ્પેશિયલ બાઈ પણ રાખીએ છીએ. બાળકને જેટલી વધુ માલિશ કરીએ તેટલું તે મજબૂત બને છે તેવું  આપણા વડીલો કહેતા આવ્યા છે અને આપણે માનતા આવ્યા છીએ, પરંતુ તમને જાણીને થોડું અચરજ થશે કે, આ માલિશ જરાય જરૂરી નથી. અરે, પિડિયાટ્રિશિયન તો આવી માલિશ કરવાનો વિરોધ કરે છે. જો બાળકની માતા તેને માલિશ કરે તો તેને માનસિક અને ભાવનાત્મક ફાયદો થાય છે. આ સિવાય તેના કોઈ ફાયદા નથી.
 
આપણે માનીએ છીએ કે…
 
વડીલો કહે છે કે, માલિશ કરવાથી બાળકના સ્નાયુઓ મજબૂત થાય, નવજાત બાળકના પગ વાંકા હોય એ માલિશથી સીધા થાય, તેનાં હાડકાં મજબૂત બને, સ્કિન સારી થાય, જન્મ વખતે જો તેના શરીર પર રૂવાંટી વધારે હોય તો માલિશ વડે એ ઘસાતી જાય અને પાંખી થતી જાય, સ્નાયુઓનો વિકાસ સારો થાય.
 
વિજ્ઞાન માને છે કે…
 
માલિશથી હાડકાં મજબૂત થતાં નથી કે રૂવાંટી દૂર થતી નથી. એનાથી બાળકની સ્કિનમાં કોઈ ખાસ ફેર પડતો નથી. જો માલિશ માટે કોઈ ગરમ તેલ જેમ કે લાલ તેલ કે ઑલિવ ઑઇલ કે ઓસડિયાંવાળું તેલ વાપરવામાં આવે તો બાળકની કુમળી સ્કિનને ખૂબ નુકસાન થાય છે. બજારમાં જે બેબી ઑઇલ મળે છે એ પણ દરેક બાળકને માફક આવતાં હોતાં નથી. આ ઉપરાંત બાળકનો વિકાસ ખોરાક પર હોય છે, માલિશ પર નહીં.
 
ડોકટર માને છે કે…
 
અમદાવાદના જાણીતા પિડિયાટ્રિશિયન ડૉ. જે.પી. વ્યાસ કહે છે કે, ‘બાળકની માતા દ્વારા જો તેને માલિશનો લાભ મળે તો બંને વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ બને છે. બાકી માલિશ કરવાથી મસલ્સ મજબૂત થાય છે કે સ્કિન સ્મૂધ થાય છે એવું કંઈ જ હોતું નથી. બાળકોની સ્કિન તો સોફ્ટ હોય જ છે. હા, માલિશની સાઈડ ઈફેક્ટ ભલે ન હોય, પરંતુ તેની કોઈ ઈફેક્ટ પણ હજુ સુધી સાબિત થઈ નથી.
 
લોકો જેટલા માને છે તેટલા ફાયદા થતા નથી. બાળક એની જાતે જ ધીમે ધીમે બધું શીખવાનું છે. આપણે બાળકને માલિશ કરીને ઝડપથી મજબૂત બનાવવાનું વિચારીએ તો તે શક્ય હોતું નથી. બાળક પહેલેથી ફલેક્સિબલ હોય જ છે. વળી, બાળકને રૂવાંટી દૂર કરવા ચણાનો લોટ ઘસીને નવડાવવામાં આવે છે, તે પણ બાળક પર જુલમ જ છે.’
માલિશથી થતો ફાયદો
 
માલિશ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તેનાથી અચૂક ફાયદો થાય છે. તે રિલૅક્સ થાય છે. તેના મસલ્સ રિલૅક્સ થવાથી તેને પડ્યા-પડ્યા જે થાક લાગતો હોય તે દૂર થાય છે અને તેથી જ માલિશ કરી નાહીને બાળકને સરસ ઊંઘ આવે છે.
 
ટચ-થેરપી
 
બાળકની માલિશ જ્યારે તેની માતા કરે છે ત્યારે તે ખૂબ અસરકારક સાબિત થાય છે, કારણ કે એ ફક્ત માલિશ નહીં, ટચ-થેરપીની ગરજ સારે છે. માનો પ્રેમભર્યો સ્પર્શ બાળક માટે જરૂરી હોય છે. તેનાસ્પર્શમાંથી બાળક પ્રેમ અને સુરક્ષા અનુભવે છે. એને કારણે મા અને બાળક વચ્ચેનું બૉન્ડિંગ પણ ખૂબ સ્ટ્રૉંગ બને છે. બાળક રડે તો તેનાં ફેફસાં મજબૂત થાય છે તે પણ ગેરમાન્યતા છે. બાળક જન્મે તેના બે દિવસની અંદર જ બાળક રડે ત્યારે તેનાં ફેફસાં ખૂલી જાય છે. ત્યાર પછી બાળકને રડાવવાની કોઈ જરૂર હોતી નથી.