ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By વેબ દુનિયા|
Last Updated : શુક્રવાર, 8 એપ્રિલ 2016 (16:15 IST)

બાળકોને ટીવીમાં આવતા ગપ્પા કાર્યક્રમો જોવા દેવાને બદલે પુસ્તકો વાંચવા તરફ વાળો

W.D
ભારતમાં સૌપ્રથમ ટેલીકોમ ક્રાંતિ લાવનાર ડો. સામ પિત્રોડા અમરેલી એક સમારોહમાં આવ્યા હતા. જેમાં તેમણે ભારતના ટેકનોલોજી ક્ષેત્રમાં હાર્ડવેર તેમજ બાયોટેકનોલોજીમાં ભારે પડકાર હોવાનું જણાવેલ હતું તેમજ દરેક વાલીઓને બાળપણથી બાળકોને ટેલીવીઝનમાં આવતા ગપ્પા કાર્યક્રમોના બદલે વિવિધ ક્ષેત્રના વાંચન તરફ વાળવા સલાહ આપી હતી.

અમરેલીના કામનાથ મંદિરના પટાંગણમાં અખિલ ગુજરાત લુહાર સુથાર સમાજ દ્વારા 'વિશ્વકર્મા રત્ન એવોર્ડ' નામે એક સમારોહ યોજયો હતો. આ કાર્યક્રમમાં લુહાર-સુથાર સમાજના આગેવાનો, લુહાર સાપ્તાહીકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમજ અધ્યક્ષ સ્થાને ટેલીકોમ ક્રાંતિના પ્રણેતા ડો. સામ પિત્રોડા આવ્યા હતા. જેમણે ભારતમાં સૌપ્રથમ આ ક્રાંતી લાવી ભારતને ટેકનોલોજીની દુનિયામાં નવો રાહ ચીંધ્યો હતો.

તેમની સાથે તેમના પત્નિ અંજુબેન તેમજ દુરદર્શન અમદાવાદના પૂર્વ ડાયરેકટર જયંતભાઈ પંચાલ સહીતના હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં આગેવાનોએ ડો. સામ પિત્રોડાનું મોમેન્ટો- શાલ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે ડો. સામ પિત્રોડાએ ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાના યોગદાનના પાછલા ૫૦ વર્ષોની યાત્રાનો ટુંકો પ્રવાસ કરાવ્યો હતો કે તેઓ બોટ લઈને કઈ રીતે અમેરીકા અભ્યાસ કરવા ગયા. ત્યાંથી તેઓ ભારત આવ્યા બાદ કનેકટીવીટી માટે રાજીવ ગાંધી તેમજ ઈન્દીરા ગાંધીને મળ્યા. કઈ રીતે તેમણે ટેલીકોમ ક્ષેત્રે પ્રગતિ કરી તેની વાત જણાવી હતી.

હાલ ટીવી માધ્યમો દ્વારા જે જુઠાણા ફેલાવવામાં આવે છે તેનાથી દુર રહેવા તાકીદ કરી હતી. આ ઉપરાંત બાળકોને હોંશિયાર બનાવવા સલાહ આપી હતી. નાનપણથી જ બાળકોને ટીવીમાં આવતા ગપ્પા કાર્યક્રમો જોવા દેવાને બદલે વિવિધ ક્ષેત્રના પુસ્તકોનું વાંચન કરવા તરફ વાળવા જણાવ્યું હતું.

ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતની હાલની સ્થિતિ કેવી છે તેના વિશે તેમણે કહ્યું કે ભારતનું સોફટવેર ક્ષેત્ર સારૃ છે પરંતુ હાર્ડવેર તેમજ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં હજુ ઘણું કરવાનું બાકી છે તે પડકારરૃપ છે. જો કે નવી કેટલીક ટેકનોલોજી આગામી સમયમાં લોન્ચ થઈ રહી છે તેવું કહ્યું હતું.

વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે આપણા દેશમાં ૩૦ કરોડ ગરીબ વર્ગ છે. રાજીવ ગાંધીના સમયમાં પણ ભ્રષ્ટાચાર હતો. આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે પરંતુ તેનો સાચો ફાયદો સાચા લોકો ઉઠાવી શકતા નથી. ગામડે ગામડે એસોસીએશન કરી સરકારની યોજનાનો લાભ લેવો જોઈએ.