શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : બુધવાર, 4 નવેમ્બર 2015 (15:35 IST)

તંત્ર વાસ્તુ પ્રમાણે દિવાળી તથા અન્ય દિવસોમાં શું કરવું કે ન કરવું જોઇએ

તંત્ર વાસ્તુ કહે છે કે કલિયુગનો યુગધર્મ ‘શક્તિ ઉપાસના’ જ છે આનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. ‘ક્લોં ચન્ડી વિનાયકો’ તેનો અર્થ એવો છે કે કળિયુગ પ્રબળ થશે, આ ઉપાસના મહામાયાની ઉપાસના, વ્રત તથા સાધના છે. અને શક્તિ મા ભગવતી ભવાની છે. દીપાવલીના આ શુભ દિવસોમાં આ શક્તિને જાગ્રત કરીને આપની આજુબાજુ એટલે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી આ ત્રણ દિવસમાં શક્તિ ઉપાસના કરવામાં આવે છે.

તંત્ર વાસ્તુ પ્રમાણે આ શક્તિ એટલે ઊર્જા જે સકારાત્મક છે અને આ શક્તિ દરેક દિશામાં અલગ-અલગ છે. તંત્ર વાસ્તુ એવું કહે છે કે શક્તિ જ જીવન છે, શક્તિ જ ધર્મ છે, શક્તિ જ ગતિ છે, શક્તિ જ આશ્રય છે અને શક્તિ જ સર્વસ્વ છે.આ સમજીને પરમાત્મારૂપી શક્તિને આપણે આપણાં ઘર, ફેક્ટરી, ઓફિસ વગેરે જગ્યાએ સ્થાપિત કરવી જોઇએ.દીપાવલીના આ દિવસોની ઉપાસના આખા વર્ષ સુધી સકારાત્મક ઊર્જાથી ભરી દે છે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે છે.

તંત્ર વાસ્તુમાં ઇશાન ખૂણાને ભગવાનની પૂજા કરવા માટેનો ખૂણો કહેલો છે. આ ખૂણામાં ભગવાન સદાશિવ સાક્ષાત્ છે. એટલે જ ઇશાન ખૂણામાં મંદિર બનાવીએ છીએ. શક્ય હોય તો આ ખૂણો ખાલી રાખવો જોઈએ તથા કચરો એકઠો ન થવા દેવો જોઇએ. આ ખૂણાથી ખૂબ જ પ્રગતિ થાય છે અને સંતાનો ભાગ્યશાળી બને છે. માટે આ ખૂણામાં કચરો, સાવરણી, બૂટચંપલ ન રાખવા જોઈએ.

વધુ આગળ


દિવાળી પહેલાં ઘરને સાફ સફાઇ કરવામાં આવે છે તો આ વખતે નીચેની બાબતો ખાસ ધ્યાન રાખીને સફાઇ કરશો.

*ઘરના દરેક ખૂણાને વ્યવસ્થિત સાફ કરવા, ખૂણામાં રહેલા કરોળિયાનાં જાળાં, બાવા વગેરે દૂર કરવા. બધી જ ઘરવપરાશની વસ્તુઓ સાફ કરીને ચોખ્ખી કરવી.
*દરેક રૂમને પાણીથી ધોવા.
*બાથરૂમ, સંડાસની અંદરની ટાઇલ્સ ખરાબ હોય અથવા તૂટેલી હોય તાત્કાલિક બદલી નાખવી.
*આખા ઘરની અંદર પાણીમાં આખું મીઠું નાખીને તેના વડે પોતું કરવું.
*ટયુબલાઇટ, પંખા વ્યવસ્થિત સાફ કરવા.
*તૂટેલા લેમ્પ, ખરાબ રમકડાં, તૂટેલી ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ, ખરાબ ફોન, મોબાઇલ વગેરે વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં. તેનો નિકાલ કરી દેવો.
*દીવાલો પર તિરાડ હોય તો પુરાવી દેવી અને આછો કલર કરવો. પૂર્વની દીવાલ હોય તો આછો પિસ્તા, દક્ષિણમાં આછો લાલ, પશ્ચિમમાં વાદળી, ઉત્તરમાં આછો લીલો અથવા સફેદ, ઇશાનમાં આઇવરી, અગ્નિમાં પિસ્તા, નૈઋત્યમાં ગુલાબી અને વાયવ્યમાં સફેદ અથવા આકાશી કલર કરવાથી ઘર-ઓફિસ ઊર્જામય બને છે.
*ઘર સાફ કર્યા પછી ઘરની મધ્યમાં અથવા દરેક રૂમની મધ્યમાં કપૂર સળગાવવું. આ પ્રયોગ દરરોજ કરવો.
*ન જોઇતી ફોટોફ્રેમ, જૂનાં કપડાં, જૂનાં ન પહેરતા બૂટચંપલ કાઢી નાખવા.
*ઘરની અંદર બંધ પડેલી ઘડિયાળ રાખવાની નહી અને હાથમાં પહેરવી પણ નહીં. બંધ ઘડિયાળને ચાલુ કરવી. વાસ્તુના નિયમ મુજબ ભેટ તરીકે કોઇને ઘડિયાળ આપવી કે લેવી નહી. જો લેવી પડે એમ હોય તો સામે કંઇક પૈસા આપી દેવા.
*મંદિર ઉપરથી બધો કચરો સાફ કરવો. મંદિર ઉપર અગરબત્તી, દીવા કરવા માટેનું રૂ, ધાર્મિક પુસ્તક કે ફોટો એવું કશું જ રાખવું નહીં.
*ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો કે ત્રાંસો ન રાખવો જો તૂટેલ હોય તો રિપેર કરાવી લેવો.
*બારીઓના કાચ તૂટેલા હોય તો તાત્કાલિક બદલી નાખવા અને બારીઓને લાલ રંગ કરવો નહી. જો લાલ હોય તો આઇવરી રંગ કરવો.
*ઘરની અંદર કોઇ ટાઇલ્સ તૂટેલી હોય તો આ દિવાળીએ બદલી નાખવી.
*રસોડાના પાણિયારા સામે અથવા નજીક સંડાસ હોય તો અકસ્માત અને ઓપરેશનના સંજોગ બને છે.
*પ્રવેશદ્વારની સામે સંડાસ ન હોવું જોઇએ જો હોય તો તાત્કાલિક એક પડદો કરવો.
*ઘરમાં મહાદેવની પ્રતિમા ઉપર જળધારા થતી હોય તેવી પ્રતિમા ન રાખવી.
*હિંસક પ્રાણીના ફોટા કે ચામડાં ન રાખવા. જો હોય તો તેનો નિકાલ કરવો.
*મુખ્ય દરવાજાની વચ્ચે કે આજુબાજુ સાવરણી ન રાખવી.
*તૂટેલા અરીસા કાઢી નાખવા. નવા અરીસા ખરીદી લેવા.
*ઘરમાં બે મંદિર ક્યારેય ન રાખવા.
*દાદર નીચે મંદિર કે તિજોરી રાખવી નહીં.
તંત્રના ઉપાયો
*ધનતેરસના દિવસે મુખ્ય દરવાજા પર આંબાના પાનનું તોરણ બાંધવું. સાથે નાગરવેલનાં સાત પાન બાંધવા જેથી આ દિવસે લક્ષ્મીનું આગમન આપના ઘરમાં થાય.
*લક્ષ્મીકુબેર યંત્રની સ્થાપના કરવી અને તેનું પૂજન કરવું. આ યંત્રને ઉત્તર દિશાની દીવાલ ઉપર લગાડવું અથવા મંદિરમાં પૂજાના સ્થાનમાં રાખવું.
*ધનતેરસના દિવસે સવારે ગૌમૂત્ર, દૂધ અને ગંગાજળ ભેગાં કરીને આખા ઘરની અંદર છાંટવાથી વાસ્તુદોષ દૂર થાય છે. આ વખતે ૐ શ્રી વાસ્તુદેવાય નમઃ ના જપ કરતા આખા ઘરમાં પાણી છાંટવું.
*કાળી ચૌદશના દિવસે પશ્ચિમ દિશામાં સરસિયાના તેલનો દીવો કરવો અને બજરંગબાણનો પાઠ કરવો.
*કાળી ચૌદશના દિવસે આપના દરવાજે આસોપાલવનું તોરણ બાંધવું અને આ તોરણમાં વચ્ચે ડમરાનાં ફૂલ અથવા પાંદડાં બાંધવાં.
*દ્વાર દોષ દૂર કરવા માટે દરવાજે દર્ભને બાંધવો જરૂરી છે.
*પશ્ચિમ દિશામાં મુખ કરીને હનુમાનજીની ઉપાસનાથી પશ્ચિમ દિશાનો દોષ દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
*શુભમન્ય યંત્રની પૂજા કરવી અને આ યંત્ર સિદ્ધ કરીને મંદિરમાં મૂકવું.
*દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજે બન્ને બાજુ કેળનાં પાન લગાડવાં અને આસોપાલવનું તોરણ બાંધવું તથા લાલ કલરના નાના લેમ્પ આખી રાત ચાલુ રાખવા.
*મુખ્ય દરવાજાની બંને બાજુ ગોળ મૂકવો. તેના પર દીવો કરવો જેથી વાસ્તુદોષ દૂર થાય.
*દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતી વખતે ચોપડામાં હળદર, કેસર, કંકુના છાંટણા કરવા અને આપનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવું.
*પૂજા કરતી વખતે પીળી અથવા લાલ ધોતી પહેરવી. આ દિવસે કાળા કલરનાં કપડાં પહેરવાં નહીં.
*શ્રીયંત્ર અથવા લક્ષ્મીધારા યંત્રનું વિધિસર પૂજન કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. માટે આ ત્રણ દિવસોમાં તેનું અચૂક પૂજન કરવું.
*આ દિવસોમાં વાસ્તુદેવનું પૂજન કરવું અને ઇશાન ખૂણામાં લાડુનું નૈવેદ્ય ધરાવવાથી ઇશાન દોષમાં રાહત મળે છે.
*પૂર્વનો દોષ દૂર કરવા ઇન્દ્રાવતી યંત્રને આ દિવસોમાં સિદ્ધ કરાવવું અને તેને પૂર્વની દીવાલ ઉપર લગાડવું. યોગ્ય બ્રાહ્મણ અથવા જાણકાર વ્યક્તિ પાસે સિદ્ધ કરાવવું.
*વાસ્તુ મેડિટેશન દરરોજ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

*૧૧ ગોમતી ચક્ર, ૨૭ કોડી, ૯ સફેદ ચણોઠી, ૯ કાળી ચણોઠી, ૯ આખી લાલ ચણોઠી, ૭ લવિંગ, ૯ એલચી, ૩ હળદરની ગાંઠો, નાગકેસર, ચોરસ ચાંદીનો ટુકડો, સોનાનો ટુકડો, તાંબાનો ટુકડો અને ૯ રત્નને કાળી ચૌદશના દિવસે રાત્રે ૧૨ વાગ્યથી ૨ વાગ્યા સુધીમાં આ દરેક વસ્તુને લાલ કપડામાં બાંધવી અને પછી ૨૭ વખત હનુમાન ચાલીસા અથવા હનુમાન જંજીરાના પાઠ કરવા, પછી આ પોટલીને ઘરના, દુકાનના અથવા ફેક્ટરીના મુખ્ય દરવાજા ઉપર લગાડવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને સફળતા મળે છે.
*કાળી ચૌદશના દિવસે ભૈરવને પાણીનો પ્યાલો ચડાવી તે પ્યાલાના પાણીને ઘર, ઓફિસ કે ફેક્ટરીની ફરતે રેડવામાં આવે તો પ્રેતદોષ લાગતો નથી. મુશ્કેલીમાંથી માર્ગ મળે છે. જો આ શક્ય ન હોય તો નૈઋત્ય દિશામાં આ પ્યાલો રાખી મૂકવો અને બીજા દિવસે સવારે ચાર રસ્તે મૂકવાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે.