ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By પારૂલ ચૌધરી|

દિવાળી પર જુગાર રમવું જરૂરી છે?

W.DW.D

આજકાલ દરેક પ્રકારની પરંપરાને આધુનિકતામાં ઢાળી દેવામાં આવી છે. આ જ રીતની એક પરંપરા છે પત્તા રમવાની પરંપરા. એવું કહેવામાં આવે છે કે દિવાળીની રાત્રે પત્તા રમનાર પર લક્ષ્મી દેવીની કૃપા થાય છે અને તે ધનધાન્યથી પરિપૂર્ણ થઈ જાય છે. આ રમતમાં જે જીતી જાય છે તે તો ખુબ જ ખુશ થઈ જાય છે પરંતુ કોઇને તો હારવું જ પડે છે. પરંતુ જે હારે છે તે આગામી દિવાળીની રાહ જોઈ નથી શકતું અને એક બીજી રમત રમવા માટે ઉત્સુક થઈ જાય છે. આ રીતે બાજી પર બાજી અને અંતે હારીને ઘરે જવા સિવાય બીજો કોઇ જ છુટકો નથી હોતો.

પહેલાં તે જાણો કે પરંપરા કેમ અને ક્યારથી શરૂ થઈ? આની પાછળ પણ એક વાર્તા છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે લક્ષ્મીજીએ તેમના પતિ શિવજી સાથે પાસા રમ્યા હતાં અને કહ્યું હતું કે, જે પણ આ દિવસે આ રીતના પાસા રમશે તેના પર આખુ વર્ષ લક્ષ્મીજી પ્રસન્ન રહેશે. પરંતુ લોકોએ આનો ખોટો અર્થ કાઢીને જુગાર રમવા લાગ્યાં. આ દિવસે પૈસાને ખુબ જ મહત્વ આપવામાં આવે છે અને જુગાર રમવો એ પણ શુભ માનવામાં આવે છે. જુગારીઓ તો એવું કહે છે કે, જે આ દિવસે જુગાર નથી રમતાં તેઓ આગલાં જન્મમાં ગધેડાઓ બને છે. તો દિવાળીના આખા અઠવાડિયા દરમિયાન કસીનો અને જુગાર ઘરવાળાઓને તો લીલા લહેર થઈ જાય છે.

લોકો ઘરે પોતાના દોસ્તો અને સંબંધીઓને બોલાવીને જુગાર રમે છે. બધા જ લોકોને આ દિવસે તો ખુલ્લી રીતે જુગાર રમવાનું લાયસંસ મળી જાય છે. રમનાર કહે છે કે ઇલોરાના કૈલાશ મંદિરમાં શિવ-પાર્વતીને સોગઠાં રમતાં બતાવ્યાં છે અને આ પરંપરા ખુબ જ જુની છે.

તેઓ તે જાણવા માંગે છે કે આ વર્ષે તેમના ભાગ્યમાં શું છે? જુગારમાં જીતનાર એમ માને છે કે આ વર્ષે દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે.પરંતુ આ વાત અહીં સુધી સીમિત નથી રહેતી પરંતુ એક વખત તેનો સ્વાદ લાગવાથી આ લત છુટતી જ નથી અને જુગારી જેવો માણસ આખા વર્ષ માટે જુગારમાં ફસાઈને રહી જાય છે. એટલા માટે સારૂ એ જ રહેશે કે દિવાળીની સ્વસ્થ પરંપરાઓને નિભાવો અને જુગાર જેવી પરંપરાઓને નકારો.