ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 19 ફેબ્રુઆરી 2014 (14:10 IST)

પરિવર્તન પાર્ટી અને ઝડફીયાનો રપમીએ જાહેર કાર્યક્રમ યોજી ભાજપમાં પ્રવેશ

P.R
પરિવર્તન પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા ટીમ સાથે તા. રપ મીએ અમદાવાદમાં ભવ્‍ય જાહેર કાર્યક્રમ યોજી ભાજપમાં પ્રવેશ મેળવશે. મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ કેસરીયો ખેસ પહેરાવી તેમને આવકારશે. તેમના ભાજપ પ્રવેશની સાથે જ પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થઇ જશે. ગુજરાતમાં વધુ એક પ્રાદેશીક પક્ષ અસ્‍ત થવા આડે ગણતરીના દિવસો બાકી રહયા છે.

છેલ્લા કેટલાક સમયથી ગોરધનભાઇ ભાજપ તરફ ઝુકયા હતા. તેઓ પરિવર્તન પાર્ટીના પ્રમુખ બન્‍યા પછી તેમનો ભાજપ પ્રવેશ નિヘતિ બનેલ. રાજયભરના પાર્ટીના કાર્યકરોને અમદાવાદમાં હાજર રાખી ભાજપમાં પ્રવેશ મેળવવાનું આયોજન થયું છે. તેમનું નામ ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે ચર્ચાવા લાગ્‍યું છે. ગયા વખતે તેઓ મજપાના ઉમેદવાર તરીકે ચુંટણી લડી દોઢ લાખ મત ખેંચી ગયા હતા. તેમને ભાજપમાં લોકસભાની ટીકીટ નહિ તો પાર્ટીનું મહામંત્રી પદ અથવા તેને સમકક્ષ કોઇ સ્‍થાન અપાય તેવી પ્રબળ શકયતા છે. શ્રી ઝડફીયા સાતેક વર્ષ બાદ માતૃ સંસ્‍થા ભાજપમાં પાછા ફરી રહયા છે.

ગુપપા - ભાજપા મર્જરમાં ખોડલધામના નરેશ પટેલ મહત્વની ભૂમિકા

કેશુભાઈ પટેલે વિધાનસભ્ય તરીકેની પોતાની ઇનિંગ્સ ડિક્લેર કર્યા બાદ ગુજરાત પરિવર્તન પાર્ટી (GPP)ને અન્ય કોઈ પૉલિટિકલ પાર્ટીમાં મર્જ કરવા માટે GPPના પ્રમુખ ગોરધન ઝડફિયાને પક્ષના હોદ્દેદારોએ સત્તા સોંપી છે, પણ પડદા પાછળ ખોડલધામના નરેશ પટેલ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. એક મહિના પહેલાં નરેશ પટેલ કાગવડમાં નરેન્દ્ર મોદી અને ગોરધન ઝડફિયાને એકસાથે એક મંચ પર લાવ્યા હતા. આ વિલિનીકરણ વિશે નરેન્દ્ર મોદી અને ગોરધન ઝડફિયા વચ્ચે આજે બંધ-બારણે મીટિંગ યોજાવાના શક્યતા છે. તમામ પાસાંઓની ચર્ચા-વિચારણા કર્યા બાદ BJPમાં મર્જ થવાનો નિર્ણય ગોરધન ઝડફિયા કરી શકે છે.

કાગવડમાં ખોડલધામ ટ્રસ્ટે ૨૧ જાન્યુઆરીએ ઍગ્રોવિઝન ઇન્ડિયા ૨૦૧૪ કૃષિ મહાકુંભ યોજ્યો હતો જેમાં નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગોરધન ઝડફિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને એક મંચ પર મોદી અને ઝડફિયાની હાજરીએ ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું. ગોરધન ઝડફિયાએ એક ઔપચારિક મુલાકાતમાં કહ્યું હતું કે હા, મને નરેશભાઈએ આમંત્રણ આપ્યું હતું અને હું આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો.

BJPથી અલગ થઈને ગોરધન ઝડફિયાએ મહાગુજરાત જનતા પાર્ટી રચી હતી અને નરેન્દ્ર મોદી સામે લડત આપી હતી. જોકે તેઓ જોઈએ એટલા સફળ નહોતા થયા. ત્યાર બાદ કેશુભાઈ પટેલ BJPમાંથી જુદા થયા ત્યારે તેમની સાથે મળીને GPP રચી હતી અને નરેન્દ્ર મોદી તેમ જ BJP સામે લડત આપી હતી. હવે જ્યારે નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી માટે વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા છે અને તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવાનું અને જીતવાનું અભિયાન છેડાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં તમામ ૨૬ લોકસભાની બેઠકો અંકે કરવાનું લક્ષ્ય BJPએ રાખ્યું છે. ગુજરાતમાં આવતા નાના-મોટા અંતરાયોને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને એના ભાગરૂપે ગોરધન ઝડફિયા સહિત આખી પાર્ટીને BJPમાં મર્જ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જો એમ થાય તો ગોરધન ઝડફિયા સહિત તેમની પાર્ટીના કાર્યકરો નરેન્દ્ર મોદી અને BJPને જિતાડવાના કામમાં લાગી જાય અને BJPનું કામ આસાન બને.