શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2014 (12:25 IST)

મતદારોની સંખ્‍યામાં તોતીંગ વધારોઃ ર૪% ફાળો ૧૮-૧૯ની વયના

P.R


ચૂંટણી પંચે રજૂ કરેલા નવા આંકડાઓ અનુસાર આગામી લોકસભા ચૂંટણીઓમાં પ્રત્‍યેક મતવિસ્‍તારમાં ૧૮-રર વર્ષની વયના લગભગ ૯૦,૦૦૦ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. આ વાતથી હંમેશા અધીરા અને મહત્‍વકાંક્ષી એવા યુવા મતદારોનું મહત્‍વ ઓછુ આંકવાની ભુલ એક પણ રાજકીય પક્ષને પાલવે તેમ નથી તે નોંધવુ રહ્યુ.

આ ચૂંટણીમાં દરેક બેઠકોમાં સરેરાશ ૧.૭૯ લાખ નવા વોટરો ઉમેરાયા છે અને પાછુ આમાંથી અંદો ર૪ ટકા અથવા તો ૪ર,૦૦૦ જેટલા ૧૮-૧૯ની વય જુથવાળા મતદારો છે કે જેઓ આ વખતે પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ આંકડો બહુ મહત્‍વનો છે કારણ કે ર૦૦૯ની ચૂંટણીમાં રર૬ લોકસભા બેઠકોમાં હાર-જીતનું અંતર પણ આ આંકડાથી ઓછુ હતુ.

હવે જો આમા રર વર્ષ સુધીના વોટરને પણ ઉમેરવામાં આવે (જેઓ ર૦૦૯માં હજુ મતદાન કરવા લાયક ન હતા) તો આ વખતે દરેક મતવિસ્‍તારમાં પહેલીવાર વોટીંગ કરી રહેલા મતદારોનો આંકડો ૯૦,૦૦૦ પર પહોંચે છે. વધુમાં રર-ર૩ વર્ષના વોટર પણ હશે કે જેઓ હજુ બીજી વખત જ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી રહ્યા હશે.

ચૂંટણી પંચે રજુ કરેલા સુધારેલ આંકડાઓ અનુસાર ૧લી જાન્‍યુઆરી ર૦૧૪ સુધીમાં દરેક લોકસભા મતવિસ્‍તારમાં ૧૮-૧૯ વર્ષની વયજુથના સરેરાશ ૪ર,૦૦૦ મતદારોએ પોતાના નામ નોંધાવ્‍યા છે.

વધુમાં રાજસ્‍થાન (રપ બેઠકો), છત્તીસગઢ (૧૧), મધ્‍યપ્રદેશ (ર૯), પશ્ચિમ બંગાળ (૪ર), ઉત્તર પ્રદેશ (૮૦) અને આસામ (૧૪) ૬ રાજયો કે જયાં કુલ મળીને ર૦૧ લોકસભા બેઠકો ફાળવવામાં આવેલ છે ત્‍યાં તો વળી ૧૮-૧૯ વર્ષના વોટરોની સંખ્‍યા રાષ્‍ટ્રીય સરેરાશ કરતા પણ વધારે છે.

ગત લોકસભા ચૂંટણીમાં ૭૧.૭ કરોડ મતદારોની નોંધણી થઇ હતી. જેમાં આ વખતે ૧૩.૬% કરોડ મતદારો પોતાનો અમૂલ્‍ય વોટ આપશે. સમગ્ર આંકડાઓને આવરી લઇએ તો મતદારોની સંખ્‍યામાં આ તોતીંગ વધારામાં ર૪% ફાળો ૧૮-૧૯ની વયજુથના મતદારોનો રહેલો છે. ૧૮-ર૩ વર્ષની વયજૂથના મતદારોની અંદાજીત સંખ્‍યા ૪.૮૭ કરોડ પર પહોંચે છે.

આ આંકડાઓથી ભાજપમાં પ્રસન્‍નતાનું મોજુ ફરી વળ્‍યુ છે કારણ કે યુવા મતદારો રાજકીય વિચાધારાના બોજ હેઠળ દબાયેલા ન હોવાથી વર્તમાન કોંગ્રેસ સરકાર વિરોધી વાતાવરણમાં ભાજપ તરફી વલણ દાખવી શકે છે. અમુક નેતાઓનું માનવુ છે કે આ યુવા મતદારો ર૦૦ર ગુજરાત તોફાનો સમયે ૬ થી ૧૦ વર્ષના હોવાને કારણે તેઓ નરેન્‍દ્ર મોદી ફરતે ચાલી રહેલ બિનસાંપ્રદાયિક ચર્ચાઓનું જુદુ અર્થઘટન તારવી શકે છે.

ભાજપના મહાસચિવ પી.મુરલીધર રાવ કે જેઓ પાર્ટીના યુવા મોરચાના ઇન્‍ચાર્જ છે તેમનુ કહેવુ છે કે યુવા મતદારોનું માનસિક વલણ હજુ અન્‍ય વિચારધારાઓથી પ્રભાવિત નથી થયુ. તેમના માટે ભ્રષ્‍ટાચાર, મોંઘવારી અને રોજગારી માટે ભારે અજંપો વર્તાય રહ્યો છે. આ યુવા મતદારો માટે સુશાસન મહત્‍વનો મુદ્દો બની ગયો છે. અમે વિવિધ માધ્‍યમો થકી યુવાવર્ગ સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.