ખુમારી, ખમીર, સાહસિક, વતન પરસ્ત કચ્છી માડુઓનું નવુ વર્ષ, અષાઢી બીજ
તા.૧૦ને અષાઢી બીજના રોજ કચ્છ માડુઓ નવા વર્ષની ઉજવણી કરશે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભકામના પાઠવશે. સિંઘ અને ગુજરાતને વેરાન રણ પ્રદેશ દ્વારા જોડતો અને બાકીની ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલ કચ્છ પ્રદેશ કુદરતની કોઇપણ કૃપાથી વંચિત એટલે ઓછો વરસાદ ખેતીવાડીની નહિવત સગવડ અને ઉદ્યોગ ધંધાની સવલત ન હોવાને કારણે વર્ષોથી ઉપેક્ષિત રહેવા પામેલ અને સ્થાનિક રોજગારીની કોઇ તકો ન રહેતા કચ્છીઓમાં સાહસિકતાનો ગુણ વિકાસ પામ્યો. આનેક ારણે કુદરતે આપેલ દરિયાઇ ભૌગોલિક પરિબળની દિશા પોતાનું અસ્તિત્વ ટકાવવા ધંધા-રોજગારની તકો શોધવા વિચારતો કર્યો. આ રીતે યુગો પહેલા કચ્છી દરિયાઇ વહાણવટુ તથા વિદેશ વેપાર-રોજગાર માટે દરિયા પારના દેશોમાં આવતો જતો થયો. ભલે અભણ હોવા છતાં વ્યવહારિક બુધ્ધિ અને કોઠાસુઝના કુદરતી ગુણને કારણે કચ્છી સાહસિક વેપારીઓ આફ્રિકા, અરબસ્તાન છેક દુર પુર્વના દેશોમાં પોતાની વેપારી પેઢીઓ સ્થાપી શકયા.
ભારતમાં પણ મુંબઇ, કોચીન, કલીકટ, મદ્રાસ, કલકતા સુધી કચ્છી સાહસિક વેપારીઓ તથા પેઢીઓના વહીવટકર્તાઓનો વ્યાપ વિસ્તર્યો, આને કારણે જ વર્ષોથી દેશીવહાણ બાંધકામના કુશળ કારીગરો તથા વહાણોને વિદેશ લઇ જવા માટેના કુશળ નાવિકો-નેવીગેટર્સ, માલમોની એક પરંપરાગત પેઢીને પણ સ્થાનિક ધંધો રોજગારની તકો પુરી પડવા લાગી. આમ છતાં પરદેશ ગયેલ કચ્છીઓમાં વતનપ્રેમ તથા વતન પરસ્તી અકબંધ રહેવા પામેલ. તેના અનેક ઉદાહરણો જાહેર દવાખાનાની સગવડો, ધાર્મિક સ્થાનોના બાંધકામો, શૈક્ષણિક સંસ્થાઓ અને ધર્મશાળાઓની સ્થાપના વિગેરે આજે પણ જોઇ શકાય તેમ છે. વિદેશમાં વસતા કચ્છીઓ દ્વારા વતનમાં કુટુંબીઓને મોકલવામાં આવતુ વિદેશી હુંડીયામણ કદાચ આખા એશિયાની બેંકોની શાખાઓની સરખામણીમાં સૌથી વધુ હોવાનું કચ્છની કેરા-બળદીયાની બેંકોની શાખાઓમાં નોંધાયેલ છે. જે કચ્છીઓની વતન પરસ્તીનો એક આદર્શ નમૂનો છે.