શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By એજન્સી|
Last Modified: સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:31 IST)

નરેન્દ્ર મોદીનો રાજકિય ઇતિહાસ

કાર્યકરમાંથી મુખ્યમંત્રી સુધીની સફર

NDN.D

17 સપ્ટેમ્બર, 1950 ના દિવસે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં સામાન્ય મધ્યમવર્ગના પરિવારમાં નરેન્દ્રભાઈનો જ્ન્મ થયો હતો. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમનામાં નેતૃત્વના ગુણોનો વિકાસ થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપનામાં નરેન્દ્રભાઈનો પણ ફાળો રહેલ છે. રાજ્યશાસ્ત્રની અંદર અનુસ્નાતક થયેલ નરેન્દ્રભાઈ અભ્યાસકાળ દરમિયાન પણ રાજકારણમાં સક્રિય રહેલાં.

1974 માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. કટોકટી દરમિયાન ભુગર્ભમાં રહીને મોદીએ કટોકટીનો વિરોધ કર્યો હતો. 1980 ની અંદર ભાજપમાં જોડાયા. ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચેના સંબંધોમાં સેતુરૂપે કામગીરી બજાવી. 1988 માં ગુજરાત પ્રદેશ ભાજપના જનરલ સેક્રેટરી બન્યાં. 1990માં ગુજરતની અંદર ચીમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જનતાદળ સરકાર બની ત્યારે સૌ પ્રથમ ભાજપે સરકારમાં ભાગીદારી કરીમે સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. પરંતુ જનતાદળ સાથે ભાજપની ભાગીદારી લાંબો સમય સુધી ટકી નહતી પરંતુ હવે ભાજપ સત્તા મેળવવા માટે અધીરૂ બની ગયું હતું. ગુજરાત ભાજપે વરિષ્ઠ નેતાઓ શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ સોમનાથથી અયોધ્યા રથયાત્રાનું આયોજન થયું. જેની અંદર નરેન્દ્ર મોદીનો સિંહ ફાળો રહ્યો હતો. અડવાણીના ચહેરાને સમગ્ર દેશમાં ચમકાવવા પડદા પાછળ નરેન્દ્ર મોદીની ભુમિકા મહત્વની રહી જે આગળ જતાં ભાજપને સત્તા અપાવવામાં સફળ રહી. 1988 થી 1995 સુધી ગુજરાતમાં સંગઠન ક્ષેત્રે નરેન્દ્રભાઈએ અથાગ મહેનત કરેરે કાર્યકરો વચ્ચે ફરીને ભાજપને મજબૂત કર્યો. સામાન્ય કાર્યકરથી લઈને છેક પ્રદેશ પ્રમુખ સુધી ભાજપનું સંગઠન સત્તા સુધી પહોચી શકે તે માટે દિવસ-રાત એક કરી ગુજરાતના ગામડાઓ અને શહેરો ખુંદી વળ્યાં. ભાજપ એટલે હિંદુત્વ. હિંદુત્વના મુદ્દાને ભાજપે આખા દેશમાં ગુંજતો કર્યો અને સત્તા મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી. હિંદુત્વના હામી, હિંદુત્વના રક્ષણહાર, અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિર બનાવીશું, 302 ની કલમ કાશ્મીરમાંથી દુર કરીશું જેવા મુદ્દાઓ ભારતની બહુમતિ હિન્દુ પ્રજામાં આશાઓને જ્ન્મ આપી મત મેળવવામાં સફળ રહ્યાં. 1995 ની અંદર ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરીક નરેન્દ્ર મોદી બિરાજ્યાં અને તેમને ભારતના પાંચ રાજ્યોની જવાબદારી સોંપી. 1998માં તેઓ સેક્રેટરી બન્યાં જે પદ તેમણે ઓક્ટોમ્બર 2001 સુધી નિભાવ્યું. ત્યાર બાદ ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ થયાં.
W.DW.D

1995માં ગુજરાતમાં ભાજપની સરકાર બની. શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રીની હરોળમાં હતાં. કેશુભાઈ મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યાં. ગુજરાતના ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતાં કેશુભાઈનું મુખ્યમંત્રી પદે બીરાજવું એ ખાસ કરીને ગુજરાતના ખેડુતો અને પટેલ જ્ઞાતિ માટે ગૌરવની વાત હતી.

ગુજરાતનો પટેલ સમુદાય ભાજપની પડખે ઉભો હતો. કેશુભાઈના નેતૃત્વ હેઠળ જ્વલંત વિજયી અપાવી ગાંધીનગરની ગાદી પ્રાપ્ત કરવામાં ભાજપને પટેલ સમુદાયે તન, મન અને ધનથી મદદ કરેલી. પરંતુ ભાજપની આ વિકાસગાથામાં દિલ્હી બેઠેલા નરેન્દ્ર મોદીએ પાસા ફેંકવાની શરૂઆત કરી નાંખેલી. ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદીમાં રહેલી મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષાએ ધીરે ધીરે તેનો રંગ બતાવવાની શરૂઆત કરી. શંકરસિંહ વાઘેલાની સતત ઉપેક્ષા થાય તેવા પ્રસંગો બનવા લાગ્યાં. એવી ઘટનાઓનું નિર્માણ થવા લાગ્યું જેમાં શંકરસિંહ વાઘેલા અપમાનજનક સ્થિતિમાં મુકાવું પડે અને તે પણ એટલી હદ સુધી કે એકે સમયના ગુજરાત ભાજપના આદરણીય નેતા શંકારસિંહ વાઘેલા જેઓની રાજકીય કારકિર્દીની શરૂઆત જનસંઘ, આરએસએસ અને ભાજપમાં રહીને ગુજરાતમાં સત્તાના સૂત્રો કબજે કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. કોંગ્રેસની સામે જેઓ સતત લડતાં રહ્યાં હતાં તેવા નેતાને ભાજપામાંથી બહાર નીકળવા માટે મોદીએ તેમને મજબુર કર્યા. કેશુભાઈ અને શંકરસિંહ વચ્ચેના સંબંધો તંગ કરાવવામાં પણ તેઓ સફળ રહ્યાં હતાં. ત્યાર બાદ કેશુભાઈ કેશુભાઈ 2001 માં વિનાશક ભુકંપ આવ્યો હતો જે કેશુભાઈના રાજકીય જીવનમાં પણ હંમેશા ભારે અને હળવા ઝટકા આપતો રહ્યો. ત્યાર બાદ કેશુભાઈ સરકારની મીડિયામાં સતત ટીકાઓ થતી રહી. દિલ્હી બેઠેલા મોવડી મંડળને ગુજરાતની અંદર નેતાગીરી બદલવા માટે સમયાનુસાર માંગણીઓ થતી રહી.
PRP.R

સાબરમતી, સાબરકાંઠા અને વડોદરાની ચુંટણીમાં કોંગ્રેસની વિજયે કેશુભાઈની વિદાય નક્કી કરી દિધી. અને કેશુભાઈને રાજીનામું આપવું પડ્યું. ત્યાર બાદ દિલ્હીથી ગાંધીનગરની ગાદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદી આરૂઢ થયાં. ગુજરાતની અંદર મોદીત્વ, મોદીનીતિ, મોદીઝમ, મોદીનિષ્ઠા, મોદીના જયજયકારની શરૂઆત થઈ. મોદીના મનની ઈચ્છા પુર્ણ થઈ. પોતાની ઇચ્છાને પુર્ણ કરવા મોદીએ ક્ષત્રિય કોમના આગેવાન અને પટેલ કોમના આગેવાન નેતાને દુર કર્યા. ભાજપમાંથી માત્ર અને માત્ર મોદીનો જ જયજયકાર કરે તેવા આક્રમક કાર્યકરોની ટોળકીઓ બનાવી જેનું એકમાત્ર લક્ષ્ય મોદી સામે પડતાં પક્ષનાં નેતાઓનો વિરોધ કરવો. ભાજપમાં મોદીનું શાસન જળવાઈ રહે અને વિરોધ કરનાર પક્ષ રાજનીતિમાંથી બહાર ફેંકાઈ જાય તેવી નીતિરીતિનો અમલ અસ્તિત્વમાં આવ્યો. ભાગલા પાડો અને રાજ કરો તેવા અંગ્રેજોના સૂત્રને અમલમાં મુકીને સફળતાપૂર્વક સરકાર ચલાવી. પ્રજાની લાગણી જીતવામાં નરેન્દ્ર મોદીને ગુજરાતના રાજકારણની અંદર કોઈ પહોચી શકે તેમ નથી.

આમ સામાન્ય કાર્યકરમાંથી મુખ્યમંત્રી સુધીની સફર કરવામાં હજું સુધી મોદી સફળ રહ્યાં છે પરંતુ તેમનું ભવિષ્ય આગામી સમયમાં જ નક્કી થશે.

(અમદાવાદના પ્રત્રકાર ધર્મેન્દ્ર વ્યાસના સહકારથી)