શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ભાષા|

મોદીની સામે ટક્કર આપશે દિનશા પટેલ

મણિનગરની બેઠકથી ઊભા રહેલા ભાવી મુખ્ય પ્રધાન દિનશા

PTIPTI

નવી દિલ્હી (ભાષા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે ખેડાના રહેવાસી અને કેન્દ્રીય રાજયકક્ષાના પેટ્રોલિયમ પ્રધાન દિનશા પટેલને મેદાનમાં ઉતારીને ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. કોંગ્રેસે અચાનક જ સ્વરછ પ્રતિભા ધરાવતા દિનશાનું નામ જાહેર કરીને મોદીના તેજ ઘોડાને અટકાવવાનો પ્રયાસ કર્યો છે. દિનશા પટેલ આજે બુધવારે બપોરે સાડા 12 કલાકે સરકારી પોલિટેકનિક આંબાવાડી ખાતે ઉમેદવારી નોંધાવશે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મણિનગરની બેઠક માટે કોંગ્રેસે દિનશા પટેલનું નામ જાહેર કરીને ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે. દિનશાની પસંદગી પાછળનું મુખ્ય કારણ તેમની સ્વચ્છ પ્રતિભા અને ગૌરવપૂર્ણ જાહેર જીવન છે. કોંગ્રેસે તેમને ઉમેદવાર બનાવીને મણિનગરમાં રામાયણનું યુદ્ધ થશે તેવું વાતાવરણ ઊભું કર્યું છે.

જો કે, કોંગ્રેસે દિનશાને ઉમેદવાર બનાવીને એક કાંકરે અનેક પક્ષી માર્યા હોવાનું જાણકાર સૂત્રો કહે છે કે, નરેન્દ્ર મોદી સામે દિનશાની ઉમેદવારીને કારણે મણિનગરની બેઠક માટે એક વર્તમાન મુખ્યપ્રધાન અને બીજા મુખ્યપ્રધાન પદના દાવેદાર વચ્ચે પ્રતિષ્ઠિત જંગ ખેલાશે. દિનશાની ઉમેદવારીના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં પણ નવો પ્રાણ પુરાયો છે.

બન્ને વચ્ચેની તુલના કરતા કોંગ્રેસના એક આગેવાને જણાવ્યું કે, એકતરફ ગાંધી-સરદારના સત્ય અને અહિંસાના મૂલ્યોનું જતન કરનારા દિનશા પટેલ અને જયારે બીજીતરફ હિંસા અને અસત્યના પ્રતીક એવા મોદી છે. એકતરફ સાદો અને જમીન સાથે જોડાયેલો માનવી જયારે સામે પક્ષે વૈભવી અને સતત લકઝરીમાં રાચતો વ્યકિત છે.

મણિનગરમાં ચરોતરના પટેલોનો વિશાળ સમૂહ છે. આ ઉપરાંત કોંગ્રેસની વોટબેન્ક એવા ક્રિશ્ચિયન અને લઘુમતી સમાજની પણ ખાસ્સી એવી સંખ્યા છે. પટેલ સમાજના મતોનું વિભાજન ન થાય અને મુખ્યપ્રધાન મોદીને ટક્કર આપે તેવા ઉમેદવારોમાં દિનશાથી ચઢિયાતો કોઈ ઉમેદવાર કોંગ્રેસ પાસે ન્હોતો. અગાઉ આ બેઠક માટે પીઢ ગાંધીવાદી ચુનીભાઈ વૈધ, કેન્દ્રીય કાપડપ્રધાન શંકરસિંહ વાધેલા અને પ્રસિદ્ધ નિત્યાંગના મિલ્લકા સારાભાઈના નામની ચર્ચા હતી, પરંતુ દિનશાના નામ સાથે આ તમામ નામોની અટકળો ઉપર પૂણર્વિરામ મુકાઈ ગયું છે.

જયાં સુધી ભાજપને લાગે વળગે છે ત્યાં સુધી કોંગ્રેસે મણિનગરની બેઠક ઉપરથી દિનશાને મુકીને નરેન્દ્ર મોદીને પોતાના મત વિસ્તારમાં જ રહેવું પડે તેવી સ્થિતિ સર્જી છે. સામાન્ય રીતે મુખ્યપ્રધાન સામે વિરોધી પક્ષને કોઈ ઉમેદવાર મળતો નથી પરંતુ કોંગ્રેસે સક્ષમ પટેલ ઉમેદવાર મુકીને આ માન્યતાનું ખંડન કર્યું છે.

બે વર્ષ પહેલાં રાજયમાં યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં મોદીએ સાતેય કોર્પોરેશનમાં એકલા હાથે પ્રચાર કરીને કોંગ્રેસનો સફાયો કર્યો હતો. ભૂતકાળના આ અનુભવને યાદ કરીને કોંગ્રેસે મુખ્યપ્રધાન મોદીના વિસ્તારમાં ટક્કર આપે તેવો ઉમેદવાર મુકીને મોદીને રાજયભરમાં વીજળીવેગે પ્રચાર કરતા અટકાવીને કોંગ્રેસ તેનો મહત્તમ ફાયદો ઉઠાવી શકે.

'' હુ અને મારી પાર્ટી 101 ટકા સાથે વિજયી થઈશું અને હું ગુજરાતમાંથી હમેશા હમેશા માટે નરેન્દ્ર મોદીને રવાના કરી દઈશ'' આવું કહેવું છે દિનશા પટેલનું કે, જેણે ગુજરાત વિધાનસભા ચૂંટણી મેદાનમાં મોદીની તલવારના પ્રહારને જિલવા માટે પોતાની ઢાલ સામે રાખી છે. આખરે લાંબા સમયની મહેનત રંગ લાવી અને ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કોઈ ટક્કર આપી શકે તેવો વ્યક્તિ કોંગ્રેસને મળી જ ગયો. 70 વર્ષની ઉમર હોવા છતાં પણ તેનામાં એ જ જોમ અને જુસ્સો છે જે એક રણયૌદ્ધામાં હોવો જોઈએ.