શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

શું મોદીનો મુખવટો કામ લાગશે ખરો ?

મોદીએ સોહરાબુદ્દીનનું એન્કાઉંટર કરાવ્યું !

જનકસિંહ ઝાલા
PRP.R

'kkકોંગ્રેસ જણાવી રહી છે કે, મોદીએ સોહરાબુદ્દીનનું એન્કાઉંટર કરાવ્યું. હવે તમે જ જણાવો મારે શું કરવું જોઈતું હતું ? શું એ માટે મારે સોનિયાબેનની મંજૂરી લેવાની જરૂર હતી અને છતાં પણ જો હું દોષી હોય તો દેશની કેન્દ્ર સરકાર મને ફાંસીના માંચડે ચડાવી શકે છે ?

હવે આ નિવેદનને પણ વાંચો... -
'ગુજરાત તો શું, જમ્મૂમાં દરરોજના કેટલાક આતંકવાદીઓ એન્કાઉંટરનો ભોગ બને છે. હું એન્કાઉંટરનો નહી પરંતુ નકલી એન્કાઉન્ટરનો વિરોધી રહ્યો છું. કોંગ્રેસ અધ્યક્ષે જ મને ચૂંટણી પ્રચારમાં હિન્દુત્વનો મુદ્દો ઉપાડવા માટે ઉત્તેજિત કર્યો અને જ્યારે પણ કોંગ્રેસ આ મુદ્દો ઉપાડશે ત્યારે હું પણ તેનો ઉલ્લેખ કરીશ. મને મારો પક્ષ રાખવાનો સ્વતત્ર અધિકાર છે.'

વ્યક્તિ એક અને નિવેદન બે, તે પણ બિલ્કુલ વિપરીત, આ વાત કંઈ સમજમાં ન આવી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ આ બન્ને અલગ-અલગ વિધાનો આપ્યા છે. સોહરાબુદ્દીનને એન્કાઉંટરનો હકદાર ગણાવીને તેઓ કદાચ ગુજરાત ચૂંટણી તો જીતી જ જશે પરંતુ પછી શું ? મોદીને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો છે કદાચ તેઓ ખુદ પણ નહી જાણતા હોય. શું સોહરાબુદ્દિનના પરીજન, જાણીતી સામાજિક કાર્યકર તીસ્તા શિતલવાડ અને ચૂંટણી પંચના પ્રહારનો મોદી સામનો કરી શકશે ?
NDN.D

'દિલ કો દેખો ચેહરા ના દેખો, ચેહરે ને લાખોં કો લૂટા, દિલ સચ્ચા ઔર ચેહરા ઝૂઠા...' ફિલ્મ સચ્ચા-ઝૂઠાનું આ ગીત મને યાદ આવી ગયું. અહીં પણ આપણે જો મોદીજીનો ચહેરો ન જોઈએ અને માત્ર તેમનું દીલ જોવાનો પ્રયત્ન કરીએ તો ચાહવા છતાં પણ આપણે તે જોઈ શકીશુ નહી કારણ કે, આજે મોદીજીના સમર્થકો પણ તેમનો મુખવટો પહેરીને ભાજપના ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયાં છે. હવે વિચારવાનું એ છે કે, ગુજરાતની બુદ્ધિશાળી જનતા આ પ્લાસ્ટિકના મુખવટા પાછળનો સાચો ચહેરો જોઈ શકશે ખરી. મને તો ભાજપની પાર્ટી નહી પરંતુ કોઈ 'માસ્કરેડ પાર્ટી' લાગી રહી છે જ્યાં તમામ લોકો એક જેવા જ કપડા અને મુખવટા પહેરીને ઉભા છે.

દુ:ખની વાત તો એ છે કે, અહીં માત્ર એક જ વ્યક્તિનો મુખવટો છે અને તે છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો.આખરે વાજપેયી, અડવાણી અને રાજનાથના મુખવટા ક્યાં ગયા ? બજારમાં તો મને ક્યાંય જોવા ન મળ્યાં. મુખવટા બનાવનારી કંપનીઓએ એ વિષે શા માટે ન વિચાર્યું. કદાચ તેઓના મુખવટા બનાવીને તેમને નુકશાન વેઠવું અયોગ્ય લાગ્યું હશે.

એટલું જ નહીં ચૂંટણી પ્રચારમાં ભાજપનું ચૂંટણી ચિન્હ 'કમળ' પણ મને ક્યાંય દેખાતું નથી. કદાચ આ કમળ કરમાઈ ગયું તો નહી હોય ને ? શું ભાજપના માળીઓ તેમને પાણી પાવાનું બંધ કરી દીધુ ?

મને યાદ છે એક સમય હતો જ્યારે ચૂંટણી દરમિયાન મારા રાજકોટ શહેરની દરેક શેરીઓ અને દીવાલો પર ભાજપનું આ સુત્ર ' મહોર લાગશે શાનથી અને કમળ જીતશે નિશાનથી' લખેલું દ્રશ્યમાન થતું હતું.

હવે તો 'મોદીત્વ' ની સામે 'હિન્દુત્વ' નું તેજ પણ ઝાંખુ થઈ ગયું છે. કદાચ આ મુદ્દો આગામી પાંચ વર્ષ માટે ખુંટીએ લટકાવી દેવામા આવ્યો છે. હવે તો માત્ર અને માત્ર 'સોહરાબુદ્દીન' અને 'મૌત કા સૌદાગર' જેવા મુદ્દાઓ જ ભાજપની કાર્યશાળામાં હાજરી આપી રહ્યાં છે.

કૃષિ, પશુપાલન, ગ્રામીણ વિકાસ, સિંચાઈ, ઉદ્યોગ અને ઊર્જાના ક્ષેત્રોને 23 પૃષ્ઠના ઘોષણાપત્રમાં બંધ કરી દેવામાં આવ્યાં છે અને આ પૃષ્ઠોમાં 'અલ્પસંખ્યક' ના નામ પર 'ચેક રબ્બર' લગાવી દેવામાં આવ્યું છે.

ભાજપાના પ્રવક્તા પુરુષોત્તમ રૂપાલા નરેન્દ્ર મોદીને 'ગુજરાતની અસ્મિતાના પ્રતીક' અને 'વન-મેન શો' ગણાવે છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ મોદીને 'વિકાસ પુરુષ' નહીં પરંતુ 'વિનાશ પુરુષ' જણાવી રહી છે. ખુદ સોનિયા ગાઁધી મોદીને 'મૌતના સૌદાગર' કહે છે. મને તો આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની નહી પરંતુ મોદી વિરુદ્ધ સોનિયાની લાગી રહી છે.