સોનિયાજીની આજે ગુજરાતમાં જાહેરસભાઓ
1લી ડિસે. 12 વાગ્યે ચિખલીના ગામે અને 2 વાગ્યે જસદણમાં
અમદાવાદ (એજંસી) ગુજરાત રાજયમાં વિધાનસભાની ચૂંટણીની પૂર્વે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી ગુજરાતમાં આજે શનિવારે આવી રહ્યા છે, તેઓ રાજકોટ જિલ્લાનાં જસદણ અને સુરતનાં ચીખલી ખાતે શરૂ કરીને કુલ દસ જાહેરસભા સંબોધશે અને તેમાં રાહુલ ગાંધી પણ રોડ-શો યોજશે તેમ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે જણાવ્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે, તા.1 ડીસેમ્બરના રોજ શ્રીમતી સોનિયા ગાંધી રાજકોટ જિલ્લાનાં જસદણ અને સુરતનાં ચીખલી ખાતે જાહેરસભાઓ સંબોધશે. જસદ્ણમાં તા.1 ડીસેમ્બરે બપોરે 2 વાગ્યે સોનિયાની જાહેરસભા સંબોધશે. આ ઉપરાંત 4 ડીસેમ્બરે પણ કચ્છ્, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ જાહેરસભાઓ સંબોધી છે. જયારે તા.8મી ડીસેમ્બરે ત્રણ અને તા.13 ડીસેમ્બરે બે જાહેરસભા સંબોધશે. 13મીએ છેલ્લી જાહેરસભા અમદાવાદ ખાતે યોજાશે. આ ઉપરાંત કોંગ્રેસનાં યુવા સાંસદ-રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રોડ-શો યોજી ચુંટણી પ્રચાર કરશે તેમ કેન્દ્રીય મંત્રીશ્રી સુબોધકાંત સહાયે જણાવ્યુ હતું. રાજ્યના 14 જિલ્લાની 87 બેઠકો માટે 11મી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસના પ્રચારને વેગ આપવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી 1લી ડિસેમ્બરથી ગુજરાતમાં 1, 4, 8 અને 13 ડિસેમ્બરે કુલ 10 જાહેર સભાઓને સંબોધશે, આ ઉપરાંત વડાપ્રધાન મનમોહન સિંહ પાછલા તબક્કામાં ગુજરાત આવશે. તેઓ 1લી ડિસેમ્બરના રોજ દિલ્હીથી વિમાનમાર્ગે સવારે સુરત આવી પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત નવસારીના ચિખલી તાલુકાના જમાનપાડા ગામે પહોંચશે જ્યાં બપોરના 12 વાગે તે સભાને સંબોધશે. આ કાર્યક્રમ પૂરો થયા પછી તેઓ સીધા સુરત આવશે અને અહીંથી હેલિકોપ્ટરથી જસદણ જશે જ્યાં તે બપોરના 2 વાગ્યે સભાને સંબોધન કરી રાજકોટ આવશે અને અહીંથી સાંજે દિલ્હી પાછા ફરશે.જાણવા મળ્યા મુજબ સોનિયાના આગમનના એક દિવસ અગાઉ તેમના રાજકીય સચિવ અહેમદ પટેલ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સહિત આગેવાનો ગુજરાત આવશે.અગાઉ સોનિયા ગાંધીની જાહેરસભા રાજકોટ પાસેના કુવાડવા કે જે વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં છે ત્યાં યોજાવાની હતી, પણ છેલ્લી 4 ટર્મથી જસદણની બેઠક પર વિજેતા કોંગ્રેસના કોળી ઉમેદવારના આગ્રહથી છેલ્લી ઘડીએ ફેરફાર કરી સોનિયા ગાંધીની સભા જસદણ ખાતે યોજવાનું નક્કી થયું હતું. વાંકાનેરમાં ભાજપના મહિલા ઉમેદવાર બીજીવાર લડી રહ્યા છે. તેમનો માર્જીન તોડવાના હેતુથી સોનિયાજીની સભા કુવાડવા યોજવાનું નક્કી થયું હતું.