શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

કોણ ક્યાં કેટલા પાણીમાં ?

જિલ્લાવાર જુદા-જુદા પક્ષોની અત્યાર સુધીની સ્થિતિ

ઝાલાવાડ ઝટકો આપી શકે છ

PTI
પાણીની ખેંચને કારણે ખેતી કે ઉદ્યોગમાં કોઈપણ રીતે કાઠું નહી કાઢી શકનાર સુરેન્દ્રનગર જિલ્લાને પછાત જિલ્લાનું લેબલ લાગી ગયેલું છે. ચીનમાં જિલ્લાના કપાસની નિકાસ થાય છે. આવા આ જિલ્લામાં વર્ષ 2002માં ગોધરકાંડ પછીના હિન્દુત્વના મોજામાં છમાંથી ત્રણ બેઠક ઉપર ભા.જ.પ. વિજયી બન્યું હતું. બે કોંગ્રેસ પાસે રહી હતી અને એક અપક્ષના ફાળે ગઈ હતી. આ વર્ષે ભા.જ.પમાં આંતરિક અસંતોષ અને કેશુભાઈ જૂથના અસંતુષ્ટોના કારણે જિલ્લાની દરેક બેઠકો ઉપર મતદાન પર અસર થશે અને કેટલાંક આશ્રર્યજનક પરિણામો મળે તો નવાઈ નહીં.

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણની સીટ ઉપર ધનરાજભાઈએ બળવો કરતાં ત્રિપાંખિયો જંગ થશે. જ્યારે ધ્રાંગધ્રા અને હળવદની બેઠક ઉપર મતદાનમાં અસર થશે. લીંબડી, દસાડા - પાટડી અને સાયલા - ચોટીલાની બેઠક ઉપર ભા.જ.પ.ના આંતરિક ડખાની ન્યુનત્તમ અસર થશે. ક્યા મત વિસ્તારમાં કોના મતદારો કેટલા પ્રમાણમાં મતદાન કરશે તેના ઉપર પરિણામનો આધાર છે. આમ આ ચૂંટણીમાં જ્ઞાતિવાદની સાથે બૂથ મેનેજમેન્ટ અગત્યનું પરિબળ બની ગયું છે.

વઢવાણ

વઢવાણ મત વિસ્તાર વરસોથી ભા.જ.પ.નો ગઢ રહ્યો છે. 1998માં ભા.જ.પ.ના ધનરાજભાઈ કેલા 17000 મતે ચૂંટાઈ આવ્યા હતા તે વખતે ભા.જ.પ. કોંગ્રેસ અને રા.જ.પા. વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. રા.જ.પા. ત્રીજા ક્રમે રહ્યું હતું. ખજુરાહો પ્રકરણને કારણે કેશુભાઈ પ્રત્યેની સહાનુભૂતિનું મોજું હતું. વર્ષ 2002માં હિન્દુત્વના તીવ્ર મોજામાં ધનરાજભાઈ ફરીવાર 17000 જેટલા મતે ચૂંટાઈ આવ્યા. તેમને અગાઉ 1998ની ચૂંટણી કરતા 25 ટકા જેટલા વધુ મતો મળ્યા હતાં, જ્યારે કોંગ્રેસના રણજીતસિંહ ઝાલા બીજા ક્રમે રહ્યા હતાં. આ વેળા ધનરાજભાઈને ટિકીટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભા.જ.પ.ના ચૂસ્ત જનસંઘી પરિવારના વર્ષાબેન દોશીને ટિકીટ અપાઈ છે.

જ્યારે કોંગ્રેસમાંથી 10, જનપથના વફાદારી હિમાંશુભાઈ વ્યાસ લડી રહ્યા છે. વર્ષાબેન શાળાના આચાર્ય અને આર.એસ.એસ.નો પાયો ધરાવતા હોવાને કારણે ભા.જ.પ.ના નિશ્ચિત મનાતા મતો તેમને મળી શકે. આર.એસ.એસ. તેમને પૂરેપૂરી મદદ કરશે. જ્યારે સુરેન્દ્રનગરના વતની અને અમદાવાદ વસેલા હિમાંશુભાઈ વ્યાસ સામે સ્થાનિક કોંગ્રેસમાં અસંતોષ છે. આ સીટ ઉપર બ્રાહ્મણોના મત બળવાખોર ઉમેદવાર ધનરાજભાઈ કેલા કોને કેટલું નુકશાન કરે છે એ પરિણામ માટે નિર્ણાયક બની રહેશે.

સાયલા - ચોટીલા

સાયલા - ચોટીલાની બેઠક ઉપર કોળી જ્ઞાતિનું પ્રભુત્વ રહ્યું છે. છેલ્લી બે ચૂંટણીમાં ભા.જ.પ. ત્રીજા નંબરે રહ્યું છે. અહીં પક્ષ ઉમેદવારનું કામ અને જ્ઞાતિ જોવાય છે. 1998માં સવશીભાઈ 134558 મતે જીત્યા હતાં. 2002ના હિન્દુત્વના મોજામાં પોપટભાઈ ઝીંજરિયા અપક્ષ ચૂંટાઈ આવ્યા હતાં. આ વર્ષે પોપટભાઈ ઝીંજરિયાને કોંગ્રેસ તરફથી ટિકીટ મળી તો કરમશીભાઈ મકવાણાના દીકરી કલ્પનાબેન ધોરિયાને ટિકિટ ભા.જ.પે. આપી છે.

સાયલા - ચોટીલા વિસ્તારમાં સ્વ. કરમશીભાઈ મકવાણાના પરિવારના સંસ્થાકીય માળખાખિય નેટવર્ક, તેમની લોકો માટે કામ કરવાની નિષ્ઠા તેમની તરફેણ કરતું પરિબળ છે. જ્યારે પોંપટભાઈ ઝીંઝરિયા 2002ના વર્ષના હિન્દુત્વના મોજામાં ભા.જ.પ.ને હરાવી અપક્ષ ચૂંટાયા હતાં. તેમનું આગવું સગઠન આ વર્ષે શું પરિણામ આપશે તે એક સવાલ છે.


હળવદ - મૂળી

P.R
હળવદ - મૂળી મત વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચતો અનિયમિત વીજ પુરવઠો અને જર્જરિત રસ્તાઓ તથા ખેતી માટેની તંગી મુખ્ય સમસ્યાઓ છે. અહીં ભાજપના જયંતભાઈ કવાડિયા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે અને પરંતુ આ વર્ષ કોંગ્રેસે દેવજીભાઈ ફતેપરાને ઉમેદવાર બનાવી સરપ્રાઈઝ આપ્યું છે. 1998માં જયંતિભાઈ કવાડિયા એકાદ હજાર જેટલી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતાં. જ્યારે 2002માં હિન્દુત્વના મોજામાં પાંચ હજાર મતે ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લી બન્ને ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ધીરુભા ઝાલાએ ઉમેદવારી કરી હતી. આ વર્ષે કોંગ્રેસે દેવજીભાઈ ફતેપરાને ટિકિટ આપતાં ચૂંટણીમાં સ્પર્ધા થઈ છે. બહુજન સમાજ પાર્ટી તરફથી દલવાડી મતોનું વિભાજન પરિણામ પર અસર કરશે. આ બેઠક પર કોળી મતદારોની સંખ્યા રહેલી છે. જેનો લાભ દેવજીભાઈને મળે તેવી સંભાવના છે. હળવદનું પરિણામ આશ્રર્ય આપી શકે.

લીંબડી

લીંબડીમાં પીવાના પાણીની તંગી, બંધ થઈ ગયેલી મિલ અને અલ્પવિકસિત ઉદ્યોગના કારણે વિકાસ અટકી ગયો છે. 1998માં ભા.જ.પ.ના કિરીટસિંહ રાણા 7280 મતે ચૂંટાઈ આવ્યા હતાં. પરંતુ 2002ના હિન્દુત્વના મોજામાં ભા.જ.પ.ના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડે 19743 મતે હરાવ્યા હતાં. આ વર્ષે કિરીટસિંહ રાણા અને ભગવાનભાઈ ભરવાડ વચ્ચે સીધી જ સ્પર્ધા છે. આ ઉપરાંત કોળી ઉમેદવારો પણ ઉભા છે. કોળી મતદારોનું વિભાજન પરિણામ પર અસર કરશે.

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રામાં આઈ.કે. જાડેજા શહેરી વિકાસ મંત્રી થયા બાદ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે. શહેરને પીંક સિટી બનાવાયું છે. નપાણીયા ઝાલાવાડના મલકમાં પીવાનું પાણી નિયમિત મળે છે. તાલુકાના વિસ્તારોમાં મંત્રીએ ટિફીન બેઠકો યોજી આગવો લોકસંપર્ક કર્યો છે અને બાકી હતું તો ભરઉનાળામાં બે પુત્રી અને એક પુત્રને લઈ "બેટી બચાવો-માતૃવંદના યાત્રા' યોજીને આખો તાલુકો આવરી લીધો હતો

1998માં આઈ.કે. જાડેજા માત્ર 1197 મતે જીત્યા હતાં. ત્યારે બાદ 2002ના હિન્દુત્વના મોજામાં ધ્રાંગધ્રામાં ત્રિપાંખિયો જંગ થયો હતો. તેમાં અપક્ષ ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ અને કોંગ્રેસના શ્રી પરાક્રમસિંહ ઝાલા વચ્ચે ગળાકાપ હરિફાઈ થઈ હતી. જેમાં આઈ.કે. જાડેજાનો 1505 મતે વિજય થયો હતો. આ વર્ષે હિરાભાઈ પટેલને ટિકિટ આપતા ભા.જ.પ.ના અસંતુષ્ટ મતો અને પટેલ મતો પરિણામ પર મહત્વનો ભાગ ભજવશે. મંત્રીશ્રી આઈ.કે. જાડેજા કટ્ટર સ્પર્ધા વચ્ચે પાતળી બહુમતિથી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આ વેળા શુ થાય, કહેવાય નહીં.

પાટડી - દસાડા

ગરીબ અગરિયા અને બેહાલ પાટડી-દસાડાના વિકાસ માટે કોઈએ કાંઈ નક્કર કર્યું નથી. રાજકારણમાં મુકામ પર પહોંચવા માટે જાણે આ વિસ્તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1998માં ફકીરભાઈ વાઘેલા આશરે 23000ની જંગી બહુમતિથી જીત્યા હતા. પરંતુ 2002માં હિન્દુત્વનું મોજુ હોવા છતાં કોંગ્રેસના મનહરલાલ મગનલાલ મકવાણા સામે ફકીરભાઈ માત્ર 600 મતથી હારી ગયા હતા. કેટલાંક અજ્ઞાત આંતરિક પરિબળો અસર કરી ગયા હતા. આ વર્ષ ભાજપે ફકીરભાઈ વાઘેલાને રિપીટ કરવાને બદલે ધંધુકા પાસે ઝાંઝરકા મંદિરના મહંત શ્રી શંભુ મહારાજ ટુંડિયાને ટિકીટ આપીને કોંગ્રેસને ઉંઘતી ઝડપી લીધી છે. એકજ કોમના બન્ને ઉમેદવારો હોવા છતાં શંભુ મહારાજને મહંત હોવાનો લાભ મળશે.