10 ડિસેમ્બરે ચુંટણી પંચ અમદાવાદમાં
અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતની અંદર જ્યારે હવે ચુંટણી એકદમ સામે આવીને ઉભી છે ત્યારે ભારતના ચુંટણીપંચના વડાઓ ગુજરાત રાજ્યની મુલાકાત દરમિયાન તૈયારીઓને છેલ્લો ઓપ આપી રહ્યાં છે. રાજકોટ અને સુરતની મુલાકાત બાદ તેઓ હવે 10 ડિસેમ્બરે અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ અહીં 11 મી ડિસેમ્બરે યોજાનાર ચુંટણી માટે મહત્વની સૂચનાઓ આપશે. ચુંટણી પંચના સુત્રોએ જણાવ્યું હતું કે ભારતના ચુંટણી પંચના મુખ્ય કમિશ્નર એન.ગોપાલસ્વામી અને અન્ય બે નવીન ચાવલા અને એમ કુરેશીએ તાજેતરમાં સુરત અને રાજકોટની મુલાકાત લીધી હતી. તેઓએ ત્યાં બે દિવસ રોકાણ કરીને ચુંટણીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો અને પંચની સામે આવેલ આચારસંહિતાને લગતી થોકબંધ ફરિયાદોનો નિકાલ કર્યો હતો.આ મુલાકાત દરમિયાન તેઓએ સંવેદનશીલ મતદાર મથકોએ સલામતી વ્યવસ્થા ઉભા કરવા માટે જીલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો હતો. આ ટીમ પોલીસના વડાઓ, કલેક્ટરો અને ચુંટણી પંચના નિરીક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે આવી રહી છે. ચુંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની ચુંટણી યોજાવાની છે ત્યાંના જીલ્લા કલેક્ટરો, વડાઓ, ઉચ્ચ પોલીસ અમલદારો અને જીલ્લાના નિરીક્ષકોની બેઠક બોલાવી છે અને તેમને ચુંટણી પંચના કમિશ્નર એન. ગોપાલસ્વામી અને તેમની ટીમ માર્ગદર્શન આપશે. આ ઉપરાંત 16મીએ 95 બેઠકોની ચુંટણી યોજાવાની છે તેને પણ પ્રથમદર્શી અહેવાલ આપશે.