ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વાર્તા|

મોદીએ તસ્લીમાંનો ઉલ્લેખ કરતા વિવાદ

પહેલા ગુજરાતની મહિલાઓનું રક્ષણ કરો - કોંગ્રેસ

PTIPTI

અમદાવાદ (એજંસી) બાંગ્લાદેશની વિવાદાસ્પદ લેખિકા તસ્લીમા નસરીનના મુદ્દે નરેન્દ્ર મોદીએ રાજકીય વિવાદ ઊભો કર્યો છે. ગઇ કાલ મંગળવારે મોદીએ તસ્લીમાને રક્ષણ આપવા બાબતે જણાવ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર તેની રક્ષા ન કરી શકે તો તેઓએ તસ્લીમાને ગુજરાત મોકલી દેવી જોઈએ. જેના જવાબમાં કોંગ્રેસે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, મોદી પહેલા ગુજરાતની મહિલાઓનું રક્ષણ કરવાની પોતાની ફરજ પૂરી તો કરે. અગાઉ આરએસએસએ પણ તસ્લીમા માટે રાજકીય આશ્રયની માંગણી કરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સંસદીય બાબતોના મંત્રી પ્રીયરંજન દાસ મુનશીએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, મોદી આવું કહીને પોતાના ભૂતકાળના પાપોને ધોવાનો પ્રયત્ન કરે છે. પહેલા તેમણે તેમના આત્માની શુઘ્ધિ કરવી જોઈએ અને ત્યારબાદ તેના સમગ્ર પક્ષની.

જ્યારે આ બાબતે કોંગ્રેસના પ્રવકતા અભિષેક સંઘવીએ કહ્યું કે, તસ્લીમાને ગુજરાતમાં આશરો આપતા પહેલા મોદીએ ઊભા થયેલા અનેક સવાલોનું નિરાકરણ કરવું પડશે. મોદીએ પહેલા તો ગુજરાતની મહિલાઓને રક્ષણ પુરું પાડવાની શરૂઆત કરી દેવી જોઈએ. અમે જાણીએ છીએ કે, મોદીએ ગુજરાતની મહિલાઓ માટે શું કામો કર્યા છે.

સંઘવીએ એમ પણ કહ્યું કે, આ કેટલું દંભી અને મિથ્યાચાર જેવું લાગે કે જે રાજયમાં ભાજપની જ સત્તા છે તે રાજસ્થાન તસ્લીમાને કાઢી મૂકે અને અન્ય રાજય કે જેમાં ભાજપ જ સત્તા પર છે તે તસ્લીમાને આશરો આપવાની ઓફર મૂકે છે.

ભાવનગર જિલ્લાના બોટાદ ખાતેથી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર શરૂ કરતા મોદીએ ગઈ કાલે કોંગ્રેસના ઢોંગી બિનસાંપ્રદાયિક વલણ પર આકરા પ્રહારો કર્યા હતાં અને તસ્લીમાને ગુજરાતમાં આશરો આપવાની પેશકશ કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ૪૫ વર્ષની લેખિકા ગયા અઠવાડિયે હિંસક રમખાણોના કારણે કોલકતાથી રાજસ્થાનના જયપુર ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ રાજસ્થાને કાઢી મૂકતા તેને કેન્દ્રના આશરે હાલ કોઈ અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવી છે.