શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: સોમવાર, 25 ફેબ્રુઆરી 2008 (15:34 IST)

રિલાયન્સ પાવરમાં 5 સામે 3 બોનસ શેર

શેરધારકો માટે શેરની પડતર-કિંમત રૂ. 430થી ઘટીને 269 થઇ જશે-અનિલ અંબાણી

PRP.R

મુંબઇ(ભાષા) રિલાયન્સ પાવરના આઇપીઓને ઉગારવા માટેના એક મક્કમ પ્રયાસરૂપે અંબાણી કો. ગ્રૂપ ચેરમેન અનિલ અંબાણીએ પ્રમોટરો સિવાયના શેરધારકોને તેમના દર પાંચ શેરની સામે ત્રણ બોનસ શેર આપવાની ઘોષણા કરી છે, જેના પગલે આ શેરધારકો માટે શેરની પડતર-કિંમત રૂ. 430થી ઘટીને 269 થઇ જશે.

પ્રાપ્ત માહિતી મુજબ લિસ્ટિંગના દિવસે ભારે ફટકો સહન કરી ચૂકેલા રિલાયન્સ પાવરના આઇપીઓને ઉગારવા બોનસ શેર અંગે રિલાયન્સ પાવરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા લેવાયેલા નિર્ણયની ઘોષણા કરતાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ તેમના પ્રમોટર્સ ક્વોટામાંથી રૂ. 5,000 કરોડના શેર રિલાયન્સ એનર્જીમાં ટ્રાન્સફર કરશે.

તેના પરિણામે રિલાયન્સ પાવરમાં જાહેર હિસ્સેદારી 10 ટકાથી વધીને 15 ટકા થઇ જશે, જ્યારે અનિલ અંબાણીનો હિસ્સો 45 ટકાથી ઘટીને 40 ટકા થશે. અનિલ અંબાણીના પર્સનલ શેર રિલાયન્સ એનર્જીમાં ટ્રાન્સફર કરવાનું પગલું પ્રમોટર કંપનીને રિલાયન્સ પાવરમાં 45 ટકા શેરહિસ્સો અકબંધ રાખવા માટે સક્ષમ બનાવશે.

અનિલની ઘોષણાથી એ સંભાવનાઓનું પણ શમન થઇ ગયું છે કે, રિલાયન્સ પાવરના શેરધારકોને બોનસ શેર આરઇએલના શેરધારકોના ભોગે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 11 ફેબ્રુઆરીએ લિસ્ટિંગના દિવસે રિલાયન્સ પાવરનો શેર રૂ.372ના ભાવે બંધ રહ્યો હતો. અત્રે પત્રકાર પરિષદને સંબોધતાં અનિલે જણાવ્યું હતું કે, "પ્રસ્તાવિત બોનસ શેરોને કારણે આરઇએલના શેરધારકોનો હિસ્સો 45 ટકાથી ઘટીને 42.5 ટકા થશે તેનું હું રક્ષણ કરીશ. રિલાયન્સ પાવરમાં આરઇએલનો શેરહિસ્સો 45 ટકાએ યથાવત્ રહે તે માટે હું મારા પર્સનલ શેર આરઇએલના શેરધારકોને વિના મૂલ્યે ફાળવવાનો છું.”

અનિલ અંબાણીએ તેમના પર્સનલ શેરહિસ્સામાંથી 2.6 ટકા શેર સ્વેચ્છાએ રિલાયન્સ પાવરમાંથી રિલાયન્સ એનર્જીમાં ટ્રાન્સફર કરતાં રિલાયન્સ પાવરમાં તેમનો શેરહિસ્સો 45 ટકાથી ઘટીને 40 ટકા થઇ જશે.