શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 13 જાન્યુઆરી 2016 (12:00 IST)

જો તમારે ખરેખર શાંતિથી જીવવું હોય તો સહન કરતા શીખવું પડશે

માનવીના મનોરથો જાણવા માટે એમને સવાલ કરવામાં આવે તો જવાબોની યાદી લાંબી બની જાય. અનેક પ્રકારના મનોરથો હોવાના જવાબ મળવાના પણ આ તમામના વિશ્ર્લેષણ કરવામાં આવે તો આ મનોરથોના વર્ગીકરણ માત્ર ત્રણ જ પ્રકારના થવાના. પ્રથમ તો માનવી સમાજમાં વધુમાં વધુ લોકપ્રિય બનવાના અથવા બીજા શબ્દોમાં કહીએ તો વધુ ઈન્સાનોની માન્યતા મેળવવાના મનોરથો રાખે. બીજો પ્રકાર એટલે જીવનમાં અસાધારણ સિદ્ધિ મેળવવાની ઝંખના અને ત્રીજા સ્થાન પર આવે અમાપ સત્તા મેળવવાના મનોરથ. રાજકારણ, અર્થકારણ અથવા સાંસ્કૃતિક ક્ષેત્રમાં સાહિત્યના સર્જન, સંગીત નૃત્યના પૂજારી અથવા ચિત્રકાર બનવા માગતા તમામ મહત્ત્વાકાંક્ષી જીવોના મનોરથો આ ત્રણ વર્ગમાં જ બંધબેસતા આવવાના.

પણ મનોવૈજ્ઞાનિકો માટે મૂંઝવણ અને વ્યક્તિના સભાનતાના માનસના જવાબો સારા ગણવા કે તેમના અસમાનતાના માનસમાંથી જે જવાબો બહાર આવે તેમને? એ બન્નેમાંથી કયા જવાબો સાચા ગણવા. પ્રશ્ર્નપત્રો આપીને જવાબો લખવાની પદ્ધતિના માર્ગે કસોટી કરવામાં આવે ત્યારે જવાબો સભાનતાના માનસમાંથી આવવાના કારણ જવાબો લખવામાં પરીક્ષાર્થી પોતાના નિર્ણયો બતાવે. પણ તેમની મનોવૈજ્ઞાનિક મૌખિક પરીક્ષા લે ત્યારે મનોવૈજ્ઞાનિક તેમના અસભાનતાના માનસમાં વસતા મનોરથો બહાર કાઢવાના. બન્ને માનસો પૈકી કયા માનસના જવાબો સાચા ગણવા એ ગયા બે દાયકાથી ભારે વિવાદનો વિષય બની ગયો છે. આમ છતાં મોટાભાગના મનોવૈજ્ઞાનિક સ્વીકારે છે કે બન્ને પદ્ધતિઓ અસરકારક છે માનવીઓના સ્વભાવના ઉંડાણમાં ડોકિયાં કરવા માટે.

પ્રત્યેક માનવીના બે વ્યક્તિત્વ હોય જ. બન્ને એકબીજાથી અલગ, સભાનતાના વ્યક્તિત્વ અલગ પ્રકારના. માનવી જે વ્યક્તિત્વ બતાવવા માગે અને બતાવી શકે તે સભાનતાનું, પણ એના ઉંડાણમાં રહે છે એના અસભાનતાનું વ્યક્તિત્વ. એની બે સ્વાભાવિકતા ગણી શકાય. અજાણી વ્યક્તિની સાથેના સંબંધોમાં બન્નેનો ઉપયોગ થઈ જવાનો. સંજોગો અને કામના સ્વરૂપ અનુસાર, પણ જેમની મહેરબાની જીતવી છે - જેમની ચાહના મેળવવી છે મેળવવી છે યા તેમની સાથેના સંબંધો બનાવવા તેમ જ આગળ વધારવા માટે મોટાભાગના માત્ર સભાનતાના માનસનો ઉપયોગ કરવાના. કારણ હાર-જીત એ વ્યક્તિને જીતવી છે. તેથી સભાનતાના માનસ માત્ર સકારાત્મક અસર કરીને પ્રભાવ પાડી શકે તેવી રીતે રજૂઆત કરતા રહેવાના. એવા સ્વભાવ અને વિચારો હોવાનો ભ્રમ ઊભો કરવાનો જે તેમના અસભાનતાના માનસને અનુરૂપ પણ ન હોય. આ માર્ગનો ઉપયોગ કોર્ટશીપના ગાળા દરમિયાન કરવામાં આવે છે, અન્ય લિંગની વ્યક્તિને આકર્ષવા ખાતર.

વર્તમાનકાળમાં આંતર જાતીય, આંતર પ્રાંતીય, આંતર ભાષીય અથવા આંતર ધર્મીય અને આંતર નસ્લના લગ્નો થાય છે. તેમાં સંસ્કારો, જીવનશૈલી, ભાષા, ધર્મ તેમ જ ખાવાની - બનાવવાની અને આરોગવાની પદ્ધતિઓમાં ભારે તફાવતો રહે છે. પણ આવી કોર્ટશીપમાં માત્ર પ્રોજેક્ટેડ ઈમેજેસ જ સફળતા અપાવે છે. લગ્ન બાદ અથવા લગ્ન સિવાયના સહવાસમાં થોડા દિવસોમાં બન્નેના અસભાનતાના માનસ પણ કાર્યરત બની જવાના. કોઈપણ વ્યક્તિ લાંબા સમય સુધી અરૂચિય જીવનમાં જીવી શકે નહીં. તેમના ખરા માનસ ઉપર આવી જ જવાના. એના સમન્વય બનાવી શકાય તો એ દંપતી ખટરાગો વગરનું જીવન બનાવી શકે પણ તેમાં અનેક શરણાગતિ સ્વીકારવી પડે. આપવાના અને લેવાના અનેક સોદા કરવા પડે.

મોટાભાગના કિસ્સાઓમાં બન્ને જીવનસાથી પોતાના અહમ્ ત્યજવા તૈયાર થતા નથી. તેમનાં સંસ્કારની, ધર્મની, પ્રાંતની અથવા પરિવારની દરિદ્રતાના અહમ્ છોડવા માગતા નથી. એક વ્યક્તિ ત્યાગ કરવા તૈયાર થાય તો બીજી વ્યક્તિ નવી માગણીઓ કરવા લાગે છે. તેથી તેમના જીવન સતત અવિરત ખટરાગોવાળા બની જાય છે. બન્નેના અહમ્ના ટકરાવો અંતમાં સંબંધોના વિચ્છેદમાં જ પરિણમે. સહનશીલતાની મર્યાદા હોય છે. તેથી અહમ્ના ખટરાગો એક સીમા સુધી જ ટકી શકે. આ વાત નીચેનો રમૂજનો કિસ્સો સમજાવી શકાય કે આવા સંજોગોમાં જીવન કેવા હોય. બહારના લોકોની માન્યતા વિપરીત હોય તો પણ.

એક ગામના આધેડ પાદરી પાસે ગયા અને વિનંતી કરી તેને તત્કાળ છૂટાછેડા અપાવે. આ વિનંતી સાંભળી પાદરીને આશ્ર્ચર્ય થયું. આધેડ દંપતીને ગામના તમામ પરિવારો આદર્શ દંપતી તરીકે પૂજતા આવ્યા હતા. પાદરીએ સમજાવવાના પ્રયાસ કર્યા પણ આધેડ માગણી પર અડી બેઠા. અંતમાં પાદરીએ કારણ જાણવા સવાલ કરતા આધેડે તેમના પગમાંથી એક જૂતો કાઢી પાદરી સામે ધર્યો અને કહ્યું. ‘તમને આ જૂતો ખૂબ સરસ જણાય છે ને! પણ મારા પગમાં એ કયા કરડે છે તે માત્ર મને જ ખબર છે.’ જૂતા જોનારને બહારથી સુંદર જણાય પણ કેવા કરડે છે એની જાણ માત્ર પહેરનારાને જ થાય.

આધુનિક યુગમાં કોર્ટશીપના ગાળામાં બન્ને પાત્રો સ્વાભાવિક રીતે વર્તતા નથી. પણ સામી વ્યક્તિને જે ગમે - ગમી શકે તેવા અભિગમ અપનાવતા રહે. એમના માત્ર સભાનતાના માનસ જ આ કામ કરતા રહેવાના. અસભાનતાના માનસને ઉપરવટ થાય નહીં તેની ખાસ કાળજી રાખવામાં આવે. આમ બનાવટી વ્યક્તિત્વ બતાવવામાં આવે છતાં એને અપ્રામાણિકતા ગણી શકાય નહીં. પ્યાર અને જંગમાં તમામ પેતરા ચાલે. કોર્ટશીપનો ગાળો પ્યાર માટેનો જંગ બની જાય.

પ્રાચીનકાળમાં અથવા આંતરજાતીય પ્રેમ લગ્નના યુગના આરંભ પહેલા પરિવારો તેમના પુત્ર અથવા પુત્રી માટે જીવનસાથીની ખોજનું ક્ષેત્ર સીમિત રાખતા, ખૂબ જ મહત્ત્વના કારણસર. એ સમયમાં છ ગામના, બાર ગામના અથવા વધુમાં વધુ સોળ ગામના પરિવારો પર જ નજર નાંખવામાં આવતી. આ પરિવારોના સંસ્કાર, તેમની જીવનશૈલી, તેમની આર્થિક સ્થિતિ, તેમના ધર્મના પાલન અને શ્રદ્ધા - પૂજાપાઠના રિવાજો અંગે સંપૂર્ણ માહિતી આસાની સાથે મળી આવતી. મુરતિયાના અસભાનતાના માનસના કામોની યાદી પણ સામે આવી જતી. તેથી જીવનસાથી બનાવવાની તજવીજ કરવામાં આવી રહી છે, તેમનો સંસાર સુખી થવાનો કે નહીં એની બન્ને પરિવારોને ખાતરી રહેતી. પ્રાંતના લોકો શહેરોમાં વસવા આવી ગયા બાદ તેમના જીવનમાં અને ઘરોમાં પ્રાયવસીએ એવી ઘૂસણખોરી કરી કે આ પ્રકારની માહિતી મેળવવી અશક્યપ્રાય બાબત બની.

શહેરોમાં વસતા એક જ જાતિના ઘોલના પરિવારોના યુવાન-યુવતી વચ્ચેના લગ્ન જીવન હંમેશાં સુખી થવાના એની ગારંટી આપી શકાય નહીં અને લઈ પણ શકાય નહીં. કારણ આ પરિવારોના ઘર બહાર ઉછરેલા યુવાન-યુવતીના માનસોના ઘડતરમાં તેમના પર્યાવરણો કેવા ભાગ ભજવ્યા તેની માહિતી મળવાની નહીં. પ્રાયવસીના પ્રભાવના કારણે ઘણીવાર પરિવારને પણ પુત્ર અને પુત્રીના અસભાનતાના માનસની પૂરી જાણ થાય નહીં. આનો અર્થ એ નથી કે એ વિકાસ વખોડવા સમાન છે. કહેવાનું તાત્પર્ય - આ જુગાર અંધારામાં પાસાં ફેંકવા સમાન ખેલ બની જાય છે.

અનેક માનવી તેમની ક્ષમતા અને કુશળતાના ખંતપૂર્વક અને સંનિષ્ઠા સાથેની મહેનતાના કારણે જીવનમાં ખૂબ આગળ વધી જાય છે. પોતાની કુશળતા અથવા મહાનતા અંગે ખોટી બડાશો મારવાનો તેમને સમય મળતો નથી અથવા તેવી તેમની મુરાદ પણ હોતી નથી. આની સામે અનેક મહત્ત્વાકાંક્ષી પણ ક્ષમતા તેમ જ કુશળતા વગરના તેમાં પણ ખંત અને સંનિષ્ઠા સાથે કામ કરવાની અનિચ્છાવાળા તેમની મહાન સિદ્ધિની ભ્રામક જાળ બિછાવતા રહે છે. તેમના દાવા પુરવાર કરવાની તક આપવામાં આવે અથવા પળ આવી જાય ત્યારે તેમની સિદ્ધિઓ હવામાં ઓગળી જાય છે.

દરિયા દિલના હોવાના દાવા કરનારાના હાથમાંથી સમાજના સારા કામો માટે એક રૂપિયો પણ છૂટતો નથી ત્યારે જ તેમના ભ્રામક જાળની સમાજને જાણ થાય છે. સભાનતાના માનસ આવા ભ્રમ જાળ બનાવતા રહે છે પણ તેમના અસભાનતાના માનસના કામો તેમના ભ્રામક જાતના પુરાવા પણ આપતા રહે છે. લગ્નજીવનની ઈમારતો ભ્રમના જાળ પર ટકતી નથી. તેવી રીતે ભ્રામક આધાર પર બનાવવામાં આવેલા માળખા પણ ટકી રહેતા નથી. ખરી મહાનતા અને ઉદારતાનો એક દાખલો સમજવા લાયક છે.

ઓગણીસમી સદીમાં યેલ યુનિવર્સિટીની રચના કરવામાં આવી. એની રચના આકાર લઈ રહી હતી ત્યારે એની રચનાની તૈયારી કરતા પ્રતિષ્ઠિત નાગરિકોનું પ્રતિનિધિ મંડળ નગરની કોલેજના પ્રિન્સિપાલની આગેવાની તળે જાણીતા બેન્કર ડી. રોકફેલરને મળવા ગયું તેમની પાસેથી દાન

મેળવવા રોકફેલરે તેમને થોડી રાહ જોવરાવી. બાદમાં પોતાના ખંડમાં બોલાવ્યા. બધાએ પોતાના સ્થાન લેતા જ રોકફેલરે એક માત્ર દીવો ઓલવી નાખ્યો અને તેમના આગમનના મકસદ જાણવા સવાલ કર્યો.

તેમનો દીવો ઓલવી નાંખી અંધારામાં વાતચીત કરવાના અભિગમના કારણે પ્રતિનિધિમંડળના દિલ બેસી ગયા. પ્રિન્સિપાલે ટૂંકમાં યોજનાની રજૂઆત કરી. આખરે રોકફેલરે સવાલ કર્યો. કેટલા ખર્ચનો તમારો અંદાજ છે? નિરાશામાં સપડાયેલા પ્રિન્સિપાલે કહ્યું પાંચ લાખ ડૉલર.

રાકફેલરે ચેક બુક કાઢી રકમ ભરી, સહી કરીને ચેક આપ્યો. તેમણે ચેકમાં ત્રીસ લાખની ડૉલરની રકમ લખી હતી. રોકફેલરે ઠાવકાભર્યા અવાજમાં કહ્યું - "મેં દીવો ઓલવી નાખ્યો તેથી તમારું દિલ બેસી ગયું કે આ કંજૂસ શું આપશે? તમે ખર્ચનો અંદાજ પચીસ લાખમાંથી પાંચ લાખ કરી નાખ્યો પણ મને બતાવો

આપણી વાતચીતમાં દીવાની શી જરૂર હતી! હું નાની નાની બચત કરું નહીં તો આવી મદદ કેમ કરી શકાય? આજના ભાવમાં ગણવામાં આવે તો રોકફેલરે એક જ ઝાટકે ત્રીસ હજાર કરોડનું દાન આપ્યું હતું. તેમને કરવામાં આવેલી માગણી કરતા અનેકગણું વધારે દાન આપ્યું. પણ તેમના દીવા ઓલવવાના કામની અસર બાબત સભાનતા પણ બતાવી.