શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 27 જૂન 2012 (12:08 IST)

પાકિસ્તાનની અવળચંડાઈ : સરબજીત નહી સુરજીતને મુક્ત કરાશે

P.R
પાકિસ્તાની જેલમાં કેદ સરબજીત સિંહની ન તો મુક્તિ થશે કે ન તો તેની સજા ઓછી થશે. જે શખ્સની મુક્તિ થનારી છે તેનું નામ સુરજીત સિંહ છે. જો કે, પાકિસ્તાન દ્વારા અગાઉ જણાવાયું હતું કે સરબજીત સિંહની ફાંસીની સજાને રાષ્‍ટ્રપતિ ઝરદારીએ જન્મટીપમાં બદલી દીધી છે.

પોતાની અવળચંડાઇ માટે જાણીતા પાકિસ્તાને ફરી એકવાર ભારત સાથે મેલી રમત રમી છે. મંગળવારે સરબજીતની સજા ઓછી કરવાની જાહેરાત કર્યા બાદ પાકિસ્તાને મોડી રાત્રે ૧ર વાગ્યે પોતાના નિવેદનથી ફેરવી તોળતાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આઝરદારીના પ્રવકતા બાબરે એક નિવેદનમાં કહ્યું કે, કંઈક ગેરસમજ થઈ છે. રાષ્ટ્રપતિએ સુરજીતસિંઘને મુક્ત કરવાના આદેશ કર્યા હતા, સરબજીત વિશે કોઈ વાત જ નહોતી.

સુરજીતસિંઘ ત્રણ દાયકાથી પાકિસ્તાની જેલમાં બંધ છે. ૧૯૮૯માં તેમને ફાંસીની સજા થઈ હતી. પરંતુ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોની સલાહના પગલે રાષ્ટ્રપતિ ગુલામ ઇશહાક ખાને તેની સજા ઓછી કરીને જન્મટીપમાં બદલી હતી. તેમણે જણાવ્યું કે, દેશના કાયદામંત્રી ફારૂખ નાઇકે ગૃહમંત્રાલયને જણાવ્યું હતું કે, સુરજીતસિંઘની સજા પૂરી થઈ ગઈ છે. આથી તેને મુક્ત કરીને ભારત મોકલી દેવો જોઈએ.

દરમિયાનમાં સરબજીતના વકીલે કહ્યું છે કે, સરબજીતને મુક્ત કરવાનો નિર્ણય થઈ ચૂક્યો હતો પરંતુ સરકારે દબાણ હેઠળ નિર્ણય બદલ્યો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયને તેઓ કોર્ટમાં પડકારશે. નોંધનીય છે કે, આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે, પાકિસ્તાનની જેલમાં છેલ્લાં ૨૨ વર્ષથી બંધ સરબજીતસિંહ હવે મુક્ત થઇ જશે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સરબજીતની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવી નાખી છે. ઝરદારીએ મંગળવારે સરબજીતની અરજી પર હસ્તાક્ષર કર્યા હોવાનું પણ સત્તાવાર રીતે જાહેર કરાયું હતું.

મંગળવારે જ્યારે ભારતના વિદેશમંત્રી કૃષ્ણાએ સરબજીતની સજા ઓછી કરવા બદલ ઝરદારીને આભાર માનતો સંદેશો મોકલ્યો હતો. ત્યારે પણ ઝરદારીએ આ અંગે કંઈ સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ અચાનક જ મંગળવારે મધરાતે પાક સરકાર વતી સ્પષ્ટતા કરાઇ કે સરબજીત નહીં પણ સુરજીતને મુક્ત કરાશે. ૧૯૯૦ની ૨પમી ઓગસ્ટે સરબજિતની પાક.ના ખેમકરન સેક્ટરમાં ધરપકડ કરાઇ હતી. સરબજિત ભૂલથી સરહદ પાર જતો રહ્યો હતો. તેને ૧૯૯૧માં આર્મી એક્ટ હેઠળ ફાસીની સજા ફટકારવામાં આવી હતી. સરબજિતને ૨૦૦૮માં ફાસી થવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ તત્કાલીન વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીના હસ્તક્ષેપ પછી ફાંસી ટાળી દેવાઇ હતી.