મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ ટિપ્સ
Written By વેબ દુનિયા|

લવ ટિપ્સ - જીવનસાથી કે લવબર્ડસ વચ્ચે પ્રેમ કાયમ રાખવાની ટિપ્સ

P.R
આજની જીવનશૈલીમાં સંબંધોમાં તણાવ બહુ સામાન્ય વાત છે. પણ જ્યારે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય ત્યારે તેને સામાન્ય ન ગણાવી શકાય. કહેવાનો અર્થ એ છે કે દરેક સંબંધમાં ઝઘડા થતા હોય છે પછી તે પતિ-પત્નીનો સંબંધ હોય કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનો કે મિત્ર-મિત્ર વચ્ચેનો. જરૂરી નથી કે તમે તમારા સંબંધને બચાવવાનો બિલકુલ પ્રયાસ જ ન કરો. જો દિલથી સંબંધ બચાવવાની કોશિશ કરશો તો કામ બહુ સરળ બની જશે અને સફળતા પણ મળશે. તમે તમારા જીવનસાથી સાથેના સંબંધને મજબૂત અને ઉત્તમ બનાવવા માટે અનેક એવા ફંડા અજમાવી શકો છો જેની મદદથી તમારી વચ્ચે સર્જાયેલી ખટપટ કે ઝઘડા બાદ પણ તમે એકબીજા સાથે જોડાયેલા રહેશો. જાણીએ સંબંધ બચાવી રાખવાની આવી 5 યુક્તિઓ વિષે...

પરસ્પર વિશ્વાસ કરો- કોઇપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે. જો તમારા બંને વચ્ચે વિશ્વાસ છે, એકબીજા પર વિશ્વાસ કરો છો તો કોઇપણ ત્રીજી વ્યક્તિ તમારા સંબંધમાં તિરાડ નહીં પાડી શકે. એકબીજા પર વિશ્વાસ જાળવી રાખવા માટે જરૂરી છે કે તમે પરસ્પર શંકા ન કરો, પણ દરેક વાતની ઊંડાઇ સુધી જવાનો પ્રયાસ કરો. કોઇની કહેલી વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.

એકબીજાને સમય આપો - ઘણીવાર પરસ્પર વધી ગયેલું અંતર પણ સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે. જો તમે ઇચ્છો છો કે તમારા સંબંધ લાંબા સમય સુધી જળવાઇ રહે તો એકબીજાને પૂરતો સમય આપો. શક્ય હોય તો વચ્ચે-વચ્ચે પિકનિક પર જાઓ. તમે લોન્ગ ડ્રાઇવ પર પણ જઇ શકો છો અને ત્રણ-ચાર દિવસની ટ્રિપ પર પણ. એટલું જ નહીં તમે ઇચ્છો તો કોઇ ગિફ્ટ આપીને કે સરપ્રાઇઝ પાર્ટી અરેન્જ કરી તમારા પાર્ટનરે ખુશ કરી શકો છો. આમ કરવાથી તમારી વચ્ચેનું અંતર ઓછું થશે અને તમે જોશો કે તમે પહેલા કરતા પણ વધુ નિકટ આવી ગયા છો.

એકબીજાને સમજો - તમારે તમારા પાર્ટનરને સમય આપવાની સાથે તેની ભાવનાઓને પણ સમજવી પડશે. આના માટે તમારે તમારા પાર્ટનરને એ હદ સુધી સમજવો પડશે કે તેના વગર કહ્યે જ તેની વાતો તમે આરામથી સમજી જાઓ. ઘણીવાર તમારો પાર્ટનર પરેશાન હોય છે જેનાથી તે પોતાની વાતો શેર નથી કરી શકતો. આવામાં જરૂરી છે કે તમે તેણે ન કહેલી વાત પણ સમજી લો.

એકબીજાનું સન્માન કરો - જો તમે એકબીજાનો આદર કરશો અને એકબીજાના કામને મહત્વ આપશો તો અચૂક તમારા સંબંધો વધુ ઊંડા બનશે. ઘણીવાર તો સંબંધમાં ખટાશનું કારણ એ હોય છે કે તમે એકબીજાની કાર્યશૈલીને નથી સમજી શકતા અને તેને મહત્વ નથી આપતા. એટલું જ નહીં તમારા પાર્ટનરના કામમાં તેની મદદ કરી શકો છો. આનાથી તમને તેની વધુ નિકટ જવાનો મોકો મળશે.

સંવાદ જરૂરી છે - કોઇપણ સંબંધને બચાવવા માટે જરૂરી છે પરસ્પરનો સંવાદ. જો તમારી વચ્ચે કમ્યુનિકેશન ગેપ રહેશે તો તમારી વચ્ચે ગેરસમજણ જન્મ લઇ શકે છે પણ જો તમે સતત એકબીજા સાથે વાત કરતા રહેશો અને એકબીજાના સુખ-દુખમાં પૂરી ભાગીદારી નોંધાવશો તો તમારી વચ્ચે ક્યારેય કડવાશ નહીં વ્યાપે અને જો આવું કંઇ થયું પણ હશે તો બહુ જલ્દી દૂર થઇ જશે