શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: હુબલી , સોમવાર, 30 માર્ચ 2009 (19:53 IST)

દેવેગૌડા ક્યારે જાગશે!

દેવાંગ મેવાડા

પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ એસનાં પ્રમુખ એચ ડી દેવેગૌડા ફરીથી ત્રીજા મોરચાને જીવિત કરવામાં લાગી ગયા છે. પણ બીજુ બાજુ તેમનાં જ રાજ્યમાં તેમનો જનાધાર ઘટી રહ્યો છે. અને, ભાજપ મજબૂત થઈ રહ્યો છે. પણ તેઓ જાહેરમાં ઉંઘવાની ટેવ ભુલ્યા નથી.

ગયા વર્ષે કર્ણાટકમાં થયેલી ચુંટણીમાં તેમની પાર્ટી સત્તાથી દૂર ફેકાઈ ગઈ હતી. અને, એકસમયની તેમની સહયોગી ભાજપ સત્તા મેળવવામાં સફળ રહી હતી. ભાજપને 110 બેઠકો મળી હતી. તો જેડીએસને ફ્કત 19 ટકા મત મળ્યા. તેમજ તેમની બેઠકો 58થી ઘટીને 28 પર આવી ગઈ. તો ભાજપની બેઠકો 79 થી વધીને 110 થઈ હતી. આ સાથે ભાજપને સમગ્ર રાજ્યમાં 33.9 ટકા વોટ મળ્યા હતા.

પુત્રપ્રેમમાં પાગલ દેવેગૌડા કુમારસ્વામીને મુખ્યમંત્રી જોવાની ઈચ્છા મનમાં જ અધૂરી રહી ગઈ. પણ તેઓ ફરીથી સક્રિય રાજકારણમાં પાછા આવ્યા છે. તેમણે ત્રીજા મોરચાની કમાન સંભાળી લીધી છે. અને, કર્ણાટકમાં સભાઓ ગજવી રહ્યાં છે.

પણ દેવેગૌડા હજી પોતાનો ઉંઘવાનો શોખ ભુલ્યા નથી. દેશનાં વડાપ્રધાન હતા, ત્યારે પણ તેઓ સરકારી સમારોહમાં ઉઁઘતા નજરે પડતાં હતા. તેના કારણે તેઓ ઘણીવખત ટીકાનો ભોગ બન્યા હતા. કહેવાય છે કે વડાપ્રધાનપદ જેવો કાંટાળો તાજ પહેરીને ભલભલાની ઉંઘ હરામ થઈ જાય છે. ત્યારે દેવેગૌડા કેવીરીતે ઉંઘી શક્તા હશે. અને, કેટલાંક રાજકીય પંડિતોની વાત માનીએ તો વડાપ્રધાન પદ જવા માટે તેમની ઉંઘવાની ટેવ પણ મુખ્ય કારણ હતું.

હાલમાં તેઓ જેડીએસ માટે પ્રચાર કરી રહ્યાં છે. પણ હજી તેઓ ચુંટણી સભાઓમાં ઉઁઘવાનો મોકો ચુકતાં નથી. સોમવારે હુબલીમાં યોજાયેલી ચુંટણી સભામાં ફરીથી દેવેગૌડા ઉંઘતા ઝડપાઈ ગયા હતા. ત્યારે ફરીથી કહેવાનું મન થાય કે શું આ વખતે પણ દેવેગૌડા નસીબની ટ્રેન ચુકી જશે!!