ઝાકીર નાઈકનો ધડાકો - રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 2011માં 50 લાખ રૂપિયાનુ દાન આપ્યુ હતુ
ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનએ એવો ધડાકો કર્યો છે કે, વર્ષ-2011માં અમે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 50 લાખ રૂપિયાનું દાન આપ્યુ હતુ. આ એ જ સંસ્થા છે કે જેની સાથે ઇસ્લામિક ઉપદેશક ઝાકીર નાઇક જોડાયેલા છે. નાઇક ઉપર ભડકાઉ ભાષણ આપીને મુસ્લિમ યુવાનોને ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. ઢાકા એટેક બાદ નાઇકનું નામ વિવાદોમાં આવ્યુ હતુ.
કોંગ્રેસે દાનની રકમ સ્વીકારવાની વાત સ્વીકારી છે પરંતુ દાવો કર્યો છે કે, રકમ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને નહી રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટને આપવામાં આવી હતી. કોંગ્રેસે એવુ પણ કહ્યુ હતુ કે, થોડા મહિના પહેલા જ ઇસ્લામિક ફાઉન્ડેશનને રકમ પરત કરી દેવામાં આવી હતી. જો કે ફાઉન્ડેશને જણાવ્યુ છે કે, અમે દાનના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને જ આપ્યા હતા કોઇ ટ્રસ્ટને નહી. ઇસ્લામિક ફાઉન્ડેશનનું કહેવુ છે કે અમને પૈસા હજુ સુધી મળ્યા નથી. એવુ બની શકે કે, પૈસા આપવાના છે પરંતુ અમને હજુ સુધી તે મળ્યા નથી.
ઇસ્લામિક ફાઉન્ડેશનના પ્રવકતાનું કહેવુ છે કે, અમે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 2011 માં 50 લાખ રૂપિયા આપ્યા હતા. અમે આવી અનેક સંસ્થાઓને પૈસા આપીએ છે જે છોકરીઓને ભણાવવાનું કામ કરે છે. આ પૈસા મેડીકલ, સર્જરી જેવા અભ્યાસ કરતી છોકરીઓને અપાઇ છે. રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટને સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા દ્વારા બનાવવામાં આવ્યુ છે. મનમોહન સિંહ પણ આની સાથે જોડાયેલા છે. આ બધા લોકો રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.
આ બધી બાબત તપાસ દરમિયાન ખુલી છે. ગયા મહિને મોદી સરકારે જાકીર નાઇકના એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનને મળતા નાણાની તપાસ માટેના આદેશો આપ્યા હતા. ઢાકામાં હુમલા કરનારા છોકરાઓ ઝાકીર નાઇકથી પ્રેરિત હતા. જાકીરના સંગઠનના આરોપ છે કે તેમને વિદેશથી પૈસા મળે છે જેનો ઉપયોગ રાજકીય પ્રવૃતિઓ અને યુવાનોને આતંક તરફ ખેંચવા માટે થાય છે.