ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 30 નવેમ્બર 2013 (15:55 IST)

મોદી દ્વારા વેરાતા દાવાઓનાં દાણાને ફંફોસવામાં લાગી ગઇ કેન્દ્ર સરકાર

P.R
આર્થિક વિકાસ અને માર્કેટ સાથે જોડાયેલા આંકડાઓને લઈને નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ અને ભાજપના પીએમના ઉમેદવાર નરેન્દ્ર મોદી એક વાર ફરી આમને સામને આવી ગયા છે. આ વખતે વાત ડોલરની સરખામણીમાં રૃપિયો ગગડ્યો તેની છે. મોદીએ નિવેદન કર્યું હતું કે, એનડીએના શાસનકાળમાં ડોલરની તુલનામાં રૃપિયો ગગડ્યો નથી. અટલ બિહારી વાજપેયીયે ક્યારેય રૃપિયો ગગડવા દીધો નથી. પરંતુ તરત જ ચિદમ્બરમનું નિવેદન આવ્યું કે, આ વાત સાવ ખોટી છે.

ચિદમ્બરમે આંકડા સાથે જણાવ્યું કે એનડીએની પહેલી સરકાર ૧૯૯૮માં બની હતી ત્યારે રૃપિયાની કિંમત ડોલરની તુલનામાં ૩૯.૪૯ હતી. ૧૯૯૯માં રૃપિયો ગગડીને ૪૨.૮૪ પર આવી ગયો. ચૂંટણી બાદ જ્યારે એનડીએ સત્તામાં આવ્યું તો તેના શાસનકાળ દરમિયાન ડોલરની સરખામણીમાં રૃપિયો ૪૫ સુધી ગગડ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર મોદીની ચૂંટણીની રેલીઓમાં અપાયેલા આર્થિક આંકડાઓ ઉપર ધ્યાન આપવાની સાથે સાથે તેને ગંભીરતાથી પણ લઈ રહ્યું છે. જ્યારે મોદી ચૂંટણી રેલીઓમાં ગુજરાત અને એનડીએના શાસનકાળ કે આર્થિક અને માર્કેટ સાથે જોડાયેલા કોઈ આંકડાનો ઉલ્લેખ કરે છે તે અંગે તપાસ શરૃ થઈ જાય છે. આંકડાઓની સચ્ચાઈને શોધવામાં આવે છે અને તે અંગે ફરી આંકડાઓ સાથેની સાચી તસવીર રજૂ કરાય છે. આ કામમાં નાણાં અને વાણિજ્ય મંત્રાલયની મદદ લેવાય છે.

ચિદમ્બરમ્નું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ યોગ્ય આંકડા રજૂ કરી રહી હોય તો તે અંગે સરકારને કંઈ કહેવાની જરૃર નથી. જો તેમાં સત્ય ન હોય તો અમારું કર્તવ્ય બની જાય છે કે સાચા આંકડા લોકો સુધી પહોંચાડવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમે સ્પષ્ટ રીતે કહ્યું છે કે વિપક્ષી પાર્ટીઓ તરફથી જો અર્થવ્યવસ્થા તરફ જોડાયેલા આંકડાઓને ખોટી રીતે રજૂ કરાશે અથવા તો તેમાં સત્યનો અભાવ હશે તો સાચા આંકડા લોકો સુધી પહોંચાડાશે. વાણિજ્ય પ્રધાન આનંદ શર્માનું કહેવું છે કે, આર્થિક આંકડાઓની તુલના કરતી વખતે સમય અને પરિસ્થિતિ પણ જોવાની હોય છે. એક સમયે યુપીએના શાસનકાળમાં દેશનો આર્થિક વિકાસદર ૯ ટકાની આસપાસ પણ પહોંચી ચૂક્યો છે, પરંતુ હવે પરિસ્થિતિઓ અલગ છે.