શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2013 (12:07 IST)

મોદી નવું NDA બનાવવાનાં મુડમાં

પહેલો ટારગેટ બેઠકો વધારવાનો...એકલે હાથે ભાજપની સરકાર...અઘરું તો છે જ

P.R
કેન્દ્રમાં એકલે હાથે ભાજપની સરકાર બની શકે તેમ ન હોવાથી ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશભરમાં ભ્રમણ કરીને નાના-મોટા પ્રાદેશિક પક્ષોનો સપોર્ટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મોદીએ કર્ણાટકમાં ભાજપ છોડીને નવો પક્ષ રચનારા યેદુરપ્પાની પાર્ટીથી શરૂઆત કરી છે. આ પાર્ટી વિધિવત રીતે ભાજપમાં ભળી ગઇ છે, હવે તેમનો પ્રયાસ તામિલનાડુમાં જયલલીતાને સાથે લેવાનો હોય તેમ લાગી રહ્યું છે.

2014ની લોકસભાની ચૂંટણી પછી દિલ્હીમાં સત્તા માટે ભાજપ અને એનડીએ, કોંગ્રેસ અને યુપીએ અથવા ત્રીજા મોરચાનું જોડાણ એવા ત્રણ વિકલ્પો ઉપસી આવે છે. ભાજપ કે કોંગ્રેસને 180 પ્લસ બેઠકો મળશે તે પાર્ટી સાથે અન્ય પક્ષો જોડાણ કરે તેવી સંભાવના છે. બન્ને પાર્ટીમાંથી જો કોઇને આટલી બેઠકો ન મળે તો કેન્દ્રમાં ત્રીજા મોરચાની સરકાર આવી શકે છે.

કોંગ્રેસ પાસે લોકોમાં પ્રિય થવા માટે હજી સાત મહિના અને એક સેન્ટ્રલ બજેટનો સમય છે. કોંગ્રેસ મોંઘવારી ઘટાડી શકે તો તેની બેઠકો જળવાઇ રહે તેમ છે. એકલા ફુડ સિક્યોરિટીના કાયદાથી કોંગ્રેસની ઝોળી ભરાઇ જાય તેવું માનવાને કોઇ કારણ નથી. લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી કોંગ્રેસ દેશની આર્થિક હાલતમાં સુધારો લાવવો પડે તેમ છે. કોંગ્રેસના વડાપ્રધાનના ઉમેદવાર તેના જનરલ સેક્રેટરી રાહુલ ગાંધી હોય કે લોકસભાના સ્પીકર મીરાંકુમાર, ઉમેદવારથી કોંગ્રેસને કોઇ ફરક પડે તેમ નથી. કોંગ્રેસે નકારાત્મકતાનો માહોલ દૂર કરવો પડશે.

બીજી તરફ ભાજપ પાસે કોંગ્રેસે આપેલા શાસનના અનેક મુદ્દાઓ મોજુદ છે. પાંચ વર્ષના શાસનમાં થયેલા ગોટાળા, દેશની આર્થિક સ્થિતિ, રૂપિયાનું અવમૂલ્યન, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેકારી, નિર્ણય લેવાની અક્ષમતા, કોંગ્રેસ શાસિત રાજ્યોના નબળાં શાસન, આંતરિક તેમજ બાહ્ય સુરક્ષાનો ખતરો, પાકિસ્તાન અને ચાઇના બોર્ડરની સમસ્યા તેમાં મુખ્ય છે. ભાજપનો પ્લસ પોઇન્ટ નરેન્દ્ર મોદી છે. ભાજપે મોદીને વડાપ્રધાનના ઉમેદવાર બનાવી દીધા હોવાથી તેમની લોકપ્રિયતાનો દેશભરમાં લાભ લઇ શકાશે. મોદીની આ નિયુક્તિ પછી એક બાબત સ્પષ્ટ છે કે તેઓ ભાજપની બેઠકોમાં વધારો કરશે.

આમ છતાં બન્ને મુખ્ય પાર્ટીઓએ શાસન કરવા માટે અન્ય પ્રાદેશિક પક્ષોનો સહારો લેવો પડશે તે પણ એક હકીકત છે. લોકસભાની ચૂંટણીના સર્વે ભલે ગમે તેની ફેવરમાં હોય, યુપીએ અને એનડીએ સિવાય છૂટકો નથી. આ સંજોગોમાં ભાજપે તેના નવા એનડીએ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપને કોણ સમર્થન આપે તેમ છે તેનો સર્વે કરીને ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછીના ગઠબંધન કેવા હોઇ શકે તેની બ્લ્યુ પ્રિન્ટ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

કર્ણાટકમાં ભાજપથી વિખૂટા પડીને અન્ય પાર્ટીની રચના કરનારા યેદુરપ્પાની પાર્ટી ભાજપમાં ભળી ગઇ છે. ભાજપ પાસે પંજાબમાં અકાલી દળ અને મહારાષ્ટ્રમાં શિવસેના છે. મોદી કેટલાક પ્રાદેશિક પક્ષોના સંપર્કમાં છે, જેમાં સંગમાની પાર્ટીનો પણ સમાવેશ થાય છે. ટૂંક સમયમાં મોદી તેમના ખાસ મિત્ર જયલલીથાને પણ મળી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં તેમની નજર મમતા બેનરજી ઉપર પણ છે. ઉત્તરપ્રદેશમાં એસપી અને બીએસપી સાથે હજી મિત્રતાના સબંધો કેળવાયા નથી.

ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના સમયમાં એનડીએ હતું તે હવે તૂટી ગયું છે. સૌથી મોટા પક્ષ જેડીયુનો સાથ છૂટી ગયો છે. બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર હવે કોઇ કાળે ભાજપ સાથે બેસવા તૈયાર નથી.

2004ના જનરલ ઇલેકશન દરમ્યાન રચાયેલું યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ લોકસભાની 543 પૈકી 222 બેઠકોનું સચાલન કરતું હતું જ્યારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને 169 બેઠકો પ્રાપ્ત હતી. કોંગ્રેસને અન્ય 13 પક્ષોએ ટેકો આપતાં સરકાર રચાઇ હતી. પાછલી ચૂંટણીમાં કોંગ્રેસને 206 બેઠકો મળી હતી. હાલ યુપીએમાં મુખ્ય છ પાર્ટીઓ છે અને 10 પાર્ટીઓ સમર્થન આપી રહી છે.

એનડીએનું ફોર્મેશન 1998માં થયું હતું. હાલ ભાજપ પાસે લોકસભાની 117 બેઠકો છે. જદયુ જેવી બીજી ઘણી પાર્ટીઓ એનડીએમાંથી ખસી ગઇ છે. વાજપેયી સમયે 1998માં ભાજપને ત્રણ મહિલા નેતાઓ મમતા બેનરજી, માયાવતી અને જયલલીથા સહિત 13 પાર્ટીઓનો ટેકો હતો. 1999માં પાર્ટીની સંખ્યા વધીને 17 થઇ હતી. આજે એનડીએ વેરવિખેર હાલતમાં છે.

મોદી હાલ વાજપેયીના રસ્તા ઉપર ચાલી રહ્યાં છે. તેઓ એનડીએનો વિસ્તાર કરવાના મૂડમાં છે પરંતુ પહેલો ટારગેટ ભાજપની બેઠકો વધારવાનો છે. જો બેઠકો 180 પ્લસ આવે તો ભાજપ અન્ય પાર્ટીઓના સપોર્ટથી કેન્દ્રમાં સરકાર બનાવી શકે તેમ છે. ભાજપ માટે સૌથી મોટી મુસિબત મહારાષ્ટ્રમાં એનસીપી છે. ભાજપને શિવસેનાનો સપોર્ટ છે તેથી એનસીપીનો સપોર્ટ લઇ શકે તેમ નથી. મોદી માટે શરદ પવાર પ્રભાવી વ્યક્તિ છે, તેમને અને તેમની પાર્ટીને ભાજપમાં ભેળવી દેશે તો શિવસેનાને કોઇ વાંધો નહીં હોય, અન્યથા એનસીપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે. ઉત્તરપ્રદેશમાં તો ભાજપને એકલે હાથે ચૂંટણી લડવી પડે તેમ છે, કારણ કે એસપી અને બીએસપી એમ બન્ને મુખ્ય પક્ષો કોંગ્રેસ કે ભાજપ સાથે ચૂંટણી પહેલાં ગઠબંધન કરવાના મૂડમાં લાગતા નથી.