શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 19 મે 2014 (14:14 IST)

મોદીના અનુગામીની પસંદગી કરવા બુધવારે ધારાસભા સત્ર અને નવા મુખ્‍યમંત્રીની જાહેરાત

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્‍પષ્‍ટ બહુમતી મળતા મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ગુજરાતમાં તેમના અનુગામીની પસંદગી માટે ગતિવિધિ તેજ બની છે. તા. ૨૧મીએ કેન્‍દ્રીય નેતાગીરીના પ્રતિનિધિ તરીકે કેન્‍દ્રીય નેતા શ્રી થાવરચંદ ગેહલોટ અને પ્રદેશ પ્રભારી ઓમમાથુર ગાંધીનગર આવી રહ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્‍યોની બેઠક મળશે અને નવા નેતાના નામની જાહેરાત થશે. તે જ દિવસે સાંજે અથવા બીજા દિવસે તા. ૨૨મીએ સવારે નવા મુખ્‍યમંત્રીની શપથવિધિ થશે. મુખ્‍યમંત્રી તરીકે અડધો ડઝન નામ ચર્ચામાં છે પરંતુ આખરે બહુ ગાજેલા આનંદીબેન પટેલ તરફ જ પસંદગી થઈ રહ્યાનું ભાજપના વર્તુળો જણાવે છે. શ્રી મોદીને છેલ્લી ઘડીએ આશ્ચર્યજનક નિર્ણય લેવાની ટેવ છે પરંતુ આ વખતે તેવી શકયતા દેખાતી નથી. ગુજરાતના નવા મુખ્‍યમંત્રી તરીકે શ્રીમતિ આનંદીબેન પટેલ આવી રહ્યાનું નિશ્ચિત માનવામાં આવે છે.
 
      તા. ૨૧મીએ સવારે ૯ વાગ્‍યે વિધાનસભા ભવન ખાતે ભાજપના ધારાસભ્‍યોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં શ્રી ગેહલોટ તથા પ્રદેશના નેતાઓ ગુજરાતમાં હવે પછી લેવાનાર નિર્ણય અને કેન્‍દ્રીય નેતાગીરીના વલણ અંગે વાત કરશે. ભાજપના ધારાસભ્‍યો કોઈ નામ સૂચવવાને બદલે નિર્ણય લેવાનું નેતાગીરી તરફ છોડે તેવા સંજોગો છે. કોઈને નવા મુખ્‍યમંત્રી પસંદ હોય કે ન હોય હાલના સંજોગોમાં કોઈ વિરોધ કરે તેવા એંધાણ નથી.
 
      વિધાનસભા ગૃહને સંબોધન કર્યા બાદ શ્રી નરેન્‍દ્ર મોદી મુખ્‍યમંત્રી તરીકે રાજ્‍યપાલને અને મણીનગરના ધારાસભ્‍ય પદેથી વિધાનસભા અધ્‍યક્ષ વજુભાઈ વાળાને રાજીનામુ સુપ્રત કરશે. તેના પૂર્વ દિને આવતીકાલે સાંજે તેમણે મણીનગરમાં પોતાના મત વિસ્‍તારમાં મતદારોનો આભાર માનવા જાહેરસભા યોજેલ છે.
 
      ૧૧ વાગ્‍યે વિધાનસભાના અધ્‍યક્ષે શ્રી મોદીને વિદાય આપવા વિધાનસભા ગૃહનું ખાસ સત્ર બોલાવ્‍યુ છે. જેમાં તમામ પક્ષના ધારાસભ્‍યો શ્રી મોદી વડાપ્રધાન બનવાની ઘટનાને ગુજરાતનું ગૌરવ ગણાવી બિરદાવશે.
 
      તે જ દિવસે બપોરે ૩ વાગ્‍યે ફરી ભાજપના ધારાસભ્‍યોની બેઠક વિધાનસભાના પાર્ટી કાર્યાલય ખાતે બોલાવવામાં આવી છે. જેમા નવા મુખ્‍યમંત્રીનું નામ જાહેર થશે તેમ પાર્ટીના વર્તુળો જણાવે છે. તે જ બેઠકમાં નવા નેતા ચૂંટવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. નવા નેતાનું નામ રાજ્‍યપાલને મોકલી શપથ માટે સમય માંગવામાં આવશે. તે દિવસે સાંજે અથવા બીજા દિવસે સવારે નવા મુખ્‍યમંત્રીના શપથ થાય તેવા સંજોગો છે. ત્‍યારબાદ બીજા તબક્કે અન્‍ય મંત્રીઓના શપથ થશે.