મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , બુધવાર, 15 જૂન 2016 (12:13 IST)

રાજકોટમાં એસટી બસ સ્ટેન્ડને બોંબથી ઉડાવી દેવાની આંતકવાદીઓની ધમકી

ગુજરાતમાં લાંબા સમય સુધી રાહત રહ્યા બાદ આજે ફરી એકવાર રાજકોટ એસટી સ્ટેન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર  ડેપો મેનેજરને મળતા પોલીસ દોડતી થઈ હતી. પત્ર મળતા જ રાજકોટ એ ડિવીઝન પોલીસ બોંબ સ્ક્વોડને સાથે રાખીને બસ સ્ટેન્ડ દોડી ગઈ હતી.

તેમજ બસ સ્ટેન્ડ ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પત્ર  હિન્દી ભાષામાં લખવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યુ હતું કે, રાજકોટ એસટી બસ સ્ટેન્ડ, અમિત શાહ અને વિજય રુપાણીને બોંબથી ઉડાવી દઈશું.

પત્રમાં લખવામાં આવ્યુ હતું કે, હું બધાને મારી નાંખીશ. મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૦ બોંબ રાખ્યા છે અને હું સાયલામાં રહું છું. હું ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલો છું અને તમારા નેતા વિજય રુપાણી અને અમિત શાહને હું મારી નાંખીશ.

મારા મિત્ર અહમદ અબ્દુલ નાવેદને છોડી દો નહીં તો હું  લાશોના ઢગલા કરી નાંખીશ. પત્રના અંતમાં લખવામાં આવ્યુ છે કે, ઈન્ડિયન મુજાહિદ્દીન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ. પત્રમાં લખનારે પોતાનુ નામ ધીમંત ડી નિમાવત લખ્યુ છે અને પોતે સાયલાનો રહેવાસી હોવાનો ઉલ્લેખ કર્યો છે.