શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 18 જુલાઈ 2016 (11:39 IST)

હાર્દીક ઉદેપુર પહોંચ્યા

ગુજરાતમાં જેલમાંથી જામીન પર બહાર આવેલાં પાટીદાર નેતા હાર્દિક પટેલનો રોડ શો સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. દરમિયાન હાર્દિક પટેલે પોતાના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, હું ઉત્તરપ્રદેશમાં પ્રચાર માટે જઈશ. પરંતુ પાર્ટી માટે નહીં પરંતુ સમાજના હિત માટે.

દરમિયાન શનિવારે વહેલી સવારે વિરમગામમાં પોતાના પરિવારને મળ્યા બાદ હાર્દિક સાળંગપુર હનુમાનજીના મંદિરે પહોંચ્યો હતો. જ્યાં તેણે હનુમાનજીના દર્શન કર્યા હતા. સાળંગપુર મંદિર
બાદ તે ખોડલધામ પહોંચ્યો હતો. જ્યાં તેણે ખોડીયારમાતાના ચરણોમાં શિશ ઝુકાવ્યુ હતું. ખોડલધામમાં હાર્દિકની સાંકરતુલા યોજાઈ હતી. ત્યારબાદ હાર્દિક સિદસર પહોંચ્યો હતો. ઉમિયાધામમાં તેની સાંકરતુલા યોજાઈ હતી. અહીં સ્થાનિક ધારાસભ્ય જયંત બોસ્કી, હર્ષદ રીબડીયા અને ધારીના ધારાસભ્ય નલીન કોટડીયા પણ જોડાયા હતા.

એ પછી હાર્દિકનો કાફલો રાજકોટ પહોંચ્યો હતો. જ્યાં પાટીદારો દ્વારા હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. રાજકોટમાં હાર્દિકને સભાની મંજુરી આપવામાં આવી નહતી. જો કે તેને રોડ શોની મંજુરી આપવામાં આવી હતી અને હાર્દિકે મવડી ચોકડીથી ભવ્ય રોડ શો યોજ્યો હતો. દરમિયાન આવતીકાલે હાર્દિક વિરમગામથી ચાણસ્મા પહોંચશે, જ્યાં તે રોડ શો યોજશે. આ રોડ શો દરમિયાન હાર્દિક ચાણસ્મામાં ઓબીસી મંચના નેતા અલ્પેશ ઠાકોર અને એસપીજી નેતા લાલજી  પટેલ સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ચાણસ્માનો કાર્યક્રમ પુર્ણ કરી હાર્દિક સિદ્ધપુર થઈને પાલનપુર પહોંચશે જ્યાંથી તે ૧૧ કલાકે
તે ગુજરાત સરહદ છોડી દેશે. ગુજરાત છોડ્યા બાદ ઉદેપુરમાં પણ ગુર્જર સમાજ દ્વારા હાર્દિક પટેલનું આવતીકાલે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.