ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 17 સપ્ટેમ્બર 2016 (17:55 IST)

2017ની વિધાનસભા ચૂંટણી જીતાડવાની જવાબદારી મોદીના ખભા પર..

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપરા ઉપરી પોતાના હોમ સ્ટેટ ગુજરાતની નિર્ધારિત મુલાકાતો એવો સંકેત આપી જાય છે કે છેલ્લા બે વર્ષમાં જે નુકશાન થયું છે તેને સરભર કરવા મોદીએ જ ખુદ મેદાનમાં ઉતરવું પડશે. આ વખતે 2012 પછી ફરી ભાજપને જીતાડવાની જવાબદારી ખુદ મોદીના ખભે આવી પડી છે, કારણ કે આ ચૂંટણી દેશના વિવિધ રાજયોમાં પડઘો પાડી શકે છે.
 
   ગુજરાતમાં પાટીદારોની નારાજગી, ઉના દલિત અત્યાચાર કાંડના પગલે જોવા મળતો દલિત સમાજનો રોષ, ઓબીસી વર્ગમાં પણ નશાબંધીને લઇને નારાજગી તેમજ આદિવાસી સમાજ પણ સરકારની વિરૂદ્ઘમાં જાય તેવા ખાનગી અહેવાલના પગલે ભાજપની નેતાગીરી ચોંકી ઉઠી હતી અને ખુદ મોદીએ ગુજરાતનો મામલો હાથ પર લીધો છે.
 
   વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 જેટલી જાહેર સભાઓ ગુજરાતમાં યોજાવાની છે. આ રણનિતીના ભાગરૂપે તેઓ ૩૦ ઓગષ્ટના રોજ સૌની યોજનાના ઉદ્દઘાટન માટે આવ્યા હતા. 17મી સપ્ટેમ્બરના રોજ પોતાના જન્મદિન પ્રસંગે તેઓ ગુજરાતમાં આવ્યા છે અને દક્ષિણ ગુજરાત- ખાસ કરીને આદિવાસી વિસ્તારને ટારગેટ કર્યું છે.
 
   ચૂંટણી પંચ દ્વારા 15 સપ્ટેમ્બરથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે એટલે કે મતદાર યાદીઓ બનાવવાનું કામ પણ શરૂ થઇ ગયું છે જે ઓકટોબર મહિના સુધી ચાલશે. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીન ઉપરા ઉપરી મુલાકાતના ભાગરૂપે તેઓ ૭મી ઓકટોબરના રોજ ફરીએક વાર અમદાવાદની મુલાકાત લઇને તેમના વિધાનસભાના જૂના મતવિસ્તાર મણીનગરમાં આયોજીત વિશ્વ કબડ્ડી ચેમ્પયનશીપનું ઉદ્દઘાટન કરશે.
 
   આ મુલાકાત બાદ તેઓ ફરીથી વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ 2017માં બે દિવસ હાજરી આપવા ગુજરાત આવશે. સૌની યોજનાના ઉદ્દઘાટન વખતે ખુદ વડાપ્રધાને એવો ઇશારો કર્યો હતો કે તેઓ ગુજરાતની મુલાકાતે આવતા નથી તેવી ફરિયાદો છે પરંતુ હવે તેઓ છાસવારે ગુજરાત આવતા રહેશે. તેમની ગુજરાતની મુલાકાતના પગલે એવી અટકળો વહેતી થઇ છે કે વિધાનસભાની વહેલી ચૂંટણી આવી શકે છે.
 
   ભાજપ સંગઠન દ્વારા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્ત્।મ રૂપાલા સહિત સાત આગેવાનોની ટીમ બનાવીને ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરોની મુલાકાતોનો કાર્યક્રમ એ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો એક ભાગ હોવાનું મનાઇ રહ્યું છે. કેમ કે કોંગ્રેસ તો પોતાના ઉમેદવારો ખાનગીમાં નક્કી કરી નાંખ્યા છે અને તેના પગલે જ આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. ભાજપમાં જો કે આંતરિક અસંતોષ બહાર આવવાની શકયતા નહીંવત છે.
 
   રૂપાલા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના સાત નેતાઓની જિલ્લાઓની મુલાકાત વાસ્તવમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે ત્યારે જેમ જેમ ઉમેદવારો નક્કી થતા જશે  અને આ પ્રક્રિયા પૂર્ણ થતાં આખરી યાદી તૈયાર કરીને હાઇકમાન્ડ વડાપ્રધાન સમક્ષ આખરી મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.