બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 19 જૂન 2015 (17:42 IST)

21 જૂને દોઢ કરોડ લોકો ગૂજરાતમાંથી જોડાશે

સમગ્ર માનવજાતના મન અને તનના સ્વાસ્થ્યની ગુરૂચાવી એટલે યોગ. યોગની આ ગૌરવશાળી પરંપરાને વિશ્વભરમાં પ્રચલિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘના તેમના પ્રથમ સંબોધનમાં સૂચન કર્યું હતું. આ સૂચનને સ્વીકારીને સંયુક્ત રાષ્ટ્રસંઘે 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. સ્વાભાવિક રીતે ભારતમાં યોગની શરૂઆત થઇ હતી અને આ પૌરાણિક સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવા માટે સમગ્ર દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રાજ્યપાલ, મંત્રીમંડળના સભ્યો, ભાજપના પદાધિકારીઓ, કાર્યકરોથી માંડીને સામાન્ય જનતા પણ સામેલ થવા માટે સજ્જ બની છે. શાળા-કોલેજોમાં સરકારી કાર્યક્રમ હોવાથી ધો.6થી ઉપરના તમામ વર્ગના વિદ્યાર્થીઓને પોતાની શાળા-કોલેજમાં કાર્યક્રમ યોજી સામેલ થવાનું છે જ્યારે જાહેર કાર્યક્રમોમાં જનતા પણ સ્વૈચ્છિક રીતે જોડાઇ શકે છે, તેમ રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું.

ચુડાસમાએ કહ્યું કે, રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થશે, જેમાં રાજ્યપાલ અને મુખ્યપ્રધાન હાજર રહેશે. જ્યારે અમદાવાદમાં આ ઉપરાંત રિવરફ્રન્ટ, કાંકરિયા ગ્રાઉન્ડ અને સી.જી. રોડ ઉપર સવારે 7.33 વાગે 33 મિનિટનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્ર સરકારના આયુસ મંત્રાલયે તૈયાર કરેલી નિદર્શન ઓડિયો વિઝ્યુઅલ સીડીના પ્રેઝન્ટેશન સાથે યોગ ઇન્સ્ટ્રક્ટરો યોગ કરાવશે. રાજ્યભરમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે માટે તા.7થી 14 જૂન દરમિયાન 39 હજારથી વધારે ઇન્સ્ટ્રક્ટર્સને તાલીમ આપીને તૈયાર કરાયા છે.

અમદાવાદ ઉપરાંત રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ, ભરૂચમાં નર્મદા પાર્ક, ગાંધીનગરમાં મહાત્મા મંદિર, પોરબંદરમાં ચોપાટી વોક વે ઉપર તેમજ રાજ્યના તમામ જિલ્લાના વિવિધ મહત્વના સ્થળોએ, લગભગ તમામ ગામોમાં યોગનું નિદર્શન યોજાશે. જેમાં સૌને ભાગ લેવા માટે સરકાર વતીથી તેમણે આમંત્રણ આપ્યું હતું. મુસ્લિમ સમાજે યોગને લઇને વિરોધ કર્યો છે તેના સંદર્ભમાં ચુડાસમાએ કહ્યું કે, ઘણી મુસ્લીમ, લઘુમતિ સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાય તે માટે અમારું આમંત્રણ છે અને તેઓ જોડાશે તેવી અમને આશા છે.

વિશ્વ યોગ દિનની ઉજવણી માટે આર્ટ ઓફ લિવિંગ, પતંજલી યોગ કેન્દ્રો, લકુલેશ યોગ યુનિવર્સિટી, બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા, બ્રહ્માકુમારીઝ, એસએજીના યોગ ઇન્સ્ટ્રક્ચર્સના નેતૃત્વ હેઠળ વધારાના પ્રશિક્ષકોને યોગ તાલીમ આપીને રાજ્યભરમાં લોકોને યોગ કરાવશે. આ પત્રકાર પરિષદમાં શિક્ષણ અને રમતગમત, સાંસ્કૃતિક બાબતોના રાજ્યપ્રધાન નાનુ વાનાણી, વાણિજ્ય વેરા કમિશનર પી.ડી. વાઘેલા, યુવક સેવા કમિશનર મનિષ ભારદ્વાજ, અમદાવાદ કલેક્ટર રાજકુમાર બેનિવાલ વગેરે હાજર રહ્યા હતા.