શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 18 જાન્યુઆરી 2017 (18:30 IST)

ઉત્તરાર્ધ ઉત્સવ - મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે નર્તન કરશે

પ્રાચિ ન સમયમાં સોલંકીયુગમાં સૂર્યના સાનિધ્યમાં નૃત્યોનો આવિષ્કાર થયો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિરના રંગમંડપમાં સોલંકીકાળમાં આવા નૃત્યની પરંપરા હતી. આવી ઉજળી સાંસ્કૃતિક પરંપરાને જાળવવા આજે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકાર મોઢેરા ખાતે સૂર્યમંદિરના સાંનિધ્યમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરે છે. ઉત્તરાર્ધનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ તો છે જ સાથે સાથે પારંપરિક અને સાંસ્કૃતિક મહાત્મ્ય પણ એટલું જ છે. દિવસના ઉત્તરાર્ધ એટલે કે સાયંકાળે રજૂ થતા સંગીત નૃત્ય માનવીને તનમનની સ્વસ્થતા આપે છે.

ભારત વર્ષ શિલ્પ સ્થાપત્યની ભૂમિ છે. તેમાં ગુજરાત સદીઓ જૂની શિલ્પ સ્થાપત્ય અને પુરાતત્વીય ઈમારતો, મંદિરો, મહેલો, વાવો, કિલ્લાઓ વગેરેનો ખજાનો સાચવીને બેઠેલી ગૌરવવંતી ભૂમી છે. ગુજરાત રાજ્યનો મહેસાણા જિલ્લો આવો એક નસીબદાર જિલ્લો છે. જ્યાં મહાન સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીની સમાધી અને હાટકેશ્વર મહાદેવની ભૂમી વડનગર, સિદ્ધપુરનો રૂદ્રમાળ, વડનગરનું કિર્તિ તોરણ, પાટણની રાણકી વાવ અને મોઢેરાનું સૂર્ય મંદિર.

મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યનું પહેલું કિરણ પડે છે. અને તેનું પ્રતિબિંબ સામે સ્થિત કૂંડમાં જોઈ શકાય છે. હજારો વર્ષ પહેલાં બંઘાયેલો શિલ્પ સ્થાપત્યનો અમૂલ્ય વારસો આજે પણ એટલો અકબંધ છે. મોઢેરા પરિસરમાં ઈ.સ. 1026માં નિર્મિત મંદિરની અદ્ભૂત કોતરણી આપણને ચૂંબકની જેમ મંદિર તરફ આકર્ષે છે. બે ઘડી લોકો કોણાર્ક અને ખજૂરાહોના શિલ્પોને પણ ભૂલી જઈને સૂર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતામાં ડૂબી જાય છે. મંદિરની અંદર અને બહારના દરેક ભાગમાં દેવ દેવતાઓ, ફૂલોના આકારો, મહાભારતના પ્રસંગો અનેક સ્તંભો પર હૂબહૂ કોતરાયેલા જોવા મળે છે. સ્તંભના પેટાળે કોતરાયેલ વાત્સાયન કામસૂત્રના બંધોના નમૂનાઓ સોલંકીકાળના સામાજિક જીવન શિકારની રીતો એવી રીતે કોતરાયેલી છે કે દર્શક જોતા જ તે સમયમાં સરી પડે છે. 

સૂર્ય મંદિરના સૂર્યકૂંડ એ કોઈ સૂર્ય મંદિરમાં જોવા મળતાં નથી. મોઢેરાનું એક માત્ર સૂર્ય મંદિર છે જે સૂર્ય કૂંડથી દીપે છે. અને અનેરૂ ધાર્મિક મહત્વ ઘરાવે છે. 

સૂર્ય કૂંડની બરાબર સામે મંદિરનો ભવ્ય નૃત્ય મંડપ છે. નૃત્ય મંડપનું શોભા વધારતું તોરણ તેની ભવ્યતા સાથે અર્ધસ્વસ્તિક સ્થંભની સાથે ભગ્નાવશેષ અવસ્થામાં ઉભો છે. આશરે 25 ફૂટની લંબાઈ અને 25 ફૂટની પહોળાઈ વાળો આ નૃત્ય મંડપ શિલ્પોની ભવ્યાતિભવ્ય કોતરણીથી પત્થરમાં કંડારેલી કોઈ કવિતા સમો લાગે છે. અને તેથી જ તો સ્થાપત્ય અને નૃત્યનો અનોખો સંગમ અહીં ઉત્તરાયણ પર્વ પછી ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઉજવાય છે. કહેવાય છે કે નૃત્ય એટલે આત્માનું સંગીત. ઉર્મિના આવેગને કારણે લય, તાલ, શરીરના હલન ચલન અને અભિનય દ્વારા વ્યક્ત થાય છે. જેમ જેમ નૃત્યકલા શાસ્ત્રીય અને પદ્ધતિસર થતી ગઈ  તેમ તેમ તે સંસ્કૃત સૌંદર્યને ખીલવતી ગઈ. નૃત્યનો મુખ્ય હેતુ સનાતન સત્યોની સૌંદર્ય દ્વારા પ્રતિતિ કરાવવાનો છે. ગુજરાતી લોકકલા એ શારીરિક ઉર્મિઓને વધુ સંસ્કૃત અને ઉન્નત સ્વરૂપ આપી પરમાત્માને ચરણે રજુ કરી કલા અને સૌંદર્ય દ્વારા પરમાત્મા સ્વરૂપ સાથે એકતાનું સાધન છે. હજારો વર્ષો થયાં છતાં આપણા સાંસ્કૃતિક નૃત્યો, પવિત્ર સ્વરૂપમાં જળવાઈ રહ્યાં છે. ભારતના શિષ્ટ નૃત્યોમાં ભારતનાટ્યમ, કથ્થક, અને મણિપુરી એમ ચાર મુખ્ય કારો છે.