શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2013 (10:38 IST)

અડવાણી ભોપાલથી અને નરેન્દ્ર મોદી લખનૌથી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે

P.R
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરના બદલે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી ચૂંટણી લડશે અને ગાંધીનગર બેઠક પરથી ગુજરાત સરકારના પૂર્વમંત્રી અમિત શાહ લોકસભા ચૂંટણી લડશે.

આ સાથે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ટીમ સાથે નવી દિલ્હીમાં આગામી ચૂંટણી વિષયક રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિજયની હેટ્રીક લગાવ્યા પછી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની લખનૌ બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે.

લખનૌ લોકસભા બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી ચૂંટણી લડતા આવ્યા છે. એવામાં સૂત્રોના અનુસાર રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન તરફથી વડાપ્રધાન પદ માટે મોદીની દાવેદારી જોતાં મોદી વાજપેયીની પરંપરાગત બેઠકને પસંદ કરી શકે છે. અટલબિહારી વાજપેયીએ આ બેઠક પરથી 1991 થી 2004 દરમ્યાન પાંચ વખત ચૂંટણી જીતી છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં નરેન્દ્ર મોદી પોતાનો ઉત્તરાધિકાર તેમના કેબીનેટ મંત્રીઓ આનંદબેન પટેલ, નીતિન પટેલ અને સૌરભ પટેલને સોંપી શકે છે.