ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (11:51 IST)

અવનવા આકર્ષણો સાથે ગુજરાત સરકાર આયોજીત ગરબા મહોત્સવનું મુખ્યમંત્રી દ્વારા કાલે ઉદ્દઘાટન

ગુજરાતનો ગરબો વૈશ્ર્વિક સ્તરે પ્રસ્થાપિત થયો છે ત્યારે રાજયભરમાં નવલી નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષ પણ નવરાત્રી મહોત્સવ ૨૦૧૪નું જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે આયોજન કરાયું છે, જેને રાજયના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ તા.૨૫મી સપ્ટેમ્બરે સાંજે ખુલ્લો મૂકશે.

તા. ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઑક્ટોબર સુધી ચાલનારા આ નવરાત્રી મહોત્સવ દરમિયાન તા. ૨૬ સપ્ટેમ્બરથી ૨ જી ઓકટોબર દરમિયાન રાત્રે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી શેરી ગરબા, રાજયકક્ષાની પ્રાચીન, અર્વાચીન ગરબા અને રાસની હરીફાઇ (સાંજે ૬-૩૦ થી ૮-૩૦) દરમિયાન યોજાશે. તેમ જ દરરોજ રાત્રે ૧૧-૪૫ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે.

પ્રવાસન નિગમ દ્વારા ખેલૈયાઓ તેમ જ લોકો માટે અવનવા આકર્ષણો જેવા કે થીમ પેવેલિયન, ક્રાફટ બજાર, ફુડકોર્ટ, એડવેન્ચર્સ, સ્પોર્ટસ, કીડઝાનીયા પણ તૈયાર કરાયા છે. જેનો સાંજના ૫-૦૦ થી રાત્રીના ૧૨-૦૦ વાગ્યા સુધી મુલાકાતીઓ અને બાળકો લાભ લઇ શકશે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રાજય સરકાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં દર વર્ષ અંદાજિત પાંચ લાખ જેટલા ખેલૈયાઓ તથા મુલાકાતીઓ મુલાકાત લેતા આવ્યા છે અને આ વર્ષ પણ આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. રાજયમાં આ દિવસો દરમિયાન વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે જેના કારણે પ્રવાસન નિગમ દ્વારા આ દિવસો દરમિયાન ખાસ ટૂર પેકેજીસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓ નવરાત્રી જોવાની સાથે સાથે રાજયના અન્ય શિલ્પ સ્થાપત્યો તથા જોવાલાયક સ્થળોની પણ મુલાકાત લે છે જેથી મોટાભાગના લોકોને રોજગારી મળે છે. તહેવારોની ઉજવણી થકી ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.