શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 24 જાન્યુઆરી 2015 (18:09 IST)

આજે છે વસંતપંચમી - વિદ્યાપ્રેમીઓ આજે માં સરસ્વતીની વિશેષ વંદના કરશે

આજે શનિવારે મહા સુદ-૫નો દુર્લભ દિવસ છે. ગામડાના ધૂળિયા માર્ગે કે ડામરની શહેરી સડકો પર સતત ભાગતા રહીને પણ જેના હૈયે 'ક' કુદરતનો વસેલો છે એ લોકો આ દિવસે વસંતપંચમી ઉજવશે. વણકથ્યા મૂહુર્તોથી ભરેલા આ આખા દિવસ દરમિયાન લગ્નોત્સવોની ઝડી વરસશે. વિદ્યાપ્રેમીઓ મા સરસ્વતીની વિશેષ વંદના કરશે. પાદુકાપૂજન, યજ્ઞા અને વિદ્યાપ્રાપ્તિ હવનના કાર્યક્રમો યોજાશે. કવિઓ વસંતની સુગંધથી શબ્દોને મહેકાવશે અને ચાહકોમાં કલમનું અત્તર છાંટશે.
''જીવન અને જગતની સઘળી આધિ-વ્યાધિ-ઉપાધિને કોરાણે મૂકી દે... આજનો પરેશાન મનેખ જેને ટેન્શન નામે ઓળખે છે. એ જીવલેણ રોગને મનમાંથી ભગાડી દે... ઘરના ખૂમે ઉભા પગે બેસીને ફફડતી ચાનો આલ્હાદ માણી લે અને ક્યારેય અડકયો ના હોય, પણ હવે ઇચ્છા હોય તો નિરાંત જીવે બે બીડીનો દમ બી મારી લે... લહેંગા -ઝભ્ભા જેવો સાવ ખુલતો ડ્રેસ અને ચંપલ પહેરીને, કોઇ યાર-દોસ્તને ખભે બાલમંદિરનો હાથમૂકીને નિકળી પડ તારાં ગામની ગલીઓમાં... પહોંચી જા કોઇ જળાશય તટે... ઢળતી સંધ્યાનું સૌંદર્ય પીતા ખોવાઇ જા. મા પ્રકૃતિની પ્રેમપાશમાં આસોપાલવના પાન પરથી સરતા વાયુને રમવા દે તારી અલકલટો સાથે...''
આજે મહાસુદ-૩ છે. ચોથનો ક્ષય છે. વસંતપંચમી (અને અષાઢી બીજ) શુભ પ્રસંગો માટે વણકથ્યા વણજોયા મૂહૂર્તોની વણઝાર લઇને આવે છે. હજારો પ્રણયઘેલા હૈયાં આવતી કાલે વસંતની પાંચમને સાક્ષી રાખીને પરિણયના મંગળસૂત્રે બંધાઇ જશે. વસંતપંચમી વિદ્યાનો પ્રારંભ કરવાનો શ્રેષ્ઠ દિવસ ગણાઇ છે. આથી આ દિવસે શાળા મહાશાળાઓમાં સરસ્વતી માતાનું પૂજન સ્તવન થશે. સરસ્વતી માતાનો વેદોક્ત મંત્ર છેઃ  ''શ્રી હ્રીં સરસ્વત્યૈ સ્વાહા''. સાક્ષરો વસંતના વધામણાં ગાતી કવિતાઓની મહેંકને ભાવકોમાં ફેલાવીને અક્ષર બ્રહ્મની ઉપાસના કરશે.