આજે શનિવારે મહા સુદ-૫નો દુર્લભ દિવસ છે. ગામડાના ધૂળિયા માર્ગે કે ડામરની શહેરી સડકો પર સતત ભાગતા રહીને પણ જેના હૈયે 'ક' કુદરતનો વસેલો છે એ લોકો આ દિવસે વસંતપંચમી ઉજવશે. વણકથ્યા મૂહુર્તોથી ભરેલા આ આખા દિવસ દરમિયાન લગ્નોત્સવોની ઝડી વરસશે. વિદ્યાપ્રેમીઓ મા સરસ્વતીની વિશેષ વંદના કરશે. પાદુકાપૂજન, યજ્ઞા અને વિદ્યાપ્રાપ્તિ હવનના કાર્યક્રમો યોજાશે. કવિઓ વસંતની સુગંધથી શબ્દોને મહેકાવશે અને ચાહકોમાં કલમનું અત્તર છાંટશે.