શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 19 જૂન 2015 (17:47 IST)

આવકના પ્રમાણપત્રને હવેથી ત્રણ વર્ષ માટે માન્ય

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે રાજ્યના સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો બક્ષીપંચ જાતિઓને અનામત પ્રસંગે આપવાના થતા આવકના પ્રમાણપત્રને હવેથી ત્રણ વર્ષ માટે માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે. આનંદીબહેન પટેલે બક્ષીપંચ જાતિઓના ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ વાંચ્છુ વિદ્યાર્થીઓ અને નોકરીઓની ભરતી માટેના ઉમેદવારો-યુવાનોને અનુભવવી પડતી સમસ્યા નિવારવાના ઉદાત હેતુથી પ્રમાણપત્રોના સરળીકરણના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ જાહેર કર્યા છે.

રાજ્યમાં જાતિ પ્રમાણપત્રો આપવા માટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને વિકસતી જાતિના જિલ્લાના નાયબ નિયામકને સક્ષમ સત્તાધિકારી તરીકે નિયુકત કરવામાં આવેલા, તેમાં હવેથી નોન-ક્રિમીલેયર બિનઉન્નત વર્ગોનું પ્રમાણપત્ર આપવાની સત્તા મામલતદાર ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીને પણ આપવાનો નિર્ણય મુખ્યપ્રધાને કર્યો છે.
મુખ્યપ્રધાને પ્રમાણપત્રોના સરળીકરણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરા, રાજ્યમંત્રી દિલીપકુમાર ઠાકોર અને વરિષ્ઠ અધિકારીઓની યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકને પગલે આ નવા નિર્ણયો જાહેર કર્યા છે. રાજ્યની કુલ ૧૪૬ બક્ષીપંચ સામાજિક શૈક્ષણિક રીતે પછત વર્ગની પ૦ ટકા વસ્તી ધરાવતી જાતિઓને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ તથા સરકારી નોકરીઓમાં ભરતી વેળાએ બિન ઉન્નત વર્ગ-નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર આપવાનું થતું હોય છે તેમાં આ નવા નિર્ણયથી સુગમતા રહેશે.

મુખ્યપ્રધાને ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર જે તે વિદ્યાર્થી કે ઉમેદવારના માતા-પિતાની આવક અને દરજ્જા ઉપર આધારિત હોવાથી એક સંતાનના કિસ્સામાં કઢાવવામાં આવેલું આવકનું પ્રમાણપત્ર બીજા તમામ સંતાનો માટે પણ ત્રણ વર્ષ સુધી ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કર્યો છે. રાહતના આવા ત્રણ વર્ષ દરમ્યાન આવકમાં વધારો થાય તો જે તે અનામતના લાભાર્થી અરજદારે તેની સ્વૈચ્છિક રીતે સક્ષમ અધિકારી સમક્ષ જાહેરાત કરવાની રહેશે તેમ બેકઠમાં નિયત કરાયું છે.
આનંદીબહેન પટેલના અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર બિન ઉન્નત વર્ગના પ્રમાણપત્રો કઢાવતી વખતે આધારો તરીકે રજૂ કરવામાં આવતા શાળા છોડયાના પ્રમાણપત્રો, ૭/૧રના મહેસૂલી ઉતારા, ઇન્કમટેક્ષ રીટર્ન વગેરે બિડાણો જે તે વિદ્યાર્થી/વાલી જાતે પ્રમાણિત કરી શકશે. (Self-attestaion) સરળીકરણના આ નિર્ણયો અને નીતિ ફકત રાજ્ય સરકાર હેઠળના અનામતને જ લાગુ પડશે. ભારત સરકારની બિન ઉન્નત પ્રમાણપત્રની નીતિ યથાવત રાખવામાં આવી છે.