શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

દીપરાં હત્યાકાંડ કેસમાં 22 આરોપી દોષી, 61 નિર્દોષ સાબિત

P.R
ગોધરાકાંનાં કોમી રમખાણો સમયે વિસનગરના દીપરા દરવાજા વિસ્તારના ચુડીવાસમાં પ મહિ‌લા, ૪ બાળકો,૧ કિશોર અને ૧-પુરુષ સહિ‌ત ૧૧ વ્યક્તિઓને જીવતાં સળગાવી દેવાયાં હતાં. આ કેસમાં ૮૩ આરોપીઓ વિરુદ્ધ તહોમતનામું ઘડાયું હતું. છેલ્લા ૧૦ વર્ષથી ચાલતા આ કેસનો આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચુકાદો આવતાં 22 આરોપીને દોષિત કરાર અપાયા છે જ્યારે અન્ય ૬૧ આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે. જ્યારે એક દોષિત આરોપીનું મોત નીપજ્યું છે.

નિર્દોષ જાહેર કરાયેલા ૬૧ વ્યકિતઓમાં વિસનગરના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદભાઇ મોહનભાઇ ગોસા અને વિસનગર નગરપાલિકાના પ્રમુખ ડી.ટી.પટેલને પણ નિર્દોષ જાહેર કરાયા છે.

નોંધનીય છે કે, ગોધરાકાંડ ટાણે ૨૮ ફેબ્રુઆરી ર૦૦૨ના રોજ વિસનગરમાં હથિયારો લઇને એક ટોળું અહીંના દીપરા દરવાજા વિસ્તારના ચુડીવાસમાં બે દિશામાંથી ધસી આવ્યું હતું. અહીં મકાનો પર સળગતા કાકડા નાખી લઘુમતીઓના એક જ પરિવારનાં પાંચ બાળકો સહિ‌ત ૧૧ વ્યકિતઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઇ હતી.

લાશોનો નિકાલ કરી પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશોને ચુડીવાસથી આશરે ૨ કિલોમીટરના અંતરે આવેલા માલવ તળાવ નજીક લઇ જઇ સળગાવી દેવાઇ હતી. જ્યારે આ ઘટનામાં ઇજા પામેલા લઘુમતી કોમના ૨૩ વ્યકિતઓને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે મહંમદ ઇકબાલ અહેમદખાન બલોચે વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ મહેસાણા સેસન્સ કોર્ટમાં વર્ષ ૨૦૦૨માં ચાલવા પર આવ્યો હતો. જેમાં કોર્ટે ૮૩ વ્યકિતઓની વિરુદ્ધમાં આરોપનામું ઘડી ટ્રાયલ ચાલુ કર્યો હતો. જોકે, આ કોર્ટ કાર્યવાહી દરમિયાન એક કથિત આરોપીનું મોત નીપજ્યું હતું. આ કેસમાં સરકારી વકીલ મુકેશભાઇ બ્રહ્મભટ્ટે ૧૪પ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.