શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 9 સપ્ટેમ્બર 2014 (13:43 IST)

નર્મદા ડેમ છલકાયો

વાયબ્રન્‍ટ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઉપરવાસના ભારે વરસાદના કારણે ઓવરફલો થતાં સમગ્ર ગુજરાતીઓના હૈયે આનંદના અબીલ-ગુલાલ સાથે હર્ષોલ્લાસથી વધામણી કરવામાં આવી છે. સમૃધ્‍ધિના દ્વાર ખોલતી આ ક્ષણ ગુજરાત ચારેય દિશાએથી ભરપૂર વિકાસ કરશે. નર્મદા ડેમ ઓવરફલો થતાં જ કૃષિક્રાંતિ સાથે ઔદ્યોગિક તેમજ અન્‍ય વ્‍યવસાયસોને પણ સુવર્ણતક પ્રાપ્‍ત થશે.

      મધ્‍યપ્રદેશના ઈન્‍દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાં પાણીની ભરપુર આવકને પગલે વીજ ઉત્‍પાદન મથકોને ધમધમતાં કરાતાં તેમાંથી છોડવામાં આવી રહેલાં પાણીથી સરદાર સરોવરમાં પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૨ મીટરને સ્‍પર્શી હતી. સવારે ૧૧.૩૦ કલાકે નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ રહેતાં ડેમની સપાટી ૧૨૧.૯૨ મીટરે પહોંચતાં ડેમ ઓવરફલો થયો છે. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ઓવરફ્‌લો થયો છે, આ વર્ષે ઘણી વખતે ઓવરફલો થવાની નજીકે પહોંચ્‍યો હતો પરંતુ એકપણ વાર ઓવરફલો થયો નહોતો પરંતુ આજે ઓવરફલો થતા ગુજરાતના લોકોમાં આનંદ છવાઈ ગયો છે.

      ગઈકાલથી સરદાર સરોવરમાં આવતાં પાણીની માત્રામાં ત્રણ ગણો વધારો થતાં ડેમની સપાટીમાં દર કલાકે ૮ થી ૧૦ સે.મી.નો વધારો થઇ રહ્યો હોવાથી નર્મદા ડેમ ઓવરફલો થાય તેવી સંભાવના વધી ગઈ હતી જે આજે પૂરી પણ થઇ ગઈ છે અને ડેમ ઓવરફલો થઇ ગયો છે. નર્મદા ડેમની સપાટી ૧૨૦ મીટરને વટાવી જતાં આજે સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે ડેમ ઓવરફલો થયો છે.

      આજે બપોરે ૧.૩૦ કલાકે રાજપીપળા, ભરૂચ સહિત નર્મદા ડેમ વિસ્‍તારમાં ઘટાટોપ વાદળો વચ્‍ચે મેઘરાજા મનમુકીને અમીકૃપા કરી રહ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્‍યા અનુસાર નર્મદા ડેમ આવનારા એક-બે દિવસ સુધી ઓવરફલો થવાનો નિર્દેશ આપ્‍યો છે.