શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગીર સોમનાથ, , મંગળવાર, 19 જુલાઈ 2016 (12:47 IST)

શંભુપ્રસાદ ટુંડિયાએ ઉનાની ઘટનાને વખોડી કાઢી આરોપીઓ સામે તાત્કાલિક પગલાં ઉઠાવવા માંગ કરી

ઉનામાં દલિત યુવકોને અર્ધનગ્ન કરીને ઢોર માર મારવા  મુદ્દે રાજ્યભરનો દલિત સમાજનો વિરોધ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના જુદા-જુદા શહેરોમાં દલિત સમાજના લોકોએ રેલી કાઢી માર મારનાર આરોપીઓ અને પોલીસ સામે કાર્યવાહી કરવા માગ કરતા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે હવે ભાજપના જ રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાએ પણ સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

શંભુપ્રસાદ ટુંડિયાએ  આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, ચાર દલિતોને ઢોર મારમારના આરોપીઓ સામે જો કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.  તેમણે ઉમેર્યું હતું કે, હું સરકારનો જ એક હિસ્સો છું. આ તબક્કે સરકારને કહેવા માગુ છું કે, અવારનવાર દલિત સમાજ સામે અપમાનજનક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હવે જો સરકાર આ મામલે પગલાં નહી ભરે તો દલિતોને ન્યાય અપાવવા  અમારી સરકાર સામે આંદોલન કરીશ.  ઉલ્લેખનીય છે કે, ઉના દલિતોને માર મારવાના મુદ્દે આજે કહેવાતા ગૌરક્ષકોની ધરપકડ કરી હતી. તો બીજી તરફ આ કેસમાં અત્યાર સુધી ઉના પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.  બીજી સુરેન્દ્રનગરમાં દલિત સમાજના લોકોએ મૃત ઢોર સાથે રેલી કાઢી હતી અને જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી મૃત ઢોર ઉઠાવવાની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે આ મુદ્દે તાત્કાલિક ગાંધીનગરમાં બેઠક બોલાવી અને તપાસના આદેશ આપ્યાં હતા. અત્યાર સુધીમાં આ કેસમાં ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.