સોમનાથ મંદિર પર હુમલા કરવાની મોટી યોજના નિષ્ફળ, ત્રણ ત્રાસવાદીઓ ઠાર
સોમનાથ મંદિર પર હુમલા કરવાની મોટી યોજનાને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. આ સંદર્ભમાં 10 પાકિસ્તાની ત્રાસવાદીઓ પૈકીના ત્રણ ત્રાસવાદીઓને મોતને ધાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ સનસનાટીપૂર્ણ સમાચાર અંગે મોડી રાત સુધી સમર્થન મળે તેવી માહિતી ન મળતા દુવિધાભરી સ્થિતિ રહી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, મહાશિવરાત્રી તહેવાર દરમિયાન ત્રાસવાદી હુમલો કરવાના ખતરનાક ઇરાદા સાથે ગુજરાત મારફતે ભારતમાં ધુસેલા ૧૦ ત્રાસવાદીઓ પૈકીના ત્રણ ત્રાસવાદીઓને સુરક્ષા દળોએ મોતને ધાટ ઉતારી દીધા છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓ અંગેની માહિતી મળી ગઈ છે. ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવાયા છે અને અન્યોને પકડી પાડવા માટે વ્યાપક ઓપરેશન ચાલી રહ્યું છે. આ ત્રાસવાદીઓને ક્યા અને ક્યારે ઠાર કરવામાં આવ્યા તે અંગે સુરક્ષા સંસ્થાઓએ કોઇપણ માહિતી આપી નથી. બીજી બાજુ ત્રાસવાદીઓ ગુજરાતમાં ધુસ્યા છે તેવા અહેવાલ થોડાક દિવસ પહેલા આવ્યા બાદથી હાઈએલર્ટની જાહેરાત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી હતી. જેના ભાગરુપે સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, અક્ષરધામ મંદિર, સરદાર સરોવર બંધ, મોટા વિજ પ્લાન્ટ સહિત તમામ જગ્યાઓએ સુરક્ષા વ્યવસ્થા અભૂતપૂર્વ કરવામાં આવી હતી. સાથે સાથે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. હવે એવા અહેવાલ મળ્યા છે કે, સોમનાથ મંદિર પર હુમલા કરવાની યોજના નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. જો કે, આ અહેવાલને મોડી રાત સુધી સમર્થન મળી રહ્યું ન હતું. કેટલીક સંમાચાર સંસ્થાઓએ આ અંગેના અહેવાલ દર્શાવ્યા હતા. ત્રાસવાદીઓની ધુસણખોરીના સંદર્ભમાં ઇન્ટેલીજન્સ ઇન્પુટ મળ્યા બાદથી જ માત્ર ગુજરાતમાં જ નહીં બલ્કે દેશના અન્ય ભાગોમાં પણ અભૂતૂપર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા. (09:29 pm IST)