શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 31 ઑક્ટોબર 2013 (13:46 IST)

સોમનાથ મંદિરનું નિર્માણ અને જૂનાગઢની આઝાદીમાં સરદાર વલ્લભભાઈનો સૌથી મોટો ફાળો

P.R


ભારતના લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ છે. ત્યારે જૂનાગઢને નવાબી શાસનમાંથી આઝાદી અને સોમનાથ મંદિરનું નવનિર્માણ સરદાર પટેલને આભારી છે. સરદારના સંકલ્પથી સોમનાથમાં ભવ્ય મંદિર બન્યું છે. પરંતુ સરદારની સ્મૃતિ રૃપે ત્યાં તેનું સ્મારક બનાવવામાં નેતાઓ દ્વારા ઉપેક્ષા સેવવામાં આવી છે.

ભારતને અંગ્રેજોની ગુલામીમાં મુક્ત કરાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર અને આઝાદી બાદ દેશી રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ ઉજવાશે. સરદાર પટેલની જૂનાગઢ જિલ્લા સાથે મહત્વની યાદો જોડાયેલી છે.
ભારતની આઝાદી બાદ જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે રહેવા જાહેરાત કરી હતી. આથી સરદાર પટેલની સુચનાથી આરઝી હકુમતની રચના થઈ હતી અને તેની સેનાએ નવમી નવે.ના જૂનાગઢના કબ્જો લીધો હતો. આથી જૂનાગઢની આઝાદી સરદાર પટેલને આભારી છે.

જૂનાગઢમાં ૧૩મી નવે. ૧૯૪૭ના સરદારે બહાઉદીન કોલેજમાં પ્રજામત લઈ સોમનાથ ગયા હતા. જ્યાં મંદિરની હાલત જોઈ તેઓનું હૃદય દ્રવી ઉઠયું હતું અને તેઓએ હાથમાં અંજલી લઈ સોમનાથમાં ભવ્ય મંદિર બનાવવા સંકલ્પ કર્યો અને મંદિર બની ગયું.

૧૯૭૦માં સોમનાથ મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમા મુકવામાં આવી હતી. સોમનાથ મંદિરનું નિર્માણ સરદારને આભારી છે. છતા હાલ ત્યાં માત્ર સરદારની પ્રતિમા જ છે. આટલા વર્ષો બાદ પણ સરદાર પટેલનું આ સ્થળે સ્મારક બનાવવામાં નેતાઓએ ઉપેક્ષા સેવી છે.

સોમનાથમાં દર વર્ષે લાખો યાત્રિકો આવે છે. તો આ સ્થળે સરદાર પટેલનું સ્મારક બનાવી લાઈટ એન્ડ સાઉન્ડ શો, તેઓના જુના પ્રવચનો સહિતની બાબતો રાખવામાં આવે તો લોકો સરદાર તથા તેઓના જીવન ચરિત્ર વિશે જાણી શકે તેમજ તેમાંથી પ્રેરણા લઈ શકે.

હાલ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પોતાના નિવેદનમાં સરદાર પટેલનું નામ લેવાનું ચુકતા નથી. પરંતુ મંદિર નવનિર્માણમાં જેનો મુખ્ય ફાળો છે તેવા સરદાર પટેલની માત્ર એક પ્રતિમા મુકીને જ સંતોષ માની લેવામાં આવ્યો છે