સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તરમાં માવઠું-એકનું મોત
ઉ.ગુજરાતમાં જીરું, વરિયાળીના પાકને અસરની દહેશત-હવામાન ખાતું
અમદાવાદ(એજંસી) સૌરાષ્ટ્ર-કચ્છમાં ભેજ વધતા સર્જાયેલા વાદળાઓને પગલે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. આજે ફરી સર્વત્ર ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો હતો. જયારે નલિયા, ઓખા તથા દ્વારકા, પંચમહાલના ઝાલોદર અને લિંબડીમાં આજે ભરશિયાળે માવઠું પડતાં જનજીવન ભારે ખોરવાયું હતું. જ્યારે અમરેલીના જાળિયા ગામે એક આધેડનું ઠંડીથી મોત થયું હોવાના અહેવાલ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતમાં ઠંડીનુ જોર વઘ્યા બાદ મંગળવારે સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ અને પવનના સૂસવાટા સાથે ખેરાલુ, ઊંઝા પાટણ, ડીસા, પાલનપુર, વડગામ, દાંતા, દિયોદર, કાંકરેજ તેમજ સાબરકાંઠા જિલ્લામાં માવઠું થતાં જીરું અને વરિયાળીનું વાવેતર કરનાર ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આજે સૌરાષ્ટ્ર-કરછમાં ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેની અસર ઉત્તર ગુજરાત સુધી જણાઇ હતી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ઠંડીમાં આ ઘટાડો કદાચ છેતરામણો બની રહેશે. હાલના વાદળાઓ દૂર થયે બે-ત્રણ દિવસ બાદ ફરી વધુ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે. સવારથી જ આકાશ વાદળોથી ગોરંભાયેલુ રહેતા ઠંડીનું જોર વઘ્યુ હતુ. ગઇકાલ સુધી ટાઢુબોળ રહેલા સૌરાષ્ટ્ર-કરછમાં ઠંડીનું પ્રમાણ ઘટયું હતું. નલિયામાં આજે બપોરે અચાનક વાદળો ધસી આવ્યા હતા અને સાડા બારના અરસામાં ઝાપટું વરસી જતાં 0.7 મીમી વરસાદ નોંધાયો હતો. આજે નલિયામાં ન્યૂનતમ તાપમાન 9.5 ડિગ્રી તથા મહત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામયું હતું. અમરેલીમાં ન્યૂનત્તમ 9.8 ડિગ્રી સામે મહત્તમ 28 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાયું હતું.ઉત્તર ગુજરાતમાં પાકમાં કાળિયો, ચરમીનો રોગ તેમજ ઘઉંમાં ગેરુનો રોગ આવવાની સાથે આ પાકોનું વાવેતર કરનાર ખેડુતોને ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, "કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન નહિ થાય પરંતુ લાંબો સમય આકાશમાં વાદળો ગોરંભાયેલા રહે તો ખેતીના પાકોમાં નુકશાન થઇ શકે છે." આમ ખેડુતોને કુદરત રાતા પાણીએ રડાવશે તેવી દહેશત સાથે ધરતીપૂત્રોમાં ફફડાટ ફેલાયો છે.ઉત્તર ગુજતાતને આ વખતની ઠંડીએ ધ્રુજાવી દીધા પછી ઓચિંતા હવામાનના પલટાએ નવો પડકાર ઊભો કર્યો છે. ઠંડીની કળ વળે તે પહેલા માવઠું આવી પડતાં રવી સિઝન માટે ભારે અનિશ્ચિતતાની સ્થિતિ સજાઇ છે.