શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 26 માર્ચ 2015 (18:19 IST)

૨૭મી માર્ચ 'વિશ્વ રંગભૂમિ દિવસ' - અન્ય મનોરંજનનાં યુગમાં નાટક અને ભવાઈ કલા અંતિમ શ્વાસ લઈ રહી છે

આજે ૨૭મી માર્ચ 'વિશ્વ રંગભૂમિ દિવસ' છે. આપણી વિસરાતી જતી નાટયકલાનો રંગીન સંસ્મરણોને વાગોળવા ઉપરાંત આ કલાને પુનઃજીવિત કરવા અંગેની દિશામાં જરૃરી મનોમંથન કરવાનો આ વિશેષ દિવસ છે.

આજે રંગભૂમિ સાથે વણાયેલી ભવાઈકલા નામશેષ થવાના આરે ઉભી છે. આ કલાને માણનારો ચાહક વર્ગ કે તેના કદરદારનો હવે ભાગ્યે જ ક્યાંક રહ્યા છે અને તેથી જ પરંપરાગત આ વ્યવસાય સાથેની સંકળાયેલા ભવાઈ કલાકારો હવે કફોડી સ્થિતિમાં મુકાયા છે.
ગુજરાતના પારંપારિક નાટય પ્રકારોમાંનો એક પ્રકાર એટલે ભવાઈ ચૌદમી સદીમાં સિદ્ધપુર ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ અને કથાકાર અસાઈત ઠાકરે ગુજરાતના નાટય પ્રકારોમાંથી પ્રેરણા લઈ નવા સ્વરૃપે આ ભવાઈ-કલાનું સર્જન કર્યું હતું.
એવું મનાય છે કે સૌથી જૂનામાં જૂનાં રામદેવનો વેશ જેવા આશરે ૩૬૦ જેટલા ભવાઈ વેશ જે અસાઈત ઠાકરની કલમે લખાયા છે. દાયકાઓ પૂર્વે ભવાઈ કલાનો એક એવો સુવર્ણ યુગ હતો કે જ્યાં ભવાઈ ભૂંગળવાગે એટલે ગામના ચોરે જાણે કે અનેરો ઉત્સવ મંડાય સૌ ગ્રામવાસીઓ નાત જાતના ભેદ ભૂલીને મન ભરી જાણે કે ભવાઈનો આનંદ લૂંટવા થનગનતા હોય એ જમાનામાં વિભિન્ન જ્ઞાાતિ મુજબ સમાજ જીવનની વિશેષ લાક્ષણિકતાઓ રહેણી કરણી, અંધશ્રધ્ધા અને સામાજિક દુષણો જેવી બાબતોને સુંદર અભિનય અને વેશભૂષા સાથે વિવિધ ભવાઈ વેશોમાં વણી લઈ એ કલાકારો લોકોને જ્ઞાાન અને શિક્ષણ સાથે સંસ્કાર પ્રેરક ભરપૂર મનોરંજન પુરૃ પાડતા એ સમયમાં આ ભવૈયાઓનો સામાજિક દરજ્જો પણ ઊંચો હતો. જ્યારે તેઓનું ગામમાં આગમન થતું ત્યારે ગ્રામ્ય પ્રજા દ્વારા ઢોલ-નગારા સાથે તેઓનું સામૈયું કરવામાં આવતું.
સમયના બદલાતા પ્રવાહ સાથે ટીવી અને સિનેમા યુગના આગમનને પગલે આજે નાટક અને ભવાઈ કલા જે મૃતઃપ્રાય અવસ્થામાં અંતિમ શ્વાસ લઈ રહી છે અને એ માત્ર આજે દિવસની ઉજવણી પુરતી જ સિમીત રહી જવા પામી છે.
વિશેષ કરીને ઉત્તર ગુજરાતમાં ૨૫થી ૩૦ કલાકારોના કાફલા સાથે નાટક સમાજ કે કલા-મંડળ જેવા નામે વ્યવસાયિક ધોરણે ચાલતી ૩૫ જેટલી નાટક મંડળીઓ કાર્યરત હતી. પરંતુ આ કલાને માણનારો ચાહક વર્ગ કાળક્રમે ઓછો થતાં તેમજ મંડળીઓની આવક ઘટતાં અને નવી પેઢીની આ કલા પ્રત્યેની નિરસતા ઉપરાંત સારા કલાકારોની અછત અથવા તો મુખ્ય કલાકારોના અવસાન કે અવસ્થા થવાને કારણે આ કલાનું અસ્તિત્વ જોખમમાં મુકાતાં આજે નામશેષ થવાના આરે ઉભી છે.
રંગભૂમિની આવી અવદશા વચ્ચે પણ પ્રાંતિજ તાલુકાના ઘડી ગામના અદના કલાકાર રતિલાલ નાયક જે આજે ૭૫ વર્ષની ઉંમરે પણ આ કલા-સાંસ્કૃતિકને જીવંત રાખવા સતત મથામણ કરી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં આજે તેમની ફક્ત એક જ ભવાઈ લોક નાટક રંગ મંડળી કાર્યરત રહી છે. વળી સને- ૧૯૮૨થી તેઓ નાયક રંગમંચ સંકુલ નામની સરકાર માન્ય કલા સંસ્થા ચલાવી રહ્યા છે જે દ્વારા સરકારના જનજાગૃતિના કાર્યક્રમો થાય છે. તેઓના હસ્તે લખાયેલ 'ભવાઈ અંશ' લોક નાટય ટૂંકસારમાં સંપૂર્ણ રામાયણ જે પુસ્તકને તાજેતરમાં સરકારની નાટયકલા સંસ્થા દ્વારા સમર્થન મળતાં આ નાટક ચાલીસેક કલાકારો સાથે રંગમંચ ઉપર ઉજવવા માટેની તૈયારીઓ થઈ રહી છે.