ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. જૈન
  3. જૈન ધર્મ વિશે
Written By

શ્રી મહાવીર સ્વામીની કથાઓ અને દર્શન

જૈન ધર્મ વિષે - 
ઘણા વર્ષોની ગણતરીનો એક જ માપનો ‘ઉત્સર્પિણી’ અને અવસર્પિણી’નામનો એક મહાકાળ જૈન ધર્મે દર્શાવ્યો છે. ભારતભૂમિ પર આ મહાકાળમાં યથાકાળે ૨૪ તીર્થંકરો જન્મ્યા છે. તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ થતા સકળ કર્મનો શ્રેય કરી મોક્ષ સ્થાને પહોંચે છે અને પોતાનું અંતિમ ઘ્યેય સિદ્ધ કરે છે. આવા સિદ્ધાત્માને જૈનધર્મમાં ‘તીર્થંકર’, ‘વીતરાગ’, ‘અરિહંત’ના નામે ઓળખવામાં આવે છે.


જૈન દર્શનમાં ભગવાન કે ઇશ્વર થવાનો અધિકાર એક જ વ્યકિતને નહીં પણ અનેક વિશિષ્ઠ વ્યકિતઓને આપવામાં આવ્યો છે અને તેનો યથાયોગ્ય ઉપયોગ માનવદેહ દ્વારા જ થઇ શકે છે. રયવન કલ્યાણક: ભગવાન શ્રી મહાવીર જે ગત. ૨૬માં ભવમાં ઊઘ્ર્વાકાશમાં અસંખ્ય ગાઉ દૂર વૈમાનિક નિકાયના ‘પ્રાણત’ કલ્પમાં દેવ તરીકે હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતા ૨૭માં ભવમાં ભારતની પૂર્વદિશામાં આવેલી વૈશાલી નગરીના ઉપનગર બ્રાહ્મણકુંડના બ્રાહ્મણ ઋષભદત્તની પત્ની દેવાનંદાની કુક્ષિમાં ગર્ભરૂપે જન્મ લેવા અવતર્યા. પૂર્વે કરેલા કુળના અભિમાનના કારણે તેઓને બ્રાહ્મણકુળમાં અવતરવું પડયું. મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની. તીર્થંકરો જેવી વ્યકિતઓ માટે નિયમ એવો છે કે અંતિમ ભવમાં ઉરચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિકુળ વંશમાં જ જન્મ લે. દેવલોકના ઇન્દ્રએ અવધિજ્ઞાનથી આ ઘટનાને જૉતા તેઓએ ક્ષત્રિયકુળનું યોગ્ય સ્થાન નક્કી કરી.

હરિ-ણૈગમેષી દેવ દ્વારા ગર્ભપરાવર્તનનો આદેશ આપી દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને ક્ષત્રિયકુંડ ગામના રાજા સિદ્ધાર્થની પત્ની ક્ષત્રિયાણી ત્રિશલાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. આને ગર્ભાપહરણની ઘટના કહેવામાં આવે છે. કરોડો વર્ષે બનતી આ એક આશ્ચર્યજનક ઘટના છે.ત્રિશલારાણીના ગર્ભમાં સ્થાપિત થયા બાદ માતા ત્રિશલા મઘ્યરાત્રિએ ચૌદ મહાસ્વપ્નો જુએ છે. તેનો ફળાદેશ એ હતો કે તેઓ તીર્થંકર જેવા મહાપુરુષની માતા બનવાના છે અને આમ તેઓ ‘વિશ્વમાતા’નું બિરુદ’ પામ્યાં.

જન્મ કલ્યાણક: વિ.સંવત ૫૮૦ અને ઇ.સ. પૂર્વે ૬૩૬ વર્ષની ચૈત્ર સુદ ૧૩(તેરસ)ની મઘ્યરાત્રિએ નવ મહિના અને સાડા સાત દિવસ વીત્યા બાદ વિશ્વોદ્ધારક ભગવાન મહાવીરનો જન્મ થયો. ત્રણે લોકમાં (સ્વર્ગ, પાતાળ, મૃત્યુ) દિવ્ય પ્રકાશ પથરાઇ ગયો. દેવદેવીઓએ મહોત્સવ કરી ગુણગાનથી સ્તવના કરી ભગવાનને મેરુપર્વત પર લાવીને સ્નાનાભિષેક કર્યો. ત્યાર પછી માતાપિતાએ જન્મોત્સવ ઊજવ્યો. સર્વત્ર ધનધાન્યની વૃદ્ધિ થવાથી ગુણનિષ્પન નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું. બાળ વર્ધમાનની નિર્ભયતા અને નીડરતાના અનેક પ્રસંગોએ પ્રભુ વર્ધમાનને લોકો ‘મહાવીર’ કહેવા લાગ્યા. આઠ વર્ષથી અઠ્ઠાવીસ વર્ષ સુધીમાં મહાવીર પ્રભુના જીવનના મુખ્ય પ્રસંગોમાં યશોદા સાથે પાણિગ્રહણ, પ્રિયદર્શના પુત્રીનો જન્મ તથા તેઓનાં માતાપિતાનો સ્વર્ગવાસ વગેરે હકીકતો સંપન્ન છે. ગૃહાસ્થાશ્રમને તિલાંજલિ આપી એમણે મહાપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. તેઓએ સાધુધર્મનો સ્વીકાર કરવા માટે વિનયપૂર્વક મોટાભાઇ પાસે સંમતિ માંગી.

પરંતુ મોટાભાઇએ માતાપિતાના વિયોગના તાજા દુ:ખમાં વધારો ન કરવા નમ્રતાપૂર્વક બે વર્ષ રોકાઇ જવા વિનંતી કરી. પ્રભુએ તેનો આદરથી સ્વીકાર કર્યો. એક મહાન વિભૂતિ પોતાના વડીલબંધુની આજ્ઞાને શિરોધાર્ય કરે છે. મોટાભાઇ નંદિવર્ધનની વિનંતીથી તેઓ ગૃહસ્થવેશમાં સંયમી જીવન જીવ્યા. દીક્ષા સ્વીકારવાનો સમય નજીક આવ્યો ત્યારે નવલોકાન્તિક દેવો પ્રભુ મહાવીર પાસે આવી પહોંચે છે અને વિશ્વનાં સુખ-શાંતિ અને કલ્યાણને આપનારા ધર્મતીર્થની શીધ્ર સ્થાપના કરો એવી વિનંતી કરે છે. તીર્થંકરો માટે એક નિયમ છે કે ગૃહવાસનો સર્વથા ત્યાગ કરે તે પહેલાં એક વર્ષ પર્યંત એટલે કે દીક્ષાના દિવસ સુધી દાનનો વરસાદ વરસાવ્યા બાદ જ તેઓ દીક્ષા એટલે કે સંયમી જીવનનો સ્વીકાર કરે. આ દાનમાં સુવર્ણ, ધન, ઝવેરાત, વસ્ત્રાલંકાર વગેરે ઘણું ઘણું હોય છે. આમ લાખો લોકોનાં દુ:ખ-દારિદ્ર દૂર કરી તેઓ ત્યાગી બનવાના પંથે પ્રયાણ કરે છે.

દીક્ષા કલ્યાણક: વિજય મુહૂર્તે શરૂ થયેલી દીક્ષાની ધૂમધામથી સાતખંડ વનમાં ઉજવણી કરવામાં આવી. પ્રભુએ પહેરેલાં વસ્ત્રાલંકારો સ્વયં ઉતારી દીધાં. અશોક વૃક્ષની નીચે હજારોની જનમેદની વરચે દીક્ષાની પ્રતિજ્ઞા લીધી. પછી પોતાના બંને હાથોથી પંચમુષ્ઠિ લોચ કર્યો. ચાર મુષ્ઠિથી મસ્તક પરના કેશ અને એક મુષ્ઠિથી દાઢી-મૂછના કેશ ખેંચી દૂર કર્યા. સર્વ પાપના ત્યાગરૂપ સામાયિકનો સાધુધર્મનો યાવજજીવ સ્વીકાર કર્યો. તે ક્ષણે પ્રભુએ નવાં કર્મોને રોકવા અને જૂનાં કર્મોનો ક્ષય કરવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને ગ્રહણ કયાô. એ વખતે તેઓને ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન પ્રાપ્ત થયું.

સાધનાના માર્ગમાં આગળ વધવા કર્મનાં આવરણોનો ક્ષય કરી સિદ્ધિના શિખરે પહોંચવા પ્રભુનો આત્મા ઉગ્ર તપ સંયમ ધર્મની આરાધનામાં રત રહેવા લાગ્યો. કર્મનો બંધ આત્મા સાથે કેવી રીતે થાય છે તે પ્રભુ મહાવીરે વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે. જયારે કોઇ આત્મા રાગદ્વેષ વગેરે વિભાવને લીધે અથવા આ કાર્ય હું કરું છું એવા કર્તાભાવથી કર્મ કરે છે ત્યારે એ કર્મના પુદગલોમાં રાગદ્વેષ વગેરેને લીધે સ્પંદનો થઇ શકિત ઉત્પન્ન થાય છે. તેથી તે કર્મના પુદગલો આવરણરૂપે આત્મા સાથે જૉડાઈ જતા કર્મનો બંધ પડે છે તેથી જૉ કોઇ પણ કાર્ય રાગ કે દ્વેષ વિના અથવા કર્તાભાવ વિના કરવામાં આવે તો કર્મનો બંધ થતો નથી. સુખ આવે ત્યારે આનંદિત થયા વિના અને દુ:ખ આવે ત્યારે વિચલિત થયા વિના જૉ નિર્લેપતાથી ‘કર્મ’ નછૂટકે કરવું પડે છે. તેવી ભાવના થાય તો કર્મબંધ થતો નથી. પ્રભુએ ઓછામાં ઓછા બે ઉપવાસથી લઇને છ-છ મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરી અનેક નિર્જન સ્થાનો, વનો, ઉધાનોમાં તેઓ ઘ્યાનસ્થ રહ્યા. દેવો, મનુષ્યો દ્વારા થયેલા ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરી સાડા બાર વર્ષની સાધનાને અંતે તેઓ ધર્મઘ્યાનની પરાકાષ્ઠાએ પહોંરયા.

કેવળજ્ઞાન કલ્યાણક: ઋજુવાલિકા નદીના કિનારે શાલવૃક્ષની નીચે સૂર્યના આતપમાં ગોદોહિકાસને બેસીને શુકલઘ્યાનમાં પ્રવેશ કર્યો. અનુક્રમે તેઓએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો. અને પાંચમું કેવળજ્ઞાન વૈશાખ સુદ દશમના ચોથા પ્રહરમાં પ્રભુને પ્રાપ્ત થયું ત્રણેય કાળના સૂક્ષ્મ કે સ્થૂળ, ગુપ્ત કે પ્રગટ, જડ કે ચેતન પદાર્થોઅને તેના પર્યાયોને પ્રત્યક્ષ રીતે જૉવા અને જાણવાવાળા તેઓ થયા. અઢાર દોષથી રહિત થતા ‘અરિહંત’ બન્યા. ત્રણેય લોકમાં પૂજનીય બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત થતા જ ઇન્દ્રાદિક દેવો ચોથા કલ્યાણકની ઉજવણી કરવા આવી પહોંરયા. ભગવાનને વંદન કરી તેઓના પ્રવચન માટે સમવસરણની રચના કરી. પ્રવચન સભા કે ધર્મ સભાને જૈન પરિભાષામાં ‘સમવસરણ’ કહેવામાં આવે છે. આ સમવસરણમાં દેવો, મનુષ્યો, પશુપંખીઓ બધા જ પ્રવચન સાંભળવા આવે છે. ભગવાનના વિશિષ્ઠ અતિશયને લીધે પ્રભુની વાણી દરેક પોતપોતાની ભાષામાં સમજી જાય છે. સુવર્ણકમળ પર બેસીને પ્રભુ રોેજ બે વખત છ-છ કલાકનાં પ્રવચનો આપે છે. હજારો હૈયાઓ પ્રવચનોના શ્રવણથી ધર્મભાવનાથી તરબોળ બન્યા. દીક્ષિત બન્યાં. એમાં ઇન્દ્રભૂતિ ગૌતમ ૪૪૦૦ શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત બન્યા. પ્રભુએ ઇન્દ્રભૂતિ ગૌતમને આશીર્વાદ આપી ગણધર પદે સ્થાપિત કર્યા.

નિર્વાણ કલ્યાણક: પાવાપુરીમાં ૪૮ કલાકની (૧૬ પ્રહરની) પ્રભુની અંતિમ દેશના પ્રભુએ અનેક દેશમાં પગપાળા વિહાર કર્યોઅને ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં શ્રીમંતો, ગરીબો, રાજા મહારાજાઓ, રાજકુમારો જેવા અનેક જીવોને દીક્ષા આપી. લાખો લોકોને ધાર્મિક બનાવ્યા. જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા પ્રભુ આશાપુરી (પાવાપુરી) પધાર્યા. તેઓનું કેવળજ્ઞાનનું ૩૦મું વર્ષ, દીક્ષાનું ૪૨મું વર્ષ અને જન્મનું ૭૨મું વર્ષ હતું. ચોમાસાનો ચોથો મહિનો આસો વદ અમાવસ્યાએ પોતાનું નિર્વાણ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જળ ઉપવાસ કર્યા. જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો. પ્રવચન સભામાં ચારે નિકાયના દેવો, ચતુર્વિધ શ્રી સંઘ, કાશી કૌશલ દેશના ગણરાજાઓ અને અન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો. 

અમાવસ્યાની પાછલી ચાર ઘડી બાકી રહી ત્યારે ૪૮ કલાકની અવિરત ચાલી રહેલી દેશના પૂરી થતાં જ પ્રભુનો આત્મા શરીર ત્યજી, વેદનીય ચાર અઘાતી કર્મોનો ક્ષય થતા આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊઘ્ર્વકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુકિતસ્થાનમાં એક જ સમયમાં પહોંચી જયોતિમાં જયોતિરૂપે ભળી જાય છે. તેઓ જન્મમરણથી સર્વથા મુકત બન્યા. નિર્વાણ સમયે કાશીના રાજાઓ ઉપસ્થિત હતા. તેમણે ભાવ પ્રકાશ અસ્ત થતા દિવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ પ્રગટયા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિ પામ્યો અને દેશભરમાં દીપાવલી પર્વ તરીકે ખ્યાતિ પામ્યો. ઇન્દ્રદેવો આ પાંચમું નિર્વાણ કલ્યાણક ઊજવવા પાવાપુરી પહોંરયા. ત્યારથી આ પાવનભૂમિ પાવાપુરીમાં જૈનો પ્રભુના નિર્વાણ કલ્યાણકની ખૂબ ભાવથી સ્પર્શના કરે છે.