બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

અરે..હુસૈન તે તો હદ કરી નાખી...!

જતી ઉમરે ડોસાને શું ગાંડપણ સુજ્યું !

ભારતના કલા પરિદૃશ્યમાં એક સમયનું સૌથી પ્રતિષ્ઠિત નામ મકબુલ ફિદા હુસૈન. જેણે હવે કતરની નાગરિકતા સ્વીકારી લીધી છે. આ એ જ વ્યક્તિ છે
ND
N.D
જેને કલા જગતના લોકો એક સમયે પિકાસોની પ્રતિકૃતિ માનતા હતાં. જેણે સમગ્ર વિશ્વમાં પોતાની અભૂતપૂર્વ ચિત્રકારીના ઓજસ પાથર્યા હતાં. પરંતુ અતિવાદી ક્ષિતિજની શોધમાં મગ્ન અને સફળતાના નશામાં છક્કી ગયેલા આ ચિત્રકારને અચાનક જ જતી ઉમરે એક ગાંડપણ સુજ્યું.


ઘોડાની શક્તિ ધરાવતો અને માધુરી દીક્ષિતના સૌંદર્યથી પૂરી રીતે અભિભૂત થઈ ચૂકેલો આ 'ડોસો' અચાનક જ હિંદૂ દેવી દેવતાઓના નગ્ન ચિત્રો દોરીને નાચવા માંડ્યો.

આમ તો આ ભાઈએ પોતાની કલાની કતલની શરૂઆત 1970 થી જ કરી દીધી હતી પરંતુ લોકોને તેની જાણ ઘણી મોડેથી થઈ. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે આપણી ભારતમાતાના પણ વસ્ત્રો ઉતારી નાખ્યાં, નગ્ન પાર્વતીને શિવજીના સાથળ પર બેસાડ્યાં. તેની રંગો ભરેલી કલમે સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મી જેવી મહાન દેવીઓને પણ પોર્ન મોડેલના રૂપમાં કેનવાસ પર ઉતારી દીધી.

હુસૈને આ જ કલમથી પોતાની પુત્રીની તસ્વીરો અને અમુક મુસ્લિમ વ્યક્તિ વિશેષના પણ ચિત્રો બનાવ્યાં છે પરંતુ ત્યાં તેનું આ પ્રકારનું કોઈ દુ:સાહસ જોવા ન મળ્યું. આવું કરવા પાછળ હુસૈનની મહેચ્છા શું હતી તે તો હુસેન જ જાણે ? પરંતુ કેટલાક લોકો તેને હિંદૂ-મુસ્લિમના ચશ્મા વડે જોવાનો જે પ્રયત્ન પણ કરી રહ્યાં છે તે દેશનું દુર્ભાગ્ય જ છે. હુસૈનના આ દૃષ્કૃત્ય પાછળ માત્ર હુસૈન જ જવાબદાર છે તેના મુસ્લિમ હોવાને કોઈ સંબંધ નથી.

આજે આ વિવાદાસ્પદ ચિત્રકાર પર ભારતમાં 1250 થી પણ વધુ કેસો નોંધાયેલા પડ્યાં છે. મૃત્યુની ધમકી મળ્યાં બાદ તે ભારત દેશ છોડીને ચાલ્યાં ગયાં અને હવે તેમણે કતરની નાગરિકતાનો પણ સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો છે. હુસૈન તો ગયાં પરંતુ તેમના પર નોંધાયેલા કેસો હજુ સુધી ભારતમાં લંબીત પડ્યાં રહ્યાં. ભારત છોડવાના આ ચિત્રકારે અનેક કારણો આપ્યાં. તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે, ' મને અફસોસ છે કે, મારી માતૃભૂમિએ જ્યાં મે જન્મ લીધો તેણે મને ન ગણકાર્યો'.'

ભાઈ હું તો કહ્યું છું કે, આ માતૃભૂમિ તમને શા માટે ગણકારે જ્યારે તમે એ જ ભારત માતાના કપડા ઉતારતા પણ સંકોચ અનુભવતા નથી. જેના ખોળામાં તમે જન્મ્યાં છો. હુસૈને પોતાના સ્વબચાવમાં એમ પણ કહ્યું કે, હાલ તેઓ અન્ય મોટા પ્રોજેક્ટ પર કામ કરવામાં વ્યસ્ત છે જેના કારણે તેમને દેશ છોડ્વો પડ્યો.

આ પ્રોજેક્ટોમાં મોહેંજો દરોથી લઈને મનમોહન સિંહ સુધીનો ભારતીય સભ્યતાનો ઈતિહાસ તેમજ 'બેબીલોન અને સીનેમાની સભ્યતાનો ઈતિહાસ' પણ અધ્યયન છે જે પૂર્ણ થવાના આરે છે. 'ગજગામિની' ફિલ્મના નિર્દેશક હુસૈને એમ પણ ઉમેર્યું કે, તે ભારતીય સિનેમાને ખુબ જ પ્રેમ કરે છે પરંતુ અહીં પ્રવર્તતા વિવાદોને જોતા તેમણે દેશથી દૂર જવાનો નિર્ણય કર્યો છે.

મિત્રો, આશ્વર્ય તો ત્યારે થાય છે જ્યારે આ ચિત્રકારને પોતાના દ્વારા બનાવામાં આવેલી નગ્ન પેઈન્ટિગ્સનો જરા અમથો ઓસારો પણ નથી. એક મિનિટ માટે ચાલો આપણે પણ માની લઈએ કે, તેમણે આ ચિત્ર ભારતીય ઘર્મ કથાઓથી પોતાની પ્રત્યક્ષ રૂચિને કારણે બનાવ્યાં હશે પરંતુ તે મોર્ડન આર્ટની શૈલીને અજમાવતા અજમવાતા જનભાવનાને જ ભૂલી ગયાં. નિર્વસ્ત્ર મૂર્તિકલાનું પ્રદર્શન તો ખજૂરાહો અને કોર્ણાકના મંદિરોમાં પણ છે પરંતુ દેવીઓનું આ રીતે ચિત્રણ કરીને લોકોના આક્રોશનું ભોગ બનવાની તેમને શું જરૂરિયાત હતી ?

ND
N.D
એવું નથી કે, હુસૈને એક મહાન ચિત્રકાર ગણવામાં મને કોઈ વાંધો છે. તેમની મહાનતા માટે આપણે સામાન્ય લોકોની સહમતિની જરૂરિયાત પણ નથી. તો પછી શું જરૂરિયાત હતી કે, મહાનતાની ઊંચાઈઓ પર પહોંચ્યા બાદ પણ તે ધરતીની કથાઓના દેવી ચરિત્રોને આ દૃષ્ટિએ જોવત. જો આજે કોઈ હુસૈનની કતલ કરી નાખવા ઈચ્છતું હોય તો તેની પાછળ માત્ર હુસૈન જ જવાબદાર છે.

એક તરફ બાંગ્લાદેશની એક લેખિકા તસ્લીમા નસરીન પણ છે જે તમામ વિરોધો છતાં પણ ભારત દેશની નાગરિકતા સ્વીકારવા માટે આતુર છે જ્યારે હુસૈને કતરની નાગરિકતા સ્વીકારી લીધી છે. આપણા ગૃહમંત્રી પી. ચિદંબરમ તેમને પરત બોલવવા માટે મનામણા કરી રહ્યાં છે અને હુસૈન પણ મોંઘેરા મહેમાનની જેમ તેમની વાત કાને ધરી રહ્યાં નથી. હુસૈને આપણા સેક્યુલર લોકોને પણ મોટા ધર્મસંકટમાં નાખી દીધા છે. પરંતુ સેક્યુલરોનો આ જમાવડો તેમના માટે કોઈ ન કોઈ તર્ક અંતે શોધી જ લેશે.

સદીઓથી હિંદૂ સમાજનો આ પ્રકારની ઘટનાઓ પ્રત્યે પ્રતિક્રિયાઓ દૃષ્ટિકોણ અલગ જ રહ્યો છે. સનાતન ધર્મ સ્વયંમાં જ ઘણા વિરોધાભાસ સમેટીને બેઠો છે. આ સમાજે શત્રુતાની પરાકાષ્ઠા જોઈ છે. આપણે એકેશ્વરવાદી પણ છીએ, મૂર્તિપૂર્જક પણ છીએ. જ્ઞાનના માર્ગને માનનારા પણ છીએ અને ભક્તિના સાધક પણ છીએ. એ ધર્મ જે જાણે કેટલીયે આહૂતિઓ અને મતાંતરણના અભિયાનનો શિકાર રહ્યો તેણે સમયની સાથે પોતાના મઠ-મંદિરોને નષ્ટ કરનારા લોકો સાથે પણ સામંજસ્ય બનાવી લીધું છે. આવા સમાજ માટે કોઈ ઘરડા ચિત્રકારની ચિત્રાકૃતિ શું મહત્વ ઘરાવે છે.

જ્યાં સુધી હુસૈનની કલાનો પ્રશ્ન છે તે તો કલા સમીક્ષક જાણે. ભારતે તેને વગર માફીનામાએ અગાઉ જ માફ કરી દીધો છે. તે કતરમાં રહે કે, પછી સ્વીડનમાં, ફરી ક્યારેય ભારત આવે અને પાછો બચીને નીકળી જાય તો પણ તેનાથી ભારત દેશની જનતાને કોઈ ફર્ક પડતો નથી. હાં એક વાત અવશ્ય છે કે, ચિત્રકાર હુસૈનના યુગનો અંત આવી ચૂક્યો છે.

નોંધ : મિત્રો આપના દ્વારા લેખ સબંધિત મોકલવામાં આવનારી પ્રતિક્રિયાઓ મારા માટે એક અમૂલ્ય પ્રસાદરૂપી છે. કૃપયા કરીને આ પ્રસાદને અપશબ્દોનો ઉપયોગ કરીને દુષિત ન કરશો. એ જ મારી આપને અભ્યર્થના.