શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By કલ્યાણી દેશમુખ|

આતંકવાદનો જવાબ આપવાનો સમય પાકી ગયો છે

W.D
આતંકવાદી ધમાકાઓથી અમદાવાદ હચીમચી ગયુ. વિસ્ફોટની ઘટનાઓએ સમગ્ર દેશમાં એક ભયનુ વાતાવરણ ઉભુ કરી દીધુ. શુ મળી જશે એ નિર્દયીઓને માસુમોની હત્યા કરીને ? શુ એમનો કોઈ પરિવાર નથી ? શુ એમના કોઈ બાળક નથી ? એમની પાસે શુ પ્રેમ કે માયાની આશા રાખવી જે માણસ જ નથી, એ તો છે ડરપોક હેવાન, રાક્ષસ જે છુપાઈને વાર કરે છે.

એક સપ્તાહથી છાપામાં વાંચવા મળી રહ્યુ છે, આજે અહીં બોમ્બ બ્લાસ્ટ, આજે અહીં આટલા મર્યા, રોજ છાપાઓમાં રક્તરંજિત ફોટાઓ જોઈને એક દિવસ મારી બેબીએ મને પૂછ્યુ - 'મમ્મી, આતંકવાદી કોણ હોય છે ? તે લોકો આવુ કેમ કરે છે ? શુ જવાબ આપુ એ માસુમને ? એમને તો રાવણ કે કંસ જેવા રાક્ષસો સાથે સરખાવીએ તો પણ એ રાવણ અને કંસનુ અપમાન હશે, કારણ કે આ રાક્ષસોએ કદી કોઈ નિર્દોષને પોતાના આતંકનો નિશાનો તો નહોતો બનાવ્યો ને ?

આજના આ ભયભીત વાતાવરણમાં માણસને બહાર પગલું મૂકવામાં પણ ભય લાગી રહ્યો છે. આજે સામાન્ય સાઈકલ, કે કોઈ બંધ પડેલી કાર જોઈને તેમને સૌ પ્રથમ મગજમાં એ જ વિચાર આવશે કે આમાં બોમ્બ તો નહી હોય ને ? અંદરથી આટલો ગભરાઈ ગયેલ માણસ એ સાઈકલ કે વાહનના બીજા છેડેથી જશે.
PTI

પણ શુ આપણે આટલા ગભરાવવાની જરૂર છે ખરી ? અરે, આપણે ગભરાઈશુ તો આતંકવાદીઓને તો ખુશી થશે કે તેઓ તેમના મક્સદમાં સફળ થઈ ગયા. તેઓ એ જ તો ઈચ્છે છે કે આપણો દેશ જે આજે વિકાસના ક્ષેત્રમાં આગળ ધપી રહ્યો છે, આપણા દેશના યુવાનો ઉચ્ચ શિક્ષા કેળવીને પોતાની કારકીર્દી વડે દેશનુ નામ રોશન કરી રહ્યા છે, તે થંભી જાય, તે આગળ ન વધે. પરંતુ એ આતંકવાદીઓને ખબર નથી કે આ બહાદુરોનો દેશ છે, આતંકવાદીઓના બદ્દ ઈરાદાઓને સફળ નહી થવા દે. આ દેશના યુવાનો ગાંધીજીના અહિંસાવાદ પર ચાલનારો દેશ છે તો આ દેશ ભગતસિંહ જેવા બહાદુરોની જેમ ઈંટનો જવાબ પત્થરથી આપનારાઓનો પણ દેશ છે.

બસ, જરૂર છે આપણા સરકારે હવે કડક થવાની, હવે નથી ભરોસો કરવો આપણે પડોશી દેશો પર, જેમની સાથે આપણે વારંવાર મિત્રતાનો હાથ લંબાવી રહ્યા છે. કારણકે એક મિત્ર જ આટલી સરળતાથી પેટમાં પીઠ પર ખંજર ભોંકી શકે છે. હવે દુનિયાના સૌથી મોટા એવા લોકતંત્રના નેતાઓએ આ આતંકવાદનો કડક શબ્દોમાં જવાબ આપવો જ પડશે.