શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

'ગાંધી બાપૂ' અહીં જ તો છે !

શું કહીએ તેમને ? એક ગરવો ગુજરાતી, એક એશિયાઈ વ્યક્તિ, એક ઉત્કૃષ્ઠ ભારતીય, એક પ્રતિષ્ઠિત હિન્દુ કે પછી એક મહાન રાષ્ટ્રપિતા ? તેમના કેટલાયે ઉપનામો છે. જેમ ભગવાન શ્રીકૃષ્ણના પણ અનેક ઉપનામો હતાં. તેમ આ મોહનને પણ અનેક નામોથી સમગ્ર વિશ્વ જાણે અને પીછાણે છે.
ND
N.D


એમનું સાચું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી પણ 'બાપૂ' શબ્દનું હુલામણું નામ આજે પણ અનેક ભારતીયોના હૈયે અને હોઠે છે. જોવામાં આવે તો 20 મી સદીમાં ઘણાયે મહાન પુરૂષો અને સ્ત્રીઓ આ દુનિયામાં જીવન જીવી ગયાં. જેમને આપણે 'ગ્રેટ' કહી શકીએ. આ મહાન હસ્તિઓમાં ચર્ચિલ, રુષવોલ્ટ, લેનિન, માઓ, નહેરુ, આઈન્સ્ટાઈન વગેરે શામેલ હતાં પણ 'બાપૂ' એ બધા પર ભારે પડી ગયાં.

ગાંધીજીના મૃત્યુ બાદ પણ અમુક ગાંધીઓ આ ઘરતી પર આવ્યાં. જેમકે અમેરિકન ગાંધી ( માર્ટીન લ્યુથર કિંગ જુનિયર), સાઉથ કોરિયન ગાંધી (હેમ શોક હોન), પેલેસ્ટેઈન ગાંધી (અબાદ મુબારક) પણ એ બધા માત્ર 'ગ્રેટ' જ બની શક્યાં. 'બાપૂ'ની જેમ 'ગ્રેટેસ્ટ' નહીં.

પોતાનું સમગ્ર જીવન લોકો માટે અને લોકો પાછળ ખર્ચ કરી દેનારા મહાત્મા ગાંધીનો આજે જન્મદિવસ છે. તેમના દ્વારા દેશની સ્વતંત્રતા અને લોકહિતાર્થે કરવામાં આવેલા કાર્યોનો પડઘો એવો તો પડ્યો જેના પરિણામ સ્વરૂપ આજે આપણે સહુ લોકશાહી ભોગવી રહ્યાં છીએ. બાપુએ ન તો માત્ર અંગ્રેજોને ભારત દેશમાંથી જાકારો આપ્યો પરંતુ સમગ્ર ભારતમાં શાંતિ અને સોર્હાદ કેળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

આજે પણ સમાજનો એક વર્ગ એવો છે જે માત્ર અને માત્ર ગાંધીજીના વિચારોને અનુસરે છે. આપણે તે સંપ્રદાયને ઈચ્છવા છતાં પણ ગાંધીવાદ અને તે વ્યક્તિને ગાંધીવાદીનું નામ આપી શકતા નથી.
ND
N.D
કારણ કે, સ્વયં ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન એક વખત કહેલું કે, '
જો ગાંધીવાદ કટ્ટરવાદનું બીજું નામ હોય તો તેને તુરંત જ નષ્ટ કરી નાખો. જો મને મારા મૃત્યુ બાદ એ જાણવા મળ્યું કે, ગાંધીવાદના કારણે લોકોને ઘણું દુ:ખ પહોંચ્યું છે તો તેની સૌથી વધુ પીડા મને થશે. ગાંધીજીએ એમ પણ કહેલું હું કોઈ એક સંપ્રદાય સ્થાપવા ઈચ્છતો નથી. હું તો ઈચ્છુ છુ કે, મારા દેશમાં દરેક ધર્મના લોકો એકસાથે મળીને રહે.'' ખૈર એવું કદી પણ નથી બન્યું કે, ગાંધીવાદ અથવા તો ગાંધીગિરીના કારણે કોઈને દુ:ખ પહોંચ્યુ હોય.

ગાંધીજીની વાતોને યાદ કરતા ક્યારેક એ વાતનો જરૂર અફસોસ થાય છે કે, હું આ દુનિયામાં 70-80 વર્ષ પહેલા કેમ ન જન્મયો. કદાચ એક વખત મારી પણ આ મહાન વ્યક્તિ સાથે મુલાકાત થઈ જાત. હું પણ કોઈ અહિંસક આંદોલનમાં તેમની સાથે જોડાયો હોત, જરૂર પડ્યે તેમની જોડે જેલવાસ પણ ભોગવી શક્યો હોત. દાંડી કૂચમાં બાપૂના પગલાના નિશાન પાછળ મારા પણ પગના નિશાન અંકિત થઈ ગયાં હોત.

અમુક લોકો કહે છે કે, ગાંધીજી આ દુનિયાને છોડીને ચાલ્યાં ગયા છે પણ હું એ વાત માનવા માટે બિલકુલ પણ તૈયાર નથી. આજે પણ જ્યાં કોઈ સંઘર્ષ અથવા તો ઝઘડાનું હિંસા વગર શાંતિપૂર્ણ રીતે સમાધાન થાય છે ત્યાં મને બાપૂ નજરે ચડે છે. જ્યારે પણ એક હિન્દૂ બીજા મુસ્લિમને ગળે લાગે છે અને એકબીજાના તહેવારોમાં તન-મન અને ધનથી જોડાઈને આનંદ-ઉલ્લાસ માણે છે ત્યાં મને બાપૂ દેખાય છે. બાપૂ તો માત્ર શરીરથી મૃત્યુ પામ્યાં છે તેમના વિચારો અને સિદ્ધાતો આજે પણ તેમના જીવિત હોવાની સાક્ષી પૂરે છે.

લોકો ખોટું કહે છે કે, બાપૂ આજે હયાત નથી. માત્ર એકવાર મનની આંખો વડે જુવો તો ખરા ! તમને એ દુબળો પાતળો વ્યક્તિ જરૂર દેખાશે જેણે ગોળ ચશ્મા પહેર્યા છે, જેના હાથમાં એક લાકડી છે અને જેણે માત્ર કપડાના નામે સફેદ ધોતી પહેરી છે. જે તમારી સામે મંદ મંદ હસીને કહી રહ્યો છે કે, 'હવે સાચે જ ઉઠવાનો દિવસ આવી ગયો છે. એક નવી સવાર તમારી રાહ જોઈ રહી છે.'

Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo.09754144124