જો ગોધરાકાંડ દરમિયાન પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો હોત તો ?
સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની લડાઈનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારતીય સેના પાકિસ્તાન સરહદે પહોંચી ગઈ અને પાકિસ્તાન સામેના લશ્કરી ઓપરેશનના આદેશની રાહ જોવા લાગી. તેવા વખતે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા જંકશન પાસે સિગ્નલ ફળિયા નજીક ટોળા દ્વારા અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો સાથેની સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટનામાં 58 કારસેવકોના સ્થળ પર જ આગમાં ભડથું થઈ જવાથી મોત નીપજ્યા. પાછળથી વ્યક્તિ મૃત્યુ પામી. આ આગ એટલી વિકરાળ હતી કે ગુજરાતમાં ઠેરઠેર કોમી હુતાસણો ફેલાયા.ગુજરાતના 151 શહેરો અને 993 ગામડાંઓમાં કોમી હિંસાની આગ ફેલાઈ. રાજ્યના 25 જિલ્લામાંથી 15થી 16 જિલ્લામાં નાનામોટા પ્રમાણમાં કોમી છમકલા થયા. જેમાં 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં કોમી હિંસાની તીવ્રતા સૌથી વધારે હતી. જેની મોટી અસર 15 માર્ચ સુધી ફેલાયેલી રહી. જો કે સમગ્ર કોમી છમકલાં જૂનના મધ્ય ભાગ સુધી ચાલુ રહ્યા. આ કોમી રમખાણોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર પહોંચી હતી. કારણ કે મોટાભાગના કારસેવકો આ બંને વિસ્તારોમાંથી આવતા હતા. મૃત્યુ પામેલા કારસેવકોમાં પણ તેમની સંખ્યા મોટી હતી. આ સિવાય ઉત્તર-પૂર્વની ગોધરા નજીકની આદિવાસી પટ્ટીમાં કોમી રમખાણોની તીવ્રતા મોટી હતી. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ અપવાદરૂપ છમકલાંને બાદ કરતાં એકંદરે શાંત રહ્યા હતા.