ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By હરેશ સુથાર|

ધો. 10 બોર્ડને વિખેરી દો !

P.R
કેન્દ્રના મંત્રીએ શિક્ષણ જગતમાં મહત્વનો ફેરફાર કરવા કરેલા સુચન અંગે વધુ વાત કરતાં પહેલા એક દંપતિનો આ સંવાદ જાણી લેવા જેવો છે જે સૌના માટે રેડ સિગ્નલ સમાન છે.

પતિ ઃ કિશોરભાઇના નાના બાબાએ આપઘાત કર્યો,
પત્નિ ઃ હેં...ના હોય. એને વળી શુ દુઃખ હતું કે રમવા કુદવાની ઉંમરમાં આપઘાત કરવો પડ્યો.
પતિ ઃ એ 10મા ધોરણમાં હતો અને એક પેપર સારૂ ના જતાં એણે આ પગલું ભર્યું.
પત્નિ ઃ બળ્યું આવું ભણતર શું કામનું કે જે ભણતા પહેલા જ બાળકને મારી નાંખે......

આ કિસ્સો કંઇ એકલા કિશોરભાઇ સાથે નથી બનતો. રાજ્ય તથા દેશના ઘણા કમનસીબ વાલીઓ સાથે અવારનવાર આવી કરૂણાંતિકા સર્જાતિ રહે છે. કારણ ફક્ત એક જ, અભ્યાસનો બોજ અને વાલીઓની વધુ પડતી અપેક્ષા. જોકે મોડે મોડે પણ કેન્દ્ર સરકાર જાગી છે અને ટકાવારીના ખપ્પરમાં હોમાતા કુળદિપકોને ભણતરના બોજામાંથી હળવા કરવા માટે એક મહત્વનું ડગલું ભરવા જઇ રહી છે.

કેન્દ્રના માનવ સંશાધન મંત્રી કપિલ સિબ્બલે આ મામલે એક મહત્વનો ઇશારો સુચવ્યો છે. ધો.10ના બોર્ડને વિખેરી દેવાનો. આ પરીક્ષા શાળા દ્વારા જ લેવામાં આવે તેમજ ધો.12ની પરીક્ષા પણ વિવિધ બોર્ડને બદલે એકજ બોર્ડ દ્વારા લેવામાં આવે. આમ કરવાથી દરેક રાજ્યમાં સરખો અભ્યાસક્રમ અમલમાં આવશે. જેનાથી દરેક રાજ્યોના બાળકોનું લેવલ સરખું થશે. આ ઉપરાંત વિવિધ બોર્ડ વચ્ચેનો ભેદ પણ દુર કરી શકાશે. પરંતુ સરકારે આ માટે મક્કમતા દાખવવી પડશે તો જ આ શક્ય બનશે નહીં તો આ મુદ્દો પણ આયારામ....ગયારામ જેવો બની જશે.

કોઇ આડું ના ફાટે તો સારૂ !!!
કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા કરાયેલ આ મુદ્દો બધા માટે સારો અને અગત્યનો છે. જો આમાં બધા રાજ્યો સહકાર આપે તો જ બધુ સમુતરૂ પાર ઉતરે એમ છે. પરંતુ આમાં એક મોટું અડચણ એ છે કે, માધ્યમિક શિક્ષણ સુધીની સત્તા રાજ્ય સરકારોના હાથમાં રહેલી છે. જો એકાદ રાજ્ય પણ આડું ફાટે તો કેન્દ્ર સરકાર એકસુત્રતા સાધી નહીં શકે અને એક સુંદર વિચારને કાટ લાગતાં વાર નહીં લાગે.

કરોડો રૂપિયાનો ખર્ચો બચે !!!
મહેસાણાની સાર્વજનિક હાઇસ્કૂલના આચાર્ય શરદભાઇ વ્યાસ આ અંગે જણાવે છે કે, જો આ વિચારનો અમલ કરવામાં આવે તો એક તો બાળકો તથા વાલીઓના મનમાંથી ધો.10નો હાઉ દુર થાય. વહેલી સવારથી શરૂ થતી ટ્યુશનની હાટડીઓ ઉપર આપોઆપ રોક લગાવી શકાય તેમજ ટ્યુશન તથા બોર્ડની પરીક્ષા પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચો રોકી શકાય એમ છે.
  દરેક રાજ્યોના બાળકોનું લેવલ સરખું થશે. આ ઉપરાંત વિવિધ બોર્ડ વચ્ચેનો ભેદ પણ દુર કરી શકાશે. પરંતુ સરકારે આ માટે મક્કમતા દાખવવી પડશે તો જ આ શક્ય બનશે નહીં તો આ મુદ્દો પણ આયારામ....ગયારામ જેવો બની જશે.      


ડિપ્લોમાનો કંઇ રસ્તો કાઢવો પડે !!!
અમદવાદની કન્યા વિદ્યાલયના આચાર્યા ગીતાબેન કહે છે કે, જો ધો.10ના બોર્ડને રદ કરી દેવામાં આવે તો વાલીઓ તથા વિદ્યાર્થીઓના માથેથી ઘણું ટેન્શન ઓછું થઇ જાય. પરંતું આમાં એક મુંઝવણ પણ છે અને એ છે ધો. 10 પછીના ડિપ્લોમાની. સરકારે આ અંગે તમામ પાસાઓની વિચારણા કરવી પડશે. જોકે ધો.12 બાદ જે રીતે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે એ રીતે ડિપ્લોમા પ્રવેશ માટે પણ કંઇ વિચારી શકાય એમ છે.